ગાંધીનગર: ગોતા ખાતે રાજપુત ભવનમાં ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની મીટીંગ મળી હતી. આ મીટીંગ નિષ્ફળ જવા પામી છે. ભાજપના ક્ષત્રિય આગેવાનોએ પરત ફરવું પડ્યું હતું. ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી છે. રાજપૂત સમાજ એક સુરે હુંકાર કર્યો છે કે પુરસોતમ રૂપાલાની ટિકિટ કાપવાના મુદ્દે સમાજ કોઈપણ પ્રકારનો સમાધાન નહીં કરે. કારણ કે તેમને રાજપૂત સમાજની બેન-દીકરીઓ પર ટિપ્પણી કરી છે.
પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ: ગોતા રાજપુત સમાજ ભવન ખાતે ભાજપ ક્ષત્રિય આગેવાન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, હકુભા જાડેજા, આઈ કે જાડેજા, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને રાજપુત સમાજના 92 સંસ્થાની સંકલન સમિતિ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત ભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બંધ બારણે મળેલી બેઠકમાં સંકલન સમિતિએ એકસુરે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી છે.
રૂપાલાને હટાવ્યા સિવાય કોઈ વાત રાજપૂત સમાજને મંજૂર નથી: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
બેઠકના અંતે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજપુત સમાજે માંગણી કરી છે કે પરસોતમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી ખસેડવામાં આવે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ સમાજના નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે વિનંતી કરી હતી. અમારી હાજરીમાં સર્વનુંમતે પરસોત્તમભાઈને માફી આપવાનો ઇનકાર કર્યો હતો. હવે બીજી કોઈ બેઠક નહીં થાય. સંકલન સમિતીના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતીએ એક સ્વરમાં ફગાવી છે. આજની બેઠકમાં તમામને સાંભળ્યા છે એ વાત અક્ષરસહ પાર્ટી સમક્ષ રજૂ કરીશું.
પરસોતમ રૂપાલાની બે વખતની માફી એડે ગઈ: રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે.
ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ: ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે.
જાણો શું હતો સમગ્ર વિવાદ?: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.