સુરત: જિલ્લામાં છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત ખેતરાડી વિસ્તારમાં જીવંત વીજતારની ચોરીની ઘટનાઓ બનતી હતી.રાત્રિ દરમિયાન તસ્કરો ખેડૂતોના ખેતરમાં આવી અને જીવંત વીજતારમાં કોઈક રીતે વીજ પાવર બંધ કરી દેતા અને બાદમાં કટર જેવા મશીનથી માત્ર ગણતરીના સમયમાં જ વીજતારો કાપી ફરાર થઈ જતા.જેને લઇને ખેડૂતોને તેમજ વીજ કંપનીને મોટું નુકશાન પહોચતું હતું. એકાએક વધી ગયેલ વીજતાર ચોરીની ઘટનાઓને લઈને વીજ કંપનીના અધિકારીઓને પેટ્રોલિંગ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે સતત મળી રહેલી ફરિયાદોને લઈને આખરે સુરત જિલ્લા એલસીબી હરકતમાં આવી અને ખેડૂતો અને વીજ કંપનીના દુશ્મન બનેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચના દરોડા: સુરત જિલ્લા એલસીબીને કામરેજ, પલસાણા અને બારડોલી તાલુકાના ખેતરાડી વિસ્તારમાં વીજ કંપનીના એગ્રિકલચર વીજતારની ચોરી કરનાર દુધાલાલ તથા તેના સાગરીતોએ કામરેજના નનસાડ ગામની હદમાં પરિવાર રેસીડેન્સી પાછળ ભંગારની દુકાનમાં છૂપાવી રાખ્યો હતો. આ ચોરી કરેલા વીજતારનો જથ્થો સુરત ખાતે રહેતો પારસમલ મારવાડીને બોલાવી સગેવગે કરવાની તૈયારીમાં હતાં સુરત જિલ્લા એલસીબીએ કામરેજના નનસાડ ગામે રેડ પાડી હતી. પોલીસે અહીંથી 5 આરોપીને ઝડપી પાડીને કડક પૂછપરછ કરતાં ઈસમોએ પોતાના કારસ્તાન વિશે જણાવ્યું હતું. આરોપીઓએ કબલ્યુ કે, તેઓ કામરેજ,પલસાણા અને બારડોલી તાલુકાના ખેતરાડી વિસ્તારમાં વીજ કંપનીના વીજતારનો અન્ય જથ્થો એલ્યુમિનિયમની ફેક્ટરીમાં વિસ્તાર ઓગાળી ગઠ્ઠા બનાવી સંતાડી દીધા છે.
પોલીસે 36.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: સુરત જિલ્લા એલસીબી પીઆઇ આર.બી.ભટોળએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી કુલ 36.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ ઉપરાંત વીજ તાર ચોરી કરનાર પૃથ્વીરાજ મારવાડી, દુધાલાલ પોખરાજી તેમજ ચોરીનો વીજતારનો જથ્થો ખરીદનાર પપ્પુ યોગી, હેમરાખ યોગી, પારસમલ શાહ અને જમનાલાલ કુમાવતને ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીની સખત પુછપરછ કરતાં સુરત જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ 22 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયોછે.