ETV Bharat / state

સર ટી હોસ્પિટલના તિતર બિતર વિભાગ બન્યા દર્દીઓના માથાનો દુખાવો, ETV Bharat નો ગ્રાઉન્ડ રિપોર્ટ - Bhavnagar Sir T Hospital

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 10:34 AM IST

ભાવનગર શહેરમાં સ્થિત સર ટી હોસ્પિટલમાં સાત માળનું મુખ્ય બિલ્ડીંગ જર્જરિત હોવાથી તેના વિભાગોને નાની મોટી બિલ્ડીંગમાં બદલવામાં આવ્યા છે. સર ટી હોસ્પિટલના તંત્ર વાહકોને રજવાડા સમયનું જૂનું બિલ્ડીંગ આશીર્વાદરૂપ બન્યું છે. પરિસરમાં 13 થી 14 બિલ્ડીંગોમાં વિવિધ વિભાગ વહેંચાયેલા છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિજનોને હાલાકી પડી રહી છે. જુઓ ETV Bharat નો ગ્રાઉન્ડ રિપોર્ટ

ભાવનગર મહારાજા તખ્તસિંહજી સર ટી હોસ્પિટલ
ભાવનગર મહારાજા તખ્તસિંહજી સર ટી હોસ્પિટલ

સર ટી હોસ્પિટલ ETV Bharat નો ગ્રાઉન્ડ રિપોર્ટ

ભાવનગર : ભાવનગર શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખતસિંહજી સર ટી હોસ્પિટલના બધા વિભાગોનો સમાવેશ કરતી સાત માળની બિલ્ડીંગ ભયજનક જાહેર થઈ હતી. બાદમાં દરેક વિભાગ હોસ્પિટલના પટાંગણમાં આવેલા અલગ અલગ બિલ્ડીંગોમાં ફેરવવામાં આવ્યા છે. દર્દીઓને જે તે વિભાગમાં સારવાર માટે અલગ અલગ સ્થળોએ ફરવું પડે છે. ઉપરાંત પાણી અને શૌચાલયની વિકટ સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

જર્જરિત હોસ્પિટલના તિતર બિતર વિભાગ : ભાવનગર શહેરની મધ્યમાં સ્થિત સર ટી હોસ્પિટલમાં સાત માળની બિલ્ડીંગ હતી. જેમાં અલગ અલગ વિભાગ અને કચેરીનો સમાવેશ કરાયો હતો. પરંતુ 2023 જાન્યુઆરીમાં જર્જરીત સ્થિતિના પગલે સર ટી હોસ્પિટલના PIU વિભાગ દ્વારા ભયજનક જાહેર કરવામાં આવ્યું હતું. આથી 2023માં તેને ખાલી કરી દરેક વિભાગ અને કચેરીઓને સર ટી હોસ્પિટલના પટાંગણમાં અલગ અલગ સ્થળ પર આવેલ ખાલી બિલ્ડીંગોમાં બદલવી પડી, ત્યારથી અલગ અલગ વિભાગો અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે.

પાયાની સુવિધાનો અભાવ
પાયાની સુવિધાનો અભાવ

પાયાની સુવિધાનો અભાવ : ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આવતા દર્દીઓને વિભાગોની ખબર નહીં હોવાથી ધક્કા ખાઈ રહ્યા છે. ETV Bharat દ્વારા એક દિવ્યાંગ મહેશભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, હું દર્દી સાથે અહીં અમૃત કાર્ડ રીન્યુ કરાવવા માટે આવ્યો છું. વોર્ડમાંથી હું મેઈન ગેટમાં ગયો અને મેઇન ગેટ બંધ હતો તો ચાલીને અહીંયા છાંયડામાં આવ્યો છું. થાકી ગયો એટલે ઉભો રહી ગયો. શૌચક્રિયા કરવા જવું છે પણ કોઈ વ્યવસ્થા નથી. પીવા માટે પાણી નથી, હોઠ કોરા થઈ ગયા છે.

રજવાડાનું બિલ્ડીંગ પણ જર્જરિત : ભાવનગરની સર ટી હોસ્પિટલમાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા માટે અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા માટે દર્દી તડકામાં સ્ટ્રેચરના સહારે જતા નજરે પડે છે. નવું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે. 150 વર્ષ જૂનું રજવાડાના સમયનું બિલ્ડીંગ પણ જર્જરિત થયું છે. હોસ્પિટલના PIU વિભાગના કાર્યપાલક ઇજનેર અર્પણ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, જૂના બિલ્ડીંગ એક બે ઘૂંમટ જર્જરીત થઈ ગયા છે. જેમાં અમે બે થી ત્રણ વખત ટેન્ડરિંગ કર્યું છે. પરંતુ કોઈ ટેન્ડર ભરવા માટે તૈયાર થતું નથી. આથી અમે પાલીતાણામાં જૈન દેરાસર બનાવતા કારીગરોને ખાસ બોલાવ્યા છે. તેઓ આગળ તેની તપાસ કરીને જવાબ આપશે.

રજવાડાનું બિલ્ડીંગ પણ જર્જરિત
રજવાડાનું બિલ્ડીંગ પણ જર્જરિત

સુપ્રિટેન્ડેન્ટ કહે છે સબ સલામત : ભાવનગરના સર ટી હોસ્પિટલની સ્થિતિ અંગે સુપ્રિટેન્ડન્ટ બ્રહ્મભટ્ટની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાત માળનું બિલ્ડિંગ જૂનું અને જર્જરિત થઈ ગયું છે, PIU દ્વારા ભયજનક જાહેર કર્યું હતું. ત્યારબાદ ઓપીડી, ઓપરેશન થિયેટર સહિત અન્ય વિભાગને અમે ખાલી બિલ્ડીંગોમાં બદલી નાખ્યા અને હાલ સમાવેશ થઈ ગયો છે. એટલે કોઈ હાલાકી જોવા મળતી નથી. જોકે સુપ્રિટેન્ડન્ટે બંધ કેમેરામાં કહ્યું હતું કે, હું તેનાથી વધારે કોઈ જવાબ આપી શકીશ નહીં.

હોસ્પિટલ તંત્રનો ખુલાસો : ભાવનગર સર ટી હોસ્પિટલમાં આવેલા વિવિધ બિલ્ડિંગોના મેન્ટેનન્સ માટે PIU વિભાગ ઊભો કર્યો છે. કાર્યપાલક ઈજનેર કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, 2014 માર્ચ મહિનામાં સાત માળના બિલ્ડીંગનું લોકાર્પણ થયું હતું. પરંતુ 2022 માં કેટલાક માળ જર્જરિત થતા ઉચ્ચ કક્ષાએ કચેરીમાં જાણ કરવામાં આવી હતી. તેની ટીમ દ્વારા તપાસ કરતા 2023 જાન્યુઆરીમાં ભયજનક જાહેર કરીને ખાલી કરવામાં આવ્યું હતું. તે સમયથી આજદિન સુધી એ બિલ્ડીંગ ખાલી છે. અન્ય વિભાગોને અલગ અલગ બિલ્ડીંગમાં ફેરવવામાં આવ્યા છે.

સમસ્યાનું સમાધાન ક્યારે ? ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દરેક વિભાગો જુદી જુદી જગ્યાએ કાર્યરત છે. અર્પણ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, એક જ બિલ્ડીંગમાં બધો સમાવેશ થાય તે માટે પ્લાન સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે. જેમાં 1700 બેડ, દરેક કચેરીઓ અને વિભાગોનો સમાવેશ થશે. રુ. 335 કરોડ મંજૂર થઈ ગયા છે. પ્લાન સરકારના ફાઇનાન્સ વિભાગમાં છે. મંજૂરી મળતા જ નવું બિલ્ડીંગ મળશે. સમગ્ર બિલ્ડીંગ અંદાજે રુ. 686 કરોડના ખર્ચે તૈયાર થશે.

  1. Sir T Hospital Controversy : 200 કરોડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ ન થવાનો વિવાદ, શક્તિસિંહ ગોહિલનો પ્રહાર
  2. Industrial Accident : ફર્નેશમાંથી પીગળેલું મેટલ ઉડતા બે મજૂરના જીવ લીધાં, ભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રણ સારવારમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.