ETV Bharat / politics

10 ઉમેદવારો રિપીટ તો 5 નવા ચહેરાને સ્થાન, મનસુખ વસાવાને સતત 7મી વાર ટિકિટ, મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 11:06 AM IST

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે તેની પહેલી ઉમેદવારોની સૂચિ બહાર પાડી છે. કુલ 195 બેઠકોની સૂચિમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોને જાહેર કરી જે લોકમૂખે ચર્ચા હતી એને સાચી ઠેરવી છે. રાજ્યની બહાર પાડેલી 15 ઉમેદવારોની સૂચિમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા તો 5 નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે.

લોકસભા ચૂંટણી  2024
લોકસભા ચૂંટણી 2024

ભાજપે કુલ 195 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 195 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ગુજરાત રાજ્યની 26 બેઠકો પૈકીની 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. ઈટીવી ભારતના અમદાવાદ બ્યૂરો હેડ પરેશ દવેએ આ 15 ઉમેદવારોની જાહેરાત પર કરી છે એક વિચક્ષણ સમીક્ષા.

નવા-જૂના ચહેરાનું કર્યુ સંયોજનઃ ભાજપે પોતાની પહેલી 195 ઉમેદવારોની યાદીમાં ઉત્તરપ્રદેશના વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ, નવસારીથી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને જામનગરથી પૂનમ માડમને ટિકિટ આપી છે. જેની સૌને અપેક્ષા હતી. ગુજરાતમાં જાહેર કરાયેલા 15 ઉમેદવારો પૈકી 10ને રિપીટ કરાયા તો 5 નવા ચહેરાને સ્થાન આપ્યું છે. જાહેર થયેલી 15 ઉમેદવારોની યાદીમાં મહિલા ઉમેદવારોને બનાસકાંઠા બેઠકથી ડૉ. રેખા ચૌધરીને અને જામનગરથી પૂનમ માડમ ટિકિટ ફાળવી છે. અમદાવાદના ડેપ્યૂટી મેયર દિનેશ મકવાણાને અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આણંદથી મીતેષ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી અને બારડોલીથી પ્રભુ વસાવાને રિપીટ કરી ભાજપે જ્ઞાતિ સમીકરણને પણ સાધ્યુ છે.

નો-રિપીટના આગ્રહને નકાર્યોઃ છેલ્લાં એક વર્ષથી રાજ્યમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 4 ઉમેદવારોને બાદ કરતાં 22 ઉમેદવારોને નો-રિપીટ થિયરી હેઠળ ટિકિટ કાપશે એવી લોકચર્ચાનો અંત શનિવાર સાંજે આવ્યો છે. 2022ની વિધાનસભામાં મંત્રી મંડળ પૈકી અનેક દિગ્ગજોની ટિકિટ કાપી નો-રિપીટ થિયરી અપનાવીને 156 બેઠકોને હાંસલ કરનાર ભાજપે 2024ની લોકસભામાં 370 બેઠકો પ્રાપ્ત કરવા ગુજરાતમાં જાહેર કરેલી 15 બેઠકો પૈકી 10 બેઠકો પરના ઉમેદવારોને રિપીટ કરીને મતદારોને પણ ચોંકાવ્યાં છે. વિશેષ તો પાટણ, દાહોદ, બારડોલી અને ભરુચના ઉમેદવારો બદલાશે એવી રાજકીય ચર્ચાઓ સતત વહેતી રહેતી હતી. જેની પર આજે પૂર્ણ વિરામ લાગ્યું છે. કચ્છની અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક પર સતત 3જી ટર્મ માટે વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. ભાજપની આ સેફગેમ દર્શાવે છે કે, ઉમેદવારોને બદલી વિવાદો સર્જવા કરતાં જીતી શકે એવાં જ ઉમેદવારોને ટિકિટ આપી 370 બેઠકો જીતવાનો લક્ષાંક મેળવવો.

રાજ્યસભાના 2 નિવૃત કેન્દ્રીય મંત્રી, હવે આયાતી ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશેઃ રાજ્યભરમાં જે નામોની સૌથી વધુ ચર્ચામાં હતા એવા પૂર્વ રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ ન કરી લોકસભા લડાવાશે. પહેલા એવું મનાતું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ભાવનગર લોકસભા બેઠકથી ટિકિટ અપાશે પણ આમ આદમી પાર્ટીએ કોળી ઉમેદવાર ઉમેશ મકવાણાને ગયા મહિને ઉમેદવાર જાહેર કરી ભાજપને ભાવનગરથી પાટીદાર મનસુખ માંડવિયાને અન્ય બેઠકથી ચૂંટણી લડાવવા માટે મજબૂર કર્યા છે. મૂળ અમરેલીના ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી અને કડવા પટેલ પરષોત્તમ રુપાલાને અમરેલીથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપશે, પણ કડવા પટેલ પરષોત્તમ રુપાલાને રાજકોટથી ટિકિટ આપી છે. આમ બંને રાજ્યસભાના નિવૃત સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓને પોતાના હોમ ડિસ્ટ્રીક્ટના બદલે અન્ય વિસ્તારથી લોકસભાની ચૂંટણી લડાવશે.

જેની ચર્ચા હતી એ 5 સાંસદોની ટિકિટ કપાઈઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 20થી વધુ સાંસદોની ટિકિટ કપાઈ શકે એવી લોકચર્ચાઓ હતી. જેમાં પાટણ, પોરબંદર, દાહોદ, ભરુચ, રાજકોટ બેઠકનો સમાવેશ થતો હતો. ભાજપે પોતાની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી એમાં રાજકોટથી મોહન કુંડારિયા, પોરબંદરના રમેશ ઘડુક, પંચમહાલથી રતનસિંહ રાઠોડ, અમદાવાદથી ડો. કિરીટ સોલંકી અને બનાસકાંઠાના પરબત પટેલની ટિકિટ કાપી છે. પરબત પટેલ સતત વિવાદોમાં રહ્યા અને તેમની ઉંમરને કારણે ટિકિટ કપાઈ છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ તેમના સાંસદ તરીકે નોન-પરફોર્મન્સ અને જૂથવાદના કારણે ટિકિટ કપાઈ છે. ડો. કિરીટ સોલંકી જે અમદાવાદ પશ્ચિમથી સાંસદ છે તેઓ સાથે કેટલાંક વિવાદના કારણે ટિકિટ કપાઈ છે. તો પંચમહાલના સાંસદ રતનસિંહને તેમની નિષ્ક્રીયતાના કારણે ટિકિટથી વંચિત રખાયા છે.

નવા ઉમેદવારોને તક અપાઈઃ લોકસભા માટે ભાજપની પહેલી યાદી જાહેર કરી એમાં જે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે એમાં ડો. રેખા ચૌધરીને બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ નવા ચહેરા છે. અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા લાંબા સમયથી પક્ષ સાથે સંકળાયેલા છે. જ્યારે પોરબંદર અને રાજકોટ ખાતે નવા ઉમેદવાર તરીકે રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રીને ચૂંટણીના રાજકારણમાં ઉતાર્યા છે.

ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોઃ ભાજપે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પર રેખા ચૌધરી, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા, જામનગર બેઠક પર પૂનમ માડમ, આણંદ બેઠક પર મિતેશ પટેલ, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલ સિંહ જાદવ, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવા અને નવસારી બેઠક પર ચોથી વખત સી આર પાટીલને ઉમેદવાર બનાવ્યા છે.

  1. Porbandar Lok Sabha Seat: રમેશ ધડુકનું પત્તુ કપાયું, પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાના નામની જાહેરાત
  2. Kutch Lok Sabha Seat: ગુજરાતની સૌથી મોટી લોકસભા કચ્છ માટે સતત ત્રીજી વાર યુવા સાંસદ વિનોદ ચાવડા રિપીટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.