જુનાગઢ: જુડા હસ્તક ઝાંઝરડા વિસ્તારમાં જાહેર કરવામાં આવેલી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને લઈને ખેડૂતો અને સ્થાનિક લોકો વિરુદ્ધ કરી રહ્યા હતા જેમાં પાછલા દોઢ મહિનાથી સતત આંદોલન ચાલતું હતું આવા સમયે આજે ફરી એક વખત ખેડૂતો કિસાન સંઘની આગેવાનીમાં જુડા કચેરી ખાતે એકત્ર થયા હતા જેમાં આગામી દિવસોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમને લઈને રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જે નવા ફેરફારો સૂચવવામાં આવે તેના અમલ સાથે ટીપી સ્કીમ રજૂ કરવાની દરખાસ્ત પર ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો સહમત થતાં સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે.
ઝાંઝરડા ટીપી સ્કીમમાં સમાધાન: જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે જુડા દ્વારા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અલગ અલગ આઠ જેટલી ટીપી સ્કીમો જાહેર કરવામાં આવી હતી. કેટલીક સ્કીમોમાં કામ શરૂ પણ થયું છે પરંતુ ઝાંઝરડા ટીપી સ્કીમમાં ખેડૂતો અને ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા ઝાંઝરડાની ટીપી સ્કીમની અમલવારી અટકી ગયેલી હતી. પાછલા બે મહિનાથી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ઝાંઝરડા ગામના ખેડૂતો અને ગામલોકો આંદોલન કરી રહ્યા હતા જેમાં આજે ફરી એક વખત જુડા કચેરી ખાતે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે એક બેઠક થઈ હતી જેમાં ઝાંઝરડા ટીપી સ્કીમની અમલવારીને લઈને રાજ્યની સરકારનું માર્ગદર્શન માંગવામાં આવશે ત્યારબાદ ઝાંઝરડા ટીપી સ્કીમની અમલવારીને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે તેવું આશ્વાસન મળતા આજે કિસાન સંઘની સાથે ખેડૂતોએ પોતાનું આંદોલન સમાપ્ત કર્યું હતું.
ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયો વિરોધ: જુડા કચેરી દ્વારા ઝાંઝરડા ટીપી સ્કીમ જાહેર કરવાથી ફેબ્રુઆરી મહિનામાં વિરોધના સૂર સામે આવ્યા હતા. ખેડૂતોએ કિસાન સંઘના નેજા હેઠળ ખૂબ મોટી રેલી કરીને જૂનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટીપી સ્કીમ રદ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ અંતિમ નિરાકરણ નહીં આવતા એક અઠવાડિયા પૂર્વે ખેડૂતો ફરી પાછા ધરણા અને આંદોલન પર ઉતર્યા હતા ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટીપી સ્કીમની યોજનાને લઈને સરકાર કોઈ અંતિમ નિર્ણય કરશે તેવી ખેડૂતોને હૈયા ધારણા આપતા આંદોલન પણ સમેટાયું હતું.
આજે ફરી એક વખત ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો જુડા કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 20 તારીખના રોજ એક પત્ર ટીપી સ્કીમ યોજનાને લઈને કલેકટર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જવાબદાર સત્તાધીશોને મોકલવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ટીપી સ્કીમને લઈને ખેડૂતોની જે વાંધા અરજી છે તેનો અભ્યાસ કરીને તેનો નિકાલ થાય તે અંગે કામગીરી કરવા પત્રના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમાં જણાવાયુ હતુ.