ETV Bharat / state

ભાવનગરના પાળીયાદમાં પાણીની પારાયણ, છતે પાણીએ પાણી માટે વલખાં મારે છે ગામ, જુઓ ETV ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ - Water Crisis In Bhavnagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 11:27 PM IST

Updated : Apr 2, 2024, 3:46 PM IST

ભાવનગર જિલ્લાનો ભાલ પંથક એટલે ખારોપાટ કહેવાય છે, અહીં મીઠું પકવવામાં આવે છે અને થોડા ઘણા ખેતરોમાં ખેતી કરી ખેડૂતો પેટનો ખાડો પૂરે છે. ભાલના પાળીયાદ ગામની મુલાકાત ETV BHARAT એ ગામની મુલાકાત લીધી હતી. ભાલ પંથકમાં આવેલા કાળિયાર અભયારણ્યને પગલે ભાવનગરના માઢીયા સુધી કાળીયાર જોવા મળે છે. આ રિયાલિટી ચેક કરતા અહેવાલમાં પાણીની સમસ્યાને લઈને સંપૂર્ણ સ્થિતિ દર્શાવવામાં આવી છે.

પાળીયાદમાં પાણીની પારાયણ, ભાલના ગામડામાં છતે પાણીએ પાણી વિહોણું ગામ મારે છે વલખાં
પાળીયાદમાં પાણીની પારાયણ, ભાલના ગામડામાં છતે પાણીએ પાણી વિહોણું ગામ મારે છે વલખાં

છતે પાણીએ પાણી વિહોણું ગામ પાળીયાદ

ભાવનગર: ભાવનગર જિલ્લાનું ભાલ પંથક એટલે ખારો વિસ્તાર કહેવામાં આવે છે. ETV BHARAT ને મળેલી માહિતી મુજબ પાળીયાદ ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. આકરી ગરમી હોવાને પગલે ETV BHARATની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પાળીયાદ ગામ 35થી 40 કિલોમીટર દૂર પહોંચી હતી. છતાં પાણીએ ગામ પાણી વિહોણું કેમ હતું તેને લઈને અમે તપાસ કરી હતી. કાળિયાર,મારણ કરેલું મૃત રોજડુ (નીલગાય) સફરમાં જોવા મળ્યું હતું.

રિયાલિટી ચેક કરતા અહેવાલની સફર : ETV BHARAT ની ટીમ માઢિયાથી પાળીયાદની સફર ભાવનગર શહેર દરિયાકાંઠે વસેલુ શહેર છે ત્યારે ભાવનગરના પશ્ચિમ દિશા નારી ચોકડીથી અમદાવાદ ધોલેરા હાઇવેની શરૂઆત થાય છે. ETV BHARATની ટીમ આ હાઈવે ઉપર પસાર થઈ ત્યારે કોરા કહેવાતા ખારા વિસ્તાર ભાલ પંથકમાં મીઠાના અગરો નજર સમક્ષ હતા. આકરી ગરમી સવારની શરૂઆતે અને સરકારે બનાવેલો ફોરલેઇન ટ્રેક રોડ માઢીયા સુધી સીધી લીટી જેવો જોવા મળતો હતો. અમે ભાવનગરથી માઢિયા પહોંચ્યા તો હાઇવે પરથી માઢીયાથી પશ્ચિમ દિશામાં અંદાજીત 12 km પાળીયાદ ગામ સુધી પહોંચવામાં વલભીપુરનો 21 kmનો રોડ હતો. અમે અમારા વાહનમાં ખાડાખડીયા અને તૂટેલા ફૂટેલા રસ્તામાંથી પસાર થવું પડ્યું હતું.

12 kmના માર્ગમાં એક તરફ જંગલ તો થોડા ખેતરો જોવા મળતા હતા. રસ્તામાં કાળિયાર અભ્યારણ બહાર રહેતા કાળિયાર નર અને માદાઓ અને એમનું ઝુંડ પણ જોવા મળ્યું હતું. રસ્તામાં ખેતરોમાં ભરેલા પાણીના ખાબોચિયામાંથી ક્યાંક કાળિયાર પાણી પીતા હતાં તો કોઈ ખાબોચિયામાં આકરા ઉનાળામાં તડકાના 1 કલાકે પાણી ભરતા વૃદ્ધ પણ નજરે પડ્યા હતાં.

માઢિયાથી વલભીપુરનો આ માર્ગ હતો. પરંતુ અમારે પાળીયાદ જવાનું હતું. આશરે 7 kmએ આણંદપર ગામ પહેલા ડાબી બાજુ દેવળીયા ગામ થઈને પાળીયાદ રોડ પર જવાનું હતું. આથી અમે અંતરીયાળ ગામડામાં વાહન સાથે ચાલવાની શરૂઆત કરી તો દેવળીયા ગામથી પાળીયાદ ગામ વચ્ચે મૃત રોજડાનો (નીલગાય) મૃતદેહ પણ જોવા મળ્યો હતો. જો કે પ્રથમ દ્રષ્ટિએ સિંહ કે દીપડા જેવા જંગલી જાનવરએ ઘણા દિવસો પહેલા તેનું મારણ કરીને મીજબાની માણી હોય તેવું પ્રતીત થતું હતું. કારણ કે પાળીયાદ ગામ ચમારડી ડુંગરોની નજીક છે અને ત્યાં દીપડા અને સિંહની હાજરી નોંધાયેલી છે. ત્યાંથી થોડુ ચાલતા પાળીયાદ ગામમાં પહોંચી ગયા હતાં.

પાણી બન્યું ગામની માતાઓબહેનોની પારાવાર પીડા

પાળીયાદ ગામનો માહોલ : ETV BHARATની ટીમ પાળીયાદ ગામમાં પહોંચી એટલે મહિલાઓ બેડા લઈને ઉભી હતી, તે લોકોને ખ્યાલ હતો કે મીડિયાના લોકો આવી રહ્યા છે. મહિલાઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરી. જો કે ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ ખુલીને બોલી હતી. કોઈએ કહ્યું 15 દિવસ કોઈએ કહ્યું 20 દિવસ તો કોઈએ કહ્યું કે 10 દિવસથી પાણી નથી.

ઘરમાં કપડાંઓ પણ 10-10 દિવસના ધોયા વગરના એમને એમ પડ્યા છે. પીવાના પાણી માટે ઘરના પુરુષો વાહન લઈને કોઈ જગ્યાએથી લઈ આવી આપે ત્યારે કોઇ કામ થાય છે. જો કે મહિલાઓની જે જવાબદારી હોય છે કે ઘરમાં પાણી હોય તો ઘરના દરેક કામ કરી શકે. પરંતુ પાણી ન હોય ત્યારે તેનો કકળાટ હોય તે સ્વાભાવિક છે. જે કકળાટ સામે આવ્યો હતો. જો કે મહિલાઓ સાથે પૂર્વ સરપંચ કનુભાઈ હતાં તેમણે પાણી મુદ્દે વાત કરી.

આની પાછળનું કારણ એ કે ચૂંટાયેલા કોઈ ધ્યાન દેતું નથી. એક સંપ છે દેવળીયામાં, ત્રણ ગામ વચ્ચે એક સંપ છે એ પણ ભાંગી ગયેલો છે. રાજપરાથી દેવળીયા સુધીની આખી લોખંડની લાઇન છે એ તૂટી ગયેલી છે. 70 વર્ષ જૂની છે. અમારે કોઈ યોજનાઓ કે વસ્તુનો લાભ મળતો નથી. દેવળીયાથી પાળીયાદ જે લાઈન નાખેલી છે એ પણ 20 જગ્યાએ તૂટેલી છે. પાળીયાદ આવે પાણી ત્યાં અડધું પાણી જતું રહે છે. ત્રણ ચાર વર્ષથી અમારે કોઈ સરપંચ નથી. કોઈ ધ્યાન દેવાવાળું નથી. અમે વારંવાર રજૂઆત કરી છે, રોડ ઉપર બેસીને વિરોધ પણ કર્યો છે...પૂર્વ સરપંચ ( પાળીયાદ, ભાવનગર )

પાણીની સમસ્યાનો આંખે દેખ્યો ચિતાર : મહિલાઓએ પાણીની સમસ્યાને લઇને આપેલા મત સાચા છે કે ખોટા તે જાણવા માટે ETV BHARATની ટીમ ચાર થી પાંચ ઘરની મુલાકાત લીધી હતી. પ્રથમ ઘરમાં મુલાકાત લીધી તો એક મોટી ઉંમરના વૃદ્ધ મહિલા ખાટલામાં સૂતાં હતાં. અમારી સાથે ગામના લોકો પણ હતાં. વૃદ્ધ મહિલાને આખે દેખાતું નહોતું અને કાને સંભળાતું નહોતું. ઘરમાં કોઈ પુરુષ નહોતા, પીવાનો પાણીનો ગોળો માત્ર અડધો ભરેલો હતો. જ્યારે ફળિયામાં પડેલી પાણીની ટાંકી ખાલીખમ જોવા મળતી હતી.

વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લીધા બાદ તેની બાજુના ઘરની મુલાકાત લેવા ગયા તો એક બાળક ખાલી પાણીના કેરબા લઈને છકરડામાં મૂકતો નજરે પડ્યો હતો. પાણીના ટાંકા ત્યાં પણ ખાલી જોવા મળ્યા હતા.

તે પછી થોડું આગળ ચાલતા એક અન્ય ઘરમાં પગ મૂક્યો તો એક દીકરી કિરણ ચૂલે બેસીને રસોઇ બનાવતી જોવા મળી. ઘરમાં પાણીના ટાંકા અને કેરબાઓ ખાલી પડેલા હતાં. માત્ર પીવાનું પાણી ઘરમાં હતું. ડોલમાં દસ દિવસના ધોયા વગરના કપડાઓ નજરે પડતા હતા. આ દીકરી કિરણ સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે મારા પપ્પા વાહન લઈને પાણી કોઈપણ સ્થળેથી લઈ આવે છે. જેના કારણે પીવાના પાણીની વ્યવસ્થા થાય છે તો થોડા ઘણા ઉપયોગના પાણીની વ્યવસ્થા થાય છે. અમારે છેલ્લા 5થી 10 દિવસથી પાણી આવતું નથી.

ત્યાંથી નીકળીને આગળ ચાલ્યા તો ત્યાં પણ બે વૃદ્ધ મહિલાઓ હતાં. ઘરના કોઈ પુરુષ સભ્ય જોવા મળ્યા નહીં. પાણીની ટાંકીઓ ખાલી હતી અને પાણીની રાહમાં જાણે આખું ગામ બેઠું હોય તેવા દ્રશ્યો નજરે પડતા હતાં.

પાળીયાદના પુરુષોએ મૌન સાધી લીધું : અમે પાળીયાદ ગામના ચોકમાં આવ્યાં તો એક પણ પુરુષ સમસ્યા કેમેરા સામે વર્ણવી નહીં. મહિલાઓએ રોષ ઠાલવ્યો અને ચાર પાંચ ઘરની મુલાકાત બાદ અમે ગામના ચોકમાં આવ્યા. ગામના પૂર્વ સરપંચ કનુભાઈ અને આગેવાનોએ કેમેરા સમક્ષ સમસ્યા વર્ણવા માટે જણાવવામાં આવ્યું તો એકબીજાને ખો આપવા લાગ્યા હતાં. જો કે થોડી ક્ષણોમાં પાળીયાદ ગામના તાલુકાના સદસ્ય વિષ્ણુભાઈ કાંબડ આવી પહોંચ્યા હતા. વાતો વાતોમાં આંતરિક વિખવાદ એટલી હદે વટી ગયો કે કેમેરા સામે બોલવા કોઈ તૈયાર નહોતું.

પાણી તો છે પણ વિતરણની સૌથી મોટી સમસ્યા : ગામમાં પાણી ન આવવા પાછળનું કારણ અમે શોધવાની શરૂઆત કરી ત્યારે જાણવા મળ્યું કે દેવળીયા ગામે પાણીની ટાંકી છે અને ત્યાંથી પાળિયાદ સુધી નવી લાઈન પણ નાખવામાં આવેલી છે અને જૂની લાઈન પણ છે. પરંતુ પાળીયાદ ગામના પાદર સુધી પાણી આવે છે. ત્યારબાદ ગામમાં ત્રણ પાણીની લાઈનના ત્રણ વાલ્વ હોય તેમાં ક્યાંક પાણી પહોંચે છે તો ક્યાંક પાણી પહોંચતું નથી. મતલબ સાફ હતો કે પાણી તો છે પણ વિતરણની સૌથી મોટી સમસ્યા છે. જેનું નિવારણ ગામ લોકો કરી શકતા નથી.

પાણી પુરવઠા અધિકારીએ શું કહ્યું ? : પાણીને પગલે અમે જિલ્લા પાણી પુરવઠા અધિકારી પરેશ મકવાણાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ નવી લાઈન નાખી છે તેનું રીપેરીંગનું કામ તેઓ કરાવીને આવ્યાં છે. પાણી ગામ સુધી પહોંચી ગયું છે.

આ હતી હકીકત : પરંતુ હકીકત એ હતી કે ગામમાં પાણી પહોંચ્યું નહોતું. પાણી આવ્યા બાદ પર ઈલેક્ટ્રીક મોટર મૂકીને પાણી મેળવવું પડે છે એટલે ઘરે ઘરે નળ તો હતાં, પણ જળ પહોંચ્યું ન હતું. જેમાં ગામનો આંતરિક વિખવાદ અને તંત્રની બેદરકારી હોવાનું સામે આવતું હતું. પરંતુ આ બધી જ સમસ્યામાં પીડાઈ રહી હતી ગામની મહિલાઓ.

ગામમાં સરપંચ જ નથી : પરત ફરતા અમે દેવળીયા પાણીની ટાંકીની મુલાકાત લીધી તો ત્યાં પણ પાણીનો ટાંકો હતો અને ત્યાંથી પાણીની લાઈન માટેના નવા નાખેલા સાધનો પણ નજરે પડતા હતા. આમ છતાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક ગામના તંત્ર અને પાણી પુરવઠા વિભાગ સામે સવાલ જરૂર ઊભા થાય છે. પાળીયાદ ગામમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદાર છે. સરપંચ નીમાયા નથી તેને પગલે ગામની સમસ્યા જેમની તે જોવા મળતી હતી.

  1. ઉનાળાની શરુઆતમાં જ ભુજ શહેરમાં પીવાના પાણી તંગી વર્તાઈ, 43 એમએલડીની જરુરિયાત સામે મળે છે માત્ર 40 એમએલડી પાણી - Summer Bhuj
  2. ગુજરાતનું એ ગામ જ્યાં પેટ્રોલના ભાવે મળે છે પાણી ? ઈટીવી ભારતે જાણી ગામની વાસ્તવિક્તા... - Bhavnagar Village Water Crisis
Last Updated : Apr 2, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.