ETV Bharat / state

Bhuj-Mumbai flight: પ્રવાસીઓની આતુરતાનો આવ્યો અંત, ભુજ-મુંબઈ ફ્લાઇટ શરૂ થતાં લંડન એર કનેક્ટિવિટી મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 12:25 PM IST

tourists-eagerness-come-to-an-end-london-air-connectivity-will-be-available-with-the-launch-of-bhuj-mumbai-flight
tourists-eagerness-come-to-an-end-london-air-connectivity-will-be-available-with-the-launch-of-bhuj-mumbai-flight

આજથી ભુજ-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની 120 મુસાફરની બેઠક ક્ષમતાવાળી દૈનિક વિમાની સેવા શરૂ થઇ છે અને કચ્છના પ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. પહેલી વખત કચ્છવાસીઓને ભુજથી સીધી લંડન એર કનેક્ટિવિટી મળશે.

ભુજ-મુંબઈ ફ્લાઇટ શરૂ

ભુજ: એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની પ્રથમ ફલાઇટ આવી પહોંચી હતી જેનું વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની જનતા જેનો લાંબા સમયથી રાહ જોતી હતી તેવી ભુજ-મુંબઈ માટેની દૈનિક વિમાની સેવા એર ઇન્ડિયા દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે. જે ભુજ સહિત દેશ વિદેશ અને કચ્છ બહાર વસતા સમગ્ર કચ્છીઓ માટે આનંદના સમાચાર છે કારણ કે ભુજ મુંબઈથી નવી ફ્લાઇટ મળતા વિદેશના દેશો સાથે પણ કનેક્ટિવિટી જોડાશે.

પ્રવાસીઓની આતુરતાનો આવ્યો અંત
પ્રવાસીઓની આતુરતાનો આવ્યો અંત

અનેક વર્ષોના પ્રયાસો પછી મળી નવી ફ્લાઇટ

છેલ્લાં અનેક વર્ષોથી મસ્કતના ગુજરાતી સમાજના ચંદ્રકાંત ચોથાણી, ગ્લોબલ કચ્છ ફેડરેશન , ચેમ્બર ઓફ કોમર્સ, સાંસદ વિનોદ ચાવડા અને ભુજ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવીનકુમાર સાગરના અનેક સંઘર્ષો અને પ્રયાસો થકી કચ્છને આજે આ ફ્લાઇટ મળી છે. મુંબઈથી ભુજ આવેલા એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ કોમર્શિયલ જનરલ મેનેજર પૂર્ણિમાબેન નેરુરકર,કાર્યવાહક જનરલ મેનેજર પ્રદીપ મંગતાણી, એરપોર્ટ ઓપરેશન વાઈસ પ્રેસિડેન્ટ સલીમ ચૌધરી, એસો. મેનેજર-સેલ્સ યોગેશ માડલાણી, કમાન્ડિંગ ઓફિસર, એરપોર્ટ અખિલેશ કુમાર પાન્ડે તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય અને કેક કટિંગ કરીને નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી.

ડબલ ચેક ઇન નહીં કરવું પડે
ડબલ ચેક ઇન નહીં કરવું પડે

ડબલ ચેક ઇન નહીં કરવું પડે

અગાઉ ભુજથી મુંબઈ જવા માટે એક જ ફ્લાઇટ હતી જ્યારે આજે નવી ફ્લાઇટ શરૂ થતાં ટિકિટના ભાડા પણ વ્યાજબી થશે અને સાથે લોકોને વિદેશની કનેક્ટિવિટી પણ સરળતાથી મળી રહેશે કારણ કે અગાઉ લોકોને લંડન, મસ્કત, અમેરિકા, આફ્રિકા અને ઓમાન પ્રવાસ કરતા સમયે પ્રવાસીઓને ડબલ ચેક ઇન કરવું પડતું હતું. સામાનની હેરાફેરી અને બોર્ડિંગ પાસમાં સમય વેડફાતો હતો તે બચશે અને પ્રવાસીઓની મુસાફરી સરળ બનશે. ભુજ એરપોર્ટ ખાતે એક વખત ચેક ઈન કર્યા બાદ અન્ય કનેક્ટિંગ ફલાઇટમાં ચેક ઇન કરવાની જરૂર પડશે નહિ મુસાફરો સીધા ફલાઇટમાં બેસીને મુસાફરી કરી શકશે.

અનેક વર્ષોના પ્રયાસો પછી મળી નવી ફ્લાઇટ
અનેક વર્ષોના પ્રયાસો પછી મળી નવી ફ્લાઇટ

પ્રથમ દિવસે 112 લોકોએ કરી મુસાફરી

આજે શરૂ થયેલી ફલાઇટમાં 122 લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે જેમાં આજે ભુજથી મુંબઈ જવા માટે 112 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે. આગામી સમયમાં બીજી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે ત્યારે બન્ને ફ્લાઈટોની વિદેશી વિમાની સેવા સાથે સીધી કનેકટીવીટી કરવામાં આવે તેવી માંગ પણ મુસાફરો કરી રહી છે. ઉપરાંત આ એર કનેકટીવીટી નિયમિત રહે અને જરૂરીયાત મુજબ એર કનેકટીવીટી વધારવામાં આવે તો કચ્છના પ્રવાસીઓ માટે ખૂબ સારું કહેવાશે.

એર ઇન્ડિયાને પૂરતો ટ્રાફિક મળી રહેશે તો નવી ફ્લાઇટ પણ આવશે

જો એર ઇન્ડિયાની ફ્લાઇટને ટ્રાફિક પૂરતો મળી રહેશે તો ભાવવધારો નિયંત્રણમાં જ રહેશે અને સાથે જ આગામી સમયમાં 186 સીટની ફ્લાઈટની સેવા પણ શરુ કરવામાં આવશે. તો આગામી સમયમાં એર કારગો પણ શરૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ફલાઇટમાં મુસાફરીમાં લગેજ લઇ જવાનો જે મુદ્દો હતો તેનું નિરાકરણ આ નવી ફ્લાઇટ શરૂ થતાં આવી ગયું છે.

વિદેશી અને એનઆરઆઇ કચ્છીઓ માટે સારી સગવડ

કેનેડા સ્થિત ગ્લોબલ કચ્છ ફેડેરેશનના વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણીએ જણાવ્યું કે, આજે નવી ફ્લાઇટ શરૂ થઈ તે ખરેખર કચ્છી લોકો માટે ખુશીની વાત છે. કચ્છની જરૂરિયાત, ટ્રાફિક, મુસાફરોની સંખ્યા તથા વિદેશી અને એનઆરઆઇ કચ્છીઓ માટે એર કનેકટીવીટી મળવાથી તેમની સગવડમાં વધારો થશે અને વધુ ને વધુ પ્રવાસીઓ કચ્છ આવશે. આ સેવાની શરૂઆતથી મસ્કત, લંડન, અમેરિકા, ઓમાન, આફ્રિકા સહિતનાં દેશોમાં વસવાટ કરતા સૌ કચ્છીઓમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે.

પ્રથમ ફલાઇટમાં મુસાફરી કરવાનો આનંદ

ફલાઇટમાં મુસાફરી કરી રહેલા પ્રવાસી સોનલ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈથી કચ્છના નારાયણ સરોવરની મુલાકાતે આવ્યા હતા અગાઉ ભુજથી મુંબઈ જવા માટે એક જ ફ્લાઇટ હતી અને ભાડું પણ વધારે હતું ત્યારે આજે એર ઈન્ડીયા દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે અને ભાડું પણ વ્યાજબી છે ત્યારે પ્રથમ ફલાઇટમાં મુસાફરી કરવાનો ખૂબ આનંદ છે.

આગામી સમયમાં એર કાર્ગો શરૂ કરાશે

ભુજ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે,છેલ્લાં 20 -25 વર્ષથી જે લોકો સંઘર્ષ કરી રહ્યા હતા કે કચ્છને નવી ફ્લાઇટ મળે તેમના માટે આજનો દિવસ સુવર્ણનો છે.ભુજથી જ એર ઇન્ડિયામાં વિદેશ સુધી મુસાફરી કરનાર મુસાફરોનું ભુજમાં ચેકીંગ થઇ ગયા બાદ વિદેશ સુધી કોઈ ચેકીંગ કરવામાં આવશે નહિ અને તેમનો સામાન સીધો જ વિદેશમાં પહોંચી જશે જેથી વારંવાર સામાન કલીઅરન્સની મુશ્કેલી નહિ રહે તો આ ઉપરાંત આગામી સમયમાં એર ઇન્ડિયા દ્વારા કચ્છની ખેત પેદાશો પણ વિદેશમાં સરળતાથી અને ઝડપથી પહોંચે તે માટે એર કાર્ગો શરૂ કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.