ETV Bharat / state

એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા, જીવના જોખમે શાળાએ જતાં અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ પડતો મુક્યો - Bhavnagar District

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 9:29 PM IST

એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા
એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા

ભાવનગરના સિહોર અને પાલીતાણાના છેવાડાના ગામોના વિદ્યાર્થીઓના અભ્યાસમાં એસટીની સુવિધા દુવિધા બની ગઈ છે. એસટીના અભાવે અનેક વિદ્યાર્થીઓ જીવના જોખમે ભયના ઓથાર વચ્ચે શાળાએ જાય છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ અભ્યાસ પડતો મુક્યો છે. વાંચો ETV Bharat EXPLAINERમાં વિદ્યાર્થીઓની સમસ્યા વિશે વિગતવાર.

એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા

ભાવનગરઃ જિલ્લાના સિહોર અને પાલીતાણા તાલુકાના છેલ્લા ગામ વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા થઈ ચૂક્યા છે. સિંહ- દીપડા જેવા રાની પશુ અને એસટીના અભાવની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે. ETV BHARATએ સમગ્ર ઘટનાને લઈને ગ્રાઉન્ડ ઝીરોથી સમસ્યાનું કારણ શોધ્યું હતું. જીવ જોખમમાં મૂકીને જતા વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને ગામના સરપંચ સહિત શાળા છોડનાર વિદ્યાર્થીઓના ઘર સુધી ETV BHARATપહોંચ્યું હતું. આ સમસ્યા સંદર્ભે એસટી વિભાગે આપેલા જવાબ વિશે પણ વાંચો ETV Bharat EXPLAINERમાં.

એક સરકારી વિભાગની અસર બીજા સરકારી વિભાગનેઃ ભાવનગર જિલ્લામાં એસટી બસના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોનું શિક્ષણ ધૂંધળું થઈ ગયું છે. આ પ્રકારની મળેલી માહિતી બાદ ETV BHARATની ટીમ ભાવનગરથી 45km અંદાજીત પાલીતાણા તાલુકાનું છેલ્લું ગામ નવાગામ ખાતે પહોંચી હતી. નવાગામની હાઈસ્કૂલના આચાર્ય અને બાળકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એક એસટી બસની સુવિધાના અભાવે અનેક બાળકોએ શિક્ષણ છોડ્યું તો કોઈએ શાળા બદલી હોવાનું સામે આવ્યું હતું. ચોરવડલાના 6થી 7 વિદ્યાર્થીઓ જીવના જોખમે આવતા હતા. ઢાકણકુંડા ગામનો એક પણ વિદ્યાર્થી આવતો નથી. આ અહેવાલ પરથી એક સરકારી વિભાગની હાનિકારક અસર બીજા સરકારી તંત્રને થઈ રહી હોવાનું સામે આવ્યું છે.

નવાગામ (બડેલી) હાઈસ્કૂલની મુલાકાતઃ ETV BHARATની ટીમ ભાવનગરથી નીકળી અને પાલીતાણા રોડ પર ઘોડીઢાળથી પશ્ચિમ તરફ જતા રસ્તા પર નવાગામ તરફ આગળ વધી. નવાગામ ચાર રસ્તે આવેલી હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો અને આચાર્ય મહેન્દ્ર મેણીયા સાથે સ્કૂલમાં મુલાકાત કરી હતી. શાળા છોડવાની બાબતને લઈને આચાર્ય મહેન્દ્રભાઈને પૂછ્યું તો તેમને સિંહ,દીપડા અને ST બાળકોના શાળા છોડવાનુ કારણ રજૂ કર્યું હતું.

શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ મેણીયાએ જણાવ્યું હતું કે તેઓ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે બે વર્ષ પહેલાં શાળામાં 40 થી 45 જેટલી સંખ્યા હતી. ધોરણ 9 થી 12 અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે. જો કે ઢાંકણકુંડા અને ચોરવડલાના 40 થી 45 જેટલા વિદ્યાર્થીઓ આવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી STની સુવિધા નહી હોવાને કારણે અને ગ્રામ્યના લોકો ગરીબ હોવાને પગલે આ સંખ્યા ઘટીને 19 થી 20 થઈ ગઈ છે. જે બાળકો આવી રહ્યા છે એ પણ જીવના જોખમે આવી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં સિંહ અને દીપડાઓ રહેલા છે.

ઉપસરપંચ ભગવાનભાઈ એ કહ્યું હતું કે, અમે અરજી એસ.ટી વિભાગને કરેલી છે કે ચોરવડલા ગામના વિદ્યાર્થીઓને જનાવરને કારણે તકલીફ છે પરંતુ બસ મુકવામાં આવી નથી. 2-3 વર્ષથી અમે અરજી કરેલી છે.

નવાગામના પૂર્વ સરપંચ વશરામભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઢાંકણકુંડામાંથી પણ 15થી 20 જેટલા બાળકોએ અભ્યાસ છોડી દીધો છે. ચોરવડલાથી અને નવાગામથી 4થી 5 કિલોમીટરના અંતરે ઢાંકણકુંડા આવેલું છે. ચોરવડલાની જેમ ઢાંકણકુંડામાં ST બસ ન આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ પડતો મુકે છે.

વિદ્યાર્થીઓએ જણાવી સમસ્યાઃ ETV BHARATની ટીમે શાળામાં આવતા ચોરવડલાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી. એક વિદ્યાર્થીની શ્રદ્ધાએ તો જણાવ્યું કે, અમે અમારા જીવના જોખમે સવારે અને સાંજે આવીએ છીએ. ઘણી વખત રસ્તામાં સિંહનો અવાજ સંભળાય છે અને શાળાએથી ઘરે જઈએ ત્યારે એમ થાય છે કે ઘરે પહોંચશું કે કેમ ? ઘરેથી શાળાએ આવીએ ત્યારે શાળાએ પહોંચશું કે કેમ એવો ડર લાગ્યા કરે છે. સિંહ-દીપડાઓ છે અને ચાલીને 4 કિલોમીટર જવુ પડે છે. એકેય બસ આવતી નથી.

એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા

ETV BHARATની ટીમ ચોરવડલા ગામની મુલાકાતેઃ આ સાંભળ્યા બાદ ETV BHARATની ટીમ ચોરવાડલા તરફ આગળ વધી. રસ્તામાં માત્ર કપચીઓ હતી ક્યાંય રસ્તા જેવું જોવા મળતું નહોતું. આજુબાજુમાં ખેતરો હતા. વિદ્યાર્થીઓ એ જ તૂટેલા ફૂટેલા રસ્તામાં ચાલીને આવતા નજરે પડતા હતા. વિદ્યાર્થીઓ જીવના જોખમે જાય છે તેનો અહેસાસ ત્યારે થયો કે જ્યારે ખેતર પૂર્ણ થતાં ગયા અને જંગલ ખાતાના વીડી વિસ્તારની શરૂઆત થઈ. એક પણ તરફ ખેતર જોવા મળતા ન હતા. જંગલનો વિસ્તાર હોવાથી સિંહ અને દીપડા હોવાનો અહેસાસ થતો હતો. થોડો સમય થતા જ 4 કિલોમીટરના અંતરે ચોરવડલા ગામ આવી ગયું. ચોરવડલાના સરપંચનો સંપર્ક સાધ્યો અને અંતે મુલાકાત થઈ હતી.

સરપંચે કાઢ્યો બળાપોઃ ચોરવડલા પોહચતાં જ ETV BHARATની ટીમની મુલાકાત ગામના સરપંચ બાલાભાઈ સોલંકી સાથે થઈ હતી. બાળકોના નવાગામ શાળાએ નહિ જવાનું કારણ પૂછતાં સરપંચ બાલાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા ગામમાંથી લગભગ 30થી 35 વિદ્યાર્થી નવાગામ હાઈસ્કૂલમાં ભણતા હતા. એમાં અત્યારે સાવજના કારણે છોકરાઓ નિશાળે જતા નથી. 7થી 8 જેટલા વિદ્યાર્થીઓ જાય છે. જ્યારે 20થી 22 જેટલી છોકરીઓએ તો સાવ ના જ પાડી દીધી છે. અમારા છોકરાને ભણવું તો છે પણ અસુવિધાના કારણે આ ગામ પછાત રહેવાનું છે. એસટી બસને લઈને તો અમે રૂબરૂ જઈ આવ્યા છીએ અને લેખિતમાં આપ્યું છે. પરંતુ એસટી તંત્ર કોઈ દરકાર લેતું નથી.

શાળા છોડવા મુદ્દે ETV BHARATનું રીયાલિટી ચેકઃ ETV BHARATની ટીમ સાથે શાળાના આચાર્ય નવાગામના અને વિદ્યાર્થીઓના આક્ષેપો વચ્ચે ચોરવડલાના સરપંચના પણ આક્ષેપો બાદ ચોરવડલામાં શાળા છોડી દેનાર વિદ્યાર્થીની હસ્તિકાના ઘરે પહોંચી. હસ્તિકા હાલમાં વાળુકડની 25કિલોમીટર દૂર આવેલી શાળામાં અભ્યાસ કરવા જાય છે. જો કે તેની કિંમત પણ તેના મા-બાપ વાહનના ભાડાની અને ફીની ચૂકવી રહ્યા છે.

હસ્તિકાને નવાગામ વિશે પૂછતા તેણીએ કહ્યું કે, નવાગામ નજીક તો પડે પણ સાવજની બીક લાગેને. અહીંયા વાળુકડ સ્કૂલ બસ આવે છે પણ અમારે અહીંયાથી અપડાઉન કરવું પડે છે.

હસ્તિકાના માતા ઉમાબેન પરમારે જણાવ્યું હતું કે, નવાગામ મોકલવામાં બીક લાગે છે જનાવરની. ઓરું તો પડે છે. અમારી એટલી પરિસ્થિતી નથી કે ફી ભરીને ભણાવી શકીએ. બસ મૂકે તો સારું નહિતર અમારી જેમ અમારા છોકરા પણ વહેલા મોડા ખેતી કરશે.

એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા
એક ST બસની દુવિધાથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળા

અન્ય એક વિદ્યાર્થીની પણ આજ સમસ્યાઃ નવાગામના આચાર્ય ત્યાંના બાળકો બાદ ચોરવડલાના સરપંચ અને હસ્તિકાની મુલાકાત પછી પણ અમે વધુ એક વિદ્યાર્થીની શોધમાં નીકળ્યા ત્યારે ગામના બીજી તરફ હાઇવે તરફ જવાના ચોરવડલા ગામના રસ્તા ઉપર રહેતા હરેશભાઈ કરસનભાઈના ઘરે પહોંચ્યા હતા. જેમની દીકરી અક્ષરાએ ધોરણ આઠ બાદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું નથી. આથી ETV BHARATએ હરેશભાઈને શાળા છોડવાનું કારણ પૂછયુ તો હરેશભાઈ કરશનભાઈએ જણાવ્યું હતું કે, આઠ ધોરણ સુધી ભણી છે અને બહાર મોકલવામાં જનાવરનો ત્રાસ છે. ગામમાં બસની લેવા મુકવાની કોઈ સુવિધા નથી. બસ પહેલા આવતી 20વર્ષ પહેલાં પાલીતાણાની પછી એકેય સરકારી બસ આવતી જ નથી. નવાગામ મોકલવાની હતી ભણવા પણ હવે કોઈ સુવિધા જ નથી તો શું જીવન જોખમેં મોકલીયે?

એસટી વિભાગના જવાબોઃ ETV BHARATએ ચોરવડલા, નવાગામ વગેરેમાંથી જાણ્યું કે નવાગામ હાઈસ્કૂલ તો છે પરંતુ ઢાંકણકુંડા અને ચોરવડલાના વિદ્યાર્થીઓએ સિંહ અને દીપડાના કારણે અભ્યાસ છોડ્યા છે. છેલ્લા 20 વર્ષમાં 8 જેટલી એસટી બસો આવતી હતી તેમાંથી આજે એક પણ બસ આવતી નથી. ગામ લોકોની માંગ છે કે એસ.ટીને વારંવાર રજૂઆત કરી છે. આથી ETV BHARATએ ભાવનગર જિલ્લાના વિભાગીય નિયામક એસ.પી મેત્રોજાને સંપર્ક સાધવાની કોશિશ કરી. પ્રથમ ટેલિફોનિક વાતમાં એસપી મેત્રોજાએ કહ્યું, પાલીતાણા ડેપો મેનેજરને પૂછો હું તજોડા કોર્ટના કામમાં છું. આથી ETV BHARATએ બીજા દિવસે ભાવનગર કચેરીએ પોહચ્યું તો અધિકારી હજાર નહતા. ફરીથી ટેલિફોનિક સંપર્ક સાધ્યો તો ST વિભાગીય નિયામક એસ પી મેત્રોજાએ જણાવ્યું હતું કે અમને તેમની રજૂઆત હજી હવે મળી છે. હાલમાં તો આચારસંહિતા છે એટલે અમે નવી ટ્રીપ શરૂ કરી શકીએ નહીં. પરંતુ ત્યારબાદ શાળાનું નવું સત્ર શરૂ થશે ત્યારે બસ શરૂ સેવા કરી આપશું.

ETV BHARATને અગાઉ પાલીતાણા ડેપો મેનેજર દિગ્વિજયસિંહ ગોહિલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે નવી બસની ટ્રીપ શરૂ કરી શકતા નથી તેનો અધિકાર જિલ્લા વિભાગીય નિયામક પાસે છે. પાલીતાણા ડેપોમાં જ ખૂબ બસો ચાલી રહી છે ત્યારે ગારીયાધાર ડેપોમાંથી વ્યવસ્થા થાય તો વધારે સારું પડે.

વનવિભાગ શું કહે છે?: ETV BHARATએ કરેલી સંપૂર્ણ તપાસ અને રિયાલિટી ચેકમાં સિંહ અને દીપડાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા તે સામે આવ્યું હતું. તેમજ એસટી બસ ન આવતી હોવાથી સીધી અસર હોવાનું સાબિત થયું હતું. આથી સિંહ અને દીપડા સંદર્ભે ETV BHARATએ ભાવનગર જિલ્લાના વન વિભાગના ડીએફઓ મૂંઝાવર સાહેબ સાથે વાતચીત કરતા તેમને ટેલીફોનિક જણાવ્યું હતું કે વન વિભાગના વિસ્તારમાં 2 સિંહ, 1 માદા અને બચ્ચું છે. આ સાથે સિહોર પંથકમાં 7થી 8 દીપડા પણ નોંધાયેલા છે. તેથી સ્પષ્ટ છે કે ગ્રામ્યજનો વાત સાચી હતી કે સિંહ અને દીપડાઓ છે અને એસટી નથી. આથી જીવના જોખમે બાળકોને અભ્યાસ કરવા જવું મુશ્કેલ છે. જો કે જોવાનું એ રહેશે કે સરકાર ગામડાની આ પ્રકારની યુવા પેઢીને શિક્ષણમાં આવતી અડચણ દૂર કરવામાં સફળ રહે છે કે કેમ ?

  1. Mahisagar News : લૂણાવાડા એસટી સ્ટેશનમાં જ ખાડામાં ફસાઇ એસટી બસ, પ્રવાસીઓએ માર્યાં ધક્કા
  2. Rajkot News : ગામમાં બસ શરુ થતાં ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શાળામાં ડગલા માંડશે, ETV BHARATના અહેવાલથી ST તંત્ર જાગ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.