ETV Bharat / state

વનવિભાગ કરશે કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની વસતી ગણતરી, પ્રથમ વખત ડ્રોન કેમેરા કામે લગાડાશે - Kutch Ghudkhar Census

author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 4:03 PM IST

કચ્છના નાના અને ગ્રેટ રણ ઓફ કચ્છના 15500 સ્ક્વેર કિલોમીટરમાં વનવિભાગના 750 જેટલા કર્મચારીઓ 372 જેટલી ટીમો અને 1800 જેટલા વોલ્યુન્ટર મળીને ઘુડખરની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. તેમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

વનવિભાગ કરશે કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની વસતી ગણતરી, પ્રથમ વખત ડ્રોન કેમેરા કામે લગાડાશે
વનવિભાગ કરશે કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની વસતી ગણતરી, પ્રથમ વખત ડ્રોન કેમેરા કામે લગાડાશે (ETV Bharat)

કચ્છ : રાજ્યના વનવિભાગ દ્વારા જંગલી ગધેડાઓની ગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા જંગલી ગધેડા એટલે કે ઘુડખરની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. ઘુડખર એક એવી પ્રજાતિ છે જેની વિશ્વમાં એકમાત્ર જંગલી વસતી કચ્છના નાના રણ અને મોટા રણના વિસ્તારમાં જોવા મળે છે. કચ્છના નાના અને મોટા રણના વિશાળ વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમજ વિવિધ પડકારોની વચ્ચે ચોકસાઈપૂર્વક વસ્તી ગણતરી કરવા માટે વનવિભાગે જંગલી ગધેડાઓની ગણતરી માટે પ્રથમ વખત ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

10મી જંગલી ગધેડાની વસતી અંદાજ : ધ્રાંગધ્રા સ્થિત ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક ધવલ ગઢવીએ ઈટીવી ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઘુડખર વસતી ગણતરી ટોટલ બ્લોક કાઉન્ટ પદ્ધતિથી કરવામાં આવતી હોય છે. ગુજરાતના મુખ્ય મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં 10મી જંગલી ગધેડાની વસતી અંદાજ માટે અધિકારીઓને તાલીમ આપવા માટે ધ્રાંગધ્રા ખાતે એક વર્કશોપ યોજ્યો હતો. આ વર્કશોપમાં રાજ્યના કચ્છ પ્રાદેશિક વન વર્તુળના વન સંરક્ષક અને ગાંધીનગર વન્યજીવ વર્તુળના CF એ પણ ભાગ લીધો હતો ઉપરાંત મદદનીશ વન સંરક્ષકો અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને ઘુડખરની વસતી ગણતરી હાથ ધરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

15500 સ્ક્વેર કિલોમીટરમાં ગણતરી હાથ ધરાશે
15500 સ્ક્વેર કિલોમીટરમાં ગણતરી હાથ ધરાશે (ETV Bharat)

372 જેટલા બ્લોક પર બ્લોક કાઉન્ટ પદ્ધતિથી થશે ગણતરી : કુલ 15,500 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગધેડાની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જેને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ભચાઉ, રાધનપુર અને ધાંગ્રધા જ્યાં આગળ જતા 17 જેટલા ઝોન અને 77 જેટલા સબ ઝોનમાં આ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. કચ્છના નાના રણમાં 21 અને 22 મેના રોજ અભયારણ્ય વિભાગનો 450 જેટલા કર્મચારી અને અધિકારીઓ, 372 જેટલા ચોકીદારનો સ્ટાફ ઉપરાંત 400 જેટલા સ્થાનિક ગ્રામજનો, એનજીઓ સાથે સંકળાયેલા લોકો તેમજ વન્યપ્રાણી પ્રેમીઓ સહિત અંદાજિત 1800 જેટલા લોકો દ્વારા 372 બ્લોક પોઇન્ટ પર ઘુડખરની ગણતરી હાથ ધરવામાં આવશે.આ વસતી ગણતરી દરમિયાન માટે ઘુડખર નહીં પરંતુ ચિંકારા, શિયાળ, વરું, રણ લોકડીની પણ સાથે સાથે ગણતરી થશે.

40 ડિગ્રીથી વધારે તાપમાન વચ્ચે ગણતરી : જોકે હાલમાં ચાલી રહેલા હીટ વેવ અને 40 ડિગ્રીથી વધારે તાપમાનમાં ઘુડખરની સાચી ગણતરી કરવીએ પણ એક પડકારજનક રહેશે. કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે વન વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની કીટ પણ સાથે રાખવામાં આવશે તેમજ હિટ સ્ટ્રોક માટે લીંબુ પાણી, ઓઆરએસ, પાણીની બોટલ જેવી પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો તાત્કાલિક સારવાર મળે તેના માટે પણ વન વિભાગના કર્મચારીઓ તહેનાત રહેશે.

2020માં થયેલી ગણતરીમાં ઘુડખરોની સંખ્યા 6082 : વિશિષ્ટ વાત એ છે કે ઘુડખરોનું અસ્તિત્વ કચ્છના નાના રણ અને મોટા રણના વિસ્તારો વિશ્વમાં એકમાત્ર એવા સ્થાનો છે કે જ્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘુડખર કચ્છના રણની જીવસૃષ્ટિની વનસ્પતિ ખાઈને જીવતા શીખ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં 9મી જંગલી ગધેડાની વસતી અંદાજમાં તેમની વસ્તી 6,082 જેટલી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જંગલી ગધેડાઓનું ટોળું પાણીના સ્ત્રોતોની આસપાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ ધરાવે છે, જેના કારણે વન વિભાગને પણ ગણતરીમાં સરળતા થાય છે.

કુલ 15,500 ચોરસ કિલોમીટરમાં વસતી ગણતરી : ઘુડખરની વસ્તી ગણતરીમાં ગાંધીનગર, જૂનાગઢ અને કચ્છના છ વર્તુળોમાં ફેલાયેલા કુલ 15,500 ચોરસ કિલોમીટરમાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે અને પ્રાદેશિક વન વિભાગો ઉપરાંત અમદાવાદ અને મહેસાણાના સામાજિક વનીકરણ વિભાગો, કચ્છના મોટા રણમાં આવેલા કચ્છ રણ અભયારણ્યનો પણ સમાવેશ થશે. વસતી ગણતરી અને સર્વે કર્યા બાદ વસ્તની અંદાજ લગાડવામાં આવશે અને રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

  1. Kutch News: કચ્છના ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે મીઠાની ખેતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ અરજી
  2. Land Mafia In Kutch: ઘુડખર અભયારણ્યની જમીન પર ભૂમાફિયાઓએ બનાવ્યા મીઠાના કારખાના, ગ્રામલોકોએ આપી આત્મવિલોપનની ચીમકી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.