સુરત : ઓલપાડ પરા વિસ્તારમાં રહેતો અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો અંજર હૈદરઅલી મલેક (30)ની ગત તારીખ 25 જાન્યુઆરીએ તેના ઘરમાં હત્યા થઇ હતી. ભાડેથી રાખેલા અને સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાના વોન્ટેડ ત્રણ આરોપીઓએ એક સગીરને પોતાની સાથે હત્યાની ઘટનાને અંજામ આપવાના પૂર્વનિયોજિત કાવતરાનું રહસ્ય ઉકેલી હત્યારાઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંજર અને ઈસ્માઈલ જેલમાં એક સાથે રહ્યા બાદ બહાર આવી જમીનને લાગતાં કામકાજ કરતા હતાં.
અંજરની અંગત વ્યક્તિની સંડોવણી : એકબીજાના ખૂબ નજીકના સંબંધો ધરાવતા હોવાથી ઈસ્માઈલ અંજરની તમામ બાબતોએ વાકેફ હતો. અંજર મલેકની હત્યા કરાવવા તે લાંબા વખતથી પ્લાન બનાવતો હોવા સાથે હત્યાની ઘટનાને અંજામ આપવા તેણે અંગત વ્યક્તિને પણ સાથે રાખી હોવાની ચર્ચા છે. વોન્ટેડ ઈસ્માઈલ ઘોડાવાળાને પોલીસ પકડી તલસ્પર્શી તપાસ કરે તો હત્યાની ઘટનામાં તેની સાથે અન્ય અંગત વ્યક્તિનું પણ નામ ખુલવાની શક્યતાઓ રહેલી છે. તેમજ રિમાન્ડ દરમિયાન હત્યાથી સંકળાયેલી અન્ય બાબતો પરથી પણ પરદો ઉચકાવાની પુરેપુરી શક્યતા છે.
હત્યારાઓ 7 દિવસના રિમાન્ડ પર : સુરત જિલ્લા એલસીબી પીઆઇ આર.બી. ભટોળે જણાવ્યું હતું કે હત્યારાઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધા હતાં. હાલ કોર્ટમાં રજૂ કરી ચાર આરોપીઓના સાત દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. હથિયારો ક્યાંથી લાવ્યા, હત્યાનો પ્લાન કરી જગ્યાએ ઘડ્યો હતો, હત્યાની સોપારી કેટલાં રૂપિયામાં લીધી હતી સહિતના 15 મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.