સુરત : સુરત જિલ્લાના કોસંબાનાં મહુવેજ નજીકથી ઇચ્છાપોરના સિક્યુરિટી ગાર્ડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ મામલે મંગળવારે કોસંબા પોલીસે બેદરકારી કૃત્યની કલમ દાખલ કરી ચાર શખ્સોની ધરપકડ કરી છે. બિમાર યુવકને સારવાર માટે લઈ જવાને બદલે ધમકાવી કંપની બહાર કાઢી મુક્યા બાદ બાઇક પર બેસાડી ખુલ્લી જગ્યામાં નિરાધાર છોડી મુકતા તેનું મોત થયું હોવાનો ભેદ ઉજાગર થયો છે.
સિવિલમાં પેનલ પીએમ : પ્રાપ્ત માહિતી અનુસાર મહુવેજ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી ઇચ્છાપોર ખાતે ડાયમંડ બુર્સમાં સિક્યુરીટી ગાર્ડનું કામ કરતા 27 વર્ષીય જોબનજીતસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસંબા પોલીસે જે તે સમયે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. મૃતકના પરિવારે જોબનજીતસિંહની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેનું સુરત સિવિલમાં પેનલ પીએમ કરાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં મળ્યો ક્લૂ : બીજીતરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી. સીસીટીવીના ફૂટેજે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. એટલું જ નહીં પોલીસે (૧) સંદિપસિંહ ઉર્ફે લાલુ હમીરસિંહ વશી (રહે.મકાન નં.૫૦ રાજપૂત ફળીયુ. મહુવેજ), (૨) અમનકુમાર બિજભુષણ યાદવ (મુળ રહે બિહાર હાલ રહે ફેરડીલ પાર્કની બહાર તા.માંગરોળ), (૩) વિજય બજરંગપ્રદાસ દુબે અને (૪) અમિત વિજય ત્રિપાઠી મુળ (બંને રહે. યુપી હાલ રહે મહુવેજ ગામની સીમમાં શિતલ હોટલની પાછળ સંદિપસિંહ વશીનાં રૂમમાં ભાડેથી તા.માંગરોળ)ની ધરપકડ પણ કરી છે. આ ચારેય મૃતકની લાશ પાસે દેખાયા હતાં. તેમણે જોબનજીતસિંહ બિમાર હોવા છતા દંડો બતાવી બહાર નિકળવાનો ઇશારો કરી કંપનીની મોટર સાઈકલ પર વચ્ચે બેસાડી તમામ લોકોએ દવાખાને લઈ જવાનાં બદલે મહુવેજ ખાતે તેજસ્વી સંસ્કાર વિદ્યાલયની સામે ખુલ્લી જગ્યામાં ફેંકીને ભાગી ગયા હતાં.
ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ સુરત ગ્રામ્ય ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું હતું કે પહેલાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન હાલ ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચારેય ઇસમોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.