માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણિના વિવાહની તડામાર તૈયારીઓ, તા.17થી 21 એપ્રિલ યોજાશે ભવ્ય ભાતીગળ મેળો - Krishna Rukmani Marriage

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 3:40 PM IST

Updated : Apr 12, 2024, 7:43 PM IST

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણિના વિવાહની તડામાર  તૈયારીઓ

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે તા.17થી 21 એપ્રિલ ભવ્ય ભાતીગળ મેળો યોજાશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણિના વિવાહના વિવિધ ધાર્મિક પ્રસંગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Krishna Rukmani Marriage

તા.17થી 21 એપ્રિલ યોજાશે ભવ્ય ભાતીગળ મેળો

પોરબંદરઃ 17મી એપ્રિલ એટલે કે રામનવમીથી 21 એપ્રિલ સુધી પોરબંદરના માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુકમણિના વિવાહની દિવ્ય અને ભવ્ય ઉજવણી થવાની છે. આ દિવસો દરમિયાન અત્યંત પ્રચલિત એવો ભાતીગળ મેળો પણ ભરાય છે. જેમાં ભકતો દૂર દૂરથી માધવરાયના વિવાહમાં સહભાગી થવાનો લાભ લેવા ઉમટી પડે છે.

કુદરતી સૌંદર્ય ધરાવતું પ્રાચીન તીર્થઃ પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ)અનુપમ કુદરતી સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ હોવા ઉપરાંત એક પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા જેવું સાગરકાંઠાનું અલૌકિક સૌદર્ય માધવપુરમાં જોવા મળે છે. પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલ હાઈવે ઉપર માધવપુર(ઘેડ) 60 કિમીના અંતરે આવેલ છે. આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણિના વિવાહ થયા હોવાની વાયકા છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાનના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ 5 દિવસ ભવ્ય ભાતીગળ મેળો પણ યોજાય છે.

માધવપુરનું અધ્યાત્મિક માહાત્મ્યઃ માધવપુર એક એવું રમણીય સ્થળ છે જયાં શાંત અને નયનરમ્ય સમુદ્ર કિનારો છે. મંદ-મંદ પવનની લહેરો અનુભવાય છે. નજીકમાં નાળીયેરીના વૃક્ષોનું નાનું હરીયાળું વન પવનમાં હીલોળા ખાય છે. જયાં સૂર્ય આથમતો જોવાનો અનેરો રોમાંચ છે. આ પર્યટન સ્થળનું ધાર્મિક માહાત્મ્ય પણ છે. આ પંથકમાં મહાભારત અને ભગવાન કૃષ્ણના પ્રાચીન સમયને આવરી લેતા તીર્થધામો આવેલ છે. શ્રીકૃષ્ણ રુકમણિના લગ્નની આ પવિત્ર ભૂમિ છે. મધુવન-રૂપેણવન છે, એની દ્વાદશ નિકુંજોમાં ભગવાન શ્રી રાસરસેશ્વરનો અખંડ વાસ છે. પ્રત્યેક વર્ષે યોજાતો ચૈત્રી મેળો લોક સમાજનો વસંતોત્સવ છે. આ સાક્ષાત્કાર અને અધ્યાત્મ તેજની ભૂમિ છે. કહેવાય છે કે પોરબંદર, માધવપુર અને ગોકર્ણ-તીર્થનો ત્રિકોણ મકર રાશિ નીચે બંધાણો છે. માધવપુર પુર્નવસુ તીર્થ છે. સંતોમાં શ્રી રામાનુજ, શ્રી વલ્લભથી માંડીને નાથ, કબીર અને ભગવાન સહજાનંદની પરંપરાના અનેક સંત-ભકતો તથા મહાન વિચારક ઓશોના પાવન પગલાં આ ભૂમિમાં થયા છે.

માધવરાય અને રુકમણિ વિવાહના ખાસ કાર્યક્રમોઃ પોરબંદર જિલ્લાના માધવપુર ભાતીગળ મેળા માં દેશ વિદેશ થી અનેક લોકો આવે છે. જેમાં માધવરાય અને રુક્મણિનો વિવાહ પ્રસંગ ખાસ હોય છે. માધવરાય-રુક્મણિનો વિવાહ પ્રસંગ વિશે માધવરાય મંદિરના મુખિયાજી રુચિર સેવકે જણાવ્યું હતું કે, માધવપુરગામ માં રામનવમીથી અગિયારસ સુધી માધવરાયના નિજ મંદિરથી બ્રહ્મ કુંડ સુધી વિશેષ રથમાં રાતે 9 કલાકે માધવરાયની વરણાગી નીકળે છે. જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને દાંડિયા રાસ દ્વારા આનંદ ઉત્સવ ઉજવે છે. બારસ ના દિવસે બપોરે 3 કલાકે માધવરાયની જાન નીકળે છે. જેમાં ભગવાન રથમાં બિરાજે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ધામધૂમ થી માધવરાયનો રથ મધુવન સુધી પહોંચે છે અને રુક્મણિ મંદિરે ચોરી માયરા ખાતે લગ્ન પ્રસંગ પણ યોજાય છે. માધવપુર પ્રભુના લગનોત્સવનો માહોલ આનંદમય બની જાય છે. પછીના દિવસે યુગલ સ્વરૂપે માધવપુરમાં માધવરાય અને રૂકમણિ રથમાં બિરાજ માન થાય છે અને માધવપુરની શેરીમાં ઢોલ અને શરણાઈના તાલે રાસ ની રમઝટ બોલાવતા ભક્તો ગુલાલથી તરબોળ થઈને ફુલેકાનો લ્હાવો માણે છે. આ ફુલેકુ નિહાળવા ભકતોની લાંબી કતારો માધવપુરની નાનકડી શેરીઓની બન્ને બાજુ આતુરતા પૂર્વક ઝાંઝ-પખાજ સાથે છંદ -ભજન તેમજ માધવરાયનો જયકારો બોલાવે છે.

રાષ્ટ્રીય કક્ષાનો મેળોઃ માધવપુરના 5 દિવસના મેળાની રાષ્ટ્રીય કક્ષાના મેળા સ્વરૂપે ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળાના સ્થળે મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર સહિતના રાજ્યોમાંથી કલાકારો કલાના કામણ પાથરશે. આ ઉપરાંત વિવિધ સ્ટોલની પણ સગવડ ઊભી કરાશે. આ તૈયારી માટે વહીવટી તંત્ર દ્વારા 29 જેટલી સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, પાણી, ફૂડ, નાણાકીય, વ્યવસ્થાપન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી સમિતિઓનું નિમાઈ છે. ગુજરાત પવિત્ર ધામ વિકાસ બોર્ડ તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા પણ વહીવટી તંત્રને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

મતદાર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમઃ માધવપુરના મેળામાં દરરોજ 1 લાખથી પણ વધુ લોકો ઉપસ્થિત રહેતા હોય છે. અત્યારે લોકસભાની ચૂંટણી સામે છે. તેથી વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદારોને જાગૃત કરવા માટે પણ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે.

વીવીઆઈપી મૂવમેન્ટ પર ખાસ વોચઃ પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આવા સંજોગોમાં માધવપુરના મેળામાં અનેક વીવીઆઈપી આવતા હોય છે ત્યારે આચાર સહિતા ભંગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ તમામ વીવીઆઈપી મૂવમેન્ટ પર ધ્યાન રાખવામાં આવશે.

  1. આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરા, બડવા બનવા આપવી પડે છે અગ્નિ પરીક્ષા - Tribal Tradition
  2. ક્વાંટમાં હોળીના 4જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો, INDIA ગઠબંધને શક્તિ પ્રદર્શનની તક ઝડપી લીધી - Holi 2024
Last Updated :Apr 12, 2024, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.