ETV Bharat / politics

Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 7:01 AM IST

Updated : Mar 7, 2024, 9:40 AM IST

ગુજરાતની આદિવાસી પટ્ટીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની દો-હદ વચ્ચે સંકળાયેલો દાહોદ લોકસભા મતક્ષેત્રનો વિસ્તાર આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે. દાહોદ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. મૂળ ગુજરાત કરતાં ભાષા, સંસ્કૃતિ અને રાજનીતિમાં નોખો પડતા દાહોદની લોકસભા બેઠકનો રોચક ઇતિહાસ છે, શું છે દાહોદ લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ જાણીએ..

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

અમદાવાદ: ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર - 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો. દાહોદનો લોકસભા મતક્ષેત્ર વિસ્તારક ડુંગરાળ અને પથરાળ છે અને ચોમાસું ખેતી પર નભતા આ વિસ્તારમાં મકાઈ, ચણા અને અડદનો પાક ખેતીમાં લેવાય છે. પાનમ, ચિબોટા, કાળી અને ખાન નદી હોવા છતા વિસ્તારના વિકાસમાં અનેક પ્રશ્નો રહ્યાં છે. એવું મનાય છે કે, દાહોદની દૂધીમતી નદી કિનારે દધિચી ઋષિએ તપ કર્યું હતું.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

દાહોદ લોકસભાની બેઠકમાં સંપૂર્ણ રીતે દાહોદ જિલ્લો અને મહિસાગરની એક સંતરામપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં સમાવેશ પામેલી ગુજરાત વિધાનસભાની બેઠકોમાં સંતરામપુર (123, ST), ફતેપુરા (129, ST), ઝાલોદ (130, ST), લીમખેડા (131, ST), દાહોદ (132, ST), ગરબાડા (133, ST) અને દેવગઢ બારિયા (134) નો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા બેઠકો પૈકીની સંતરામપુર, ફતેપુરા, ઝાલોસ લીમખેડા, દાહોદ, અને ગરબાડા બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. જ્યારે દાહોદ લોકસભા મતક્ષેત્રની એક માત્ર દેવગઢબારિયા બેઠક સામાન્ય છે. દાહોદ લોકસભા મતક્ષેત્રના વિસ્તારોમાં સાક્ષરતાદર 49.2%નો છે, જે નીચો સાક્ષરતા દર કહેવાય. બેઠક પર 75% ટકા આદિવાસી મતદારો છે. જ્યારે દાહોદ બેઠક પરના 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે, જેના કારણે ચૂંટણી દરમિયાન ગ્રામીણ પ્રશ્નો ચર્ચામાં રહે છે.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

દાહોદ બેઠકનું નામ સતત બદલાતું રહ્યું છે

દાહોદ લોકસભા બેઠક એવી બેઠક છે, જેનું નામ અને વિસ્તાર સતત બદલાતો રહ્યો છે. 1952ની દેશની પ્રથમ ચૂંટણીમાં બેઠકનું નામ દાહોદ-પંચમહાલ કમ બરોડા ઇસ્ટ બેઠકના નામે ઓળખાતી હતી. જે દાહોદ-પંચમહાલ જિલ્લાની સયુંક્ત લોકસભા બેઠક હતી. 1957માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. 1962 અને 1967માં દાહોદ બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી. ત્યારબાદ 1967માં દાહોદ બેઠક પુનઃ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બની, જે આજ સુધી યથાવત રહી છે.

દાહોદ બેઠક પરથી સળંગ સાત વખત સાંસદ રહેવાનો વિક્રમ સોમજી પુંજાભાઈ ડામોરના નામે

દાહોદ બેઠક પર આરંભમાં કોંગ્રેસ પક્ષનો દબદબો રહ્યો છે. 1957માં નવી રચાયેલી દાહોદ બેઠક પર કોંગ્રેસના જાલજીભાઈ ડિંડોર વિજયી બન્યા હતા. સ્વતંત્ર ગુજરાતની 1962ની પહેલી ચૂંટણીમાં અનુસૂચિત જાતિ ( SC) ઉમેદવાર માટે અનામત બની ત્યારે સ્વતંત્ર પક્ષના હીરાભાઈ બારીયા જીત્યા હતા. પણ બેઠક પર ખરું પ્રભુત્વ તો કોંગ્રેસના સોમજી પુંજાભાઈ ડામોરનું રહ્યું છે. કોંગ્રેસના સોમજી ડામોરે સતત સાત લોકસભા ચૂંટણી જીતી વિક્રમ બનાવ્યો છે. 1977થી 1998 સુધીના 21 વર્ષમાં યોજાયેલ સાત ચૂંટણી સોમજી ડામોરે જીતી હતી. વર્ષ - 2004માં સોમજી ડામોરને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટ ન આપતા કોંગ્રેસ છોડી અને ભારતીય નવશક્તિમાં જોડાઈ ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. ત્યાર બાદ સોમજી ડામોરે 2005માં NCPમાં જોડાયા પણ રાજકારણમાં નોંધપાત્ર સ્થાન મેળવી શક્યા નહીં. 84 વર્ષીય સોમજી ડામોર હાલ અખિલ ભારતીય આદિવાસી પરિષદના પ્રમુખ છે.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

સોમજી ડામોરના રાજકીય અસ્ત બાદ ભાજપનો થયો ઉદય

1999 સુધી દાહોદ લોકસભા બેઠક પર સોમજી પૂંજાભાઈ ડામોરના એકચક્રી પ્રભુત્વને ભાજપના બાબુભાઈ ખીમાભાઈ કટારાએ તોડ્યું. 1992 બાદ દેશમાં બાબરી ધ્વંસના તોફાનોના કારણે અને વધતા જતા હિંદુત્વના રાજકારણની અસર આદિવાસી વિસ્તારોમાં પણ પ્રસરી. ભાજપ-સ્વયંસેવક સંધની આદિવાસી વિસ્તારોમાં એન્ટ્રી અને તેમના સંગઠીત કાર્યોથી કોંગ્રેસ બેખબર રહી જેનાથી ભાજપે કોંગ્રેસની વોટબેંકને હિંદુત્વના મુદ્દે અંકે કરી. 1998 અને 2004ની એમ સતત બે ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ કટારેએ જીતી.

2009માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડૉ. પ્રભાબહેન તાવિયાડે ભાજપથી સતત ત્રીજી ચૂંટણી લડતા સોમજી ડામોરને 58.536 મતે હરાવી સોને ચોંકાવ્યા હતા. મૂળે સાબરકાંઠાના ધંધાસણ ગામના ડૉ. પ્રભાબહેન તાવિયાડ વ્યવસાયે તબીબ હતા. 2014ના મોદી વેવમાં ભાજપના જશવંતસિંહ ભાભોર જે લીમખેડાના ધારાસભ્ય હતા અને રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી હતા એમણે કોંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવિયાડને 2,30,353 મતે હરાવ્યા હતા. 2024ના કેન્દ્રીય મંત્રીમંડળમાં જશવંતસિંહ ભાભોર આદિજાતિ વિભાગમાં મંત્રી રહ્યા હતા. વર્ષ 2019માં બાલાકોટ એર-સ્ટ્રાઈક અને રાષ્ટ્રવાદના નારા હેઠળ યોજાયલ લોકસભા ચૂંટણીમાં ભાજપના બીજી વાર ચૂંટણી લડતા જશવંતસિંહ ભાભોરે પૂર્વ ભાજપી સાંસદ અને કોગ્રેસમાં પક્ષાંતર કરીને ગયેલા બાબુભાઈ કટારાને 1,27,596 મતે હરાવી ભાજપનો દબદબો યથાવત રાખ્યો હતો.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

2004ની રોમાંચક ચૂંટણી, ફક્ત 361 મતથી ભાજપે બેઠક હાંસલ કરી

દાહોદ બેઠક પર વર્ષ-2004માં યોજાયેલી ચૂંટણી સૌથી રોમાંચક રહી છે. 2004માં એક તરફ ગુજરાતમાં ગોધરાકાંડની અસરો અને કેન્દ્રમાં ઈન્ડિયા શાઇનિંગ કેમ્પેઈન વચ્ચે યોજાઇ હતી. જેમાં ભાજપે ત્રીજી વાર બાબુભાઈ કટારાને ઉતાર્યા હતા, તો કોંગ્રેસે ડૉ. પ્રભાબહેન કિશોરભાઈ તાવિયાડને ઉમેદવાર બનાવ્યા હતા. 2004માં ભાજપ અને કોંગ્રેસ સાથે સોમજી ડામોર ભારતીય નવશક્તિ પાર્ટી અને CPI (M) તરફથી સીગજીભાઈ કટારા ચૂંટણી લડ્યા હતા. 2004માં મોટા પાયે રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે પણ માત્ર 5,17,845 એટલે કે માત્ર 42.71% મતદારોએ મતદાન કરી ચૂંટણી જંગને રોચક બનાવ્યો હતો. ભાજપના બાબુભાઈ કટારાને કુલ 2,28,154 (44.06%) મતો પ્રાપ્ત થયા હતા, તો કોંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવિયાડને 2,27,793 (43.99%) મત પ્રાપ્ત થયા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચેના આ રોમાંચક મુકાબલામાં ભારતીય નવશક્તિ પાર્ટીના સોમજી ડામોરના 45,597 (8.81%) મત અને CPI (M)ના સીગજીભાઈ કટારાના 16,301 (3.15%) મતે પરિણામ બદલ્યું હતુ. કોંગ્રેસના બાગી અને નારાજ પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોરના મતો થકી ભાજપના બાબુભાઈ કટારા 361 મતે વિજય પ્રાપ્ત કર્યો હતો.

દાહોદ લોકસભા બેઠક પર દિગ્ગજોએ પણ હારનો સામનો કર્યો

દાહોદ બેઠક પરથી સતત 7 ચૂંટણી જીતનાર કોંગ્રેસના સોમજીભાઈ ડામોર 2004 - 2009 સહિતની કુલ ત્રણ ચૂંટણી હાર્યા છે. 2009માં સોમજીભાઈ ડામોર ભાજપ તરફથી ચૂંટણી લડતા કોંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવિયાડ સામે 58,536 મતે હારી ચૂક્યા છે. જો કોંગ્રેસની વાત કરીએ તો 2004માં સાંસદ બનેલા ડૉ. પ્રભાબહેન તાવિયાડ 2004 અને 2014ની બે ચૂંટણી હાર્યા છે. 2014 અને 2019 એમ સતત બે ટર્મથી સાંસદ રહેલા જસવંતસિંહ ભાભોર ના પિતા સુમનભાઈ ભાભોર 1989, 1991 અને 1996ની એમ ત્રણ ચૂંટણી હાર્યા છે. મહત્વના રાષ્ટ્રીય પક્ષોની સાથે ભીલ સેવા મંડળના પ્રમુખ નરસિંહભાઈ હઠીલા બે ચૂંટણી હાર્યા છે. તો ડૉ. ગોવિંદભાઈ નિનામા બે ચૂંટણી હાર્યા છે.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

2014માં અબ કી બાર મોદી સરકારના નારાએ અપાવ્યો ભવ્ય વિજચ

2014માં મોદી વેવના કારણે દાહોદમાં ભાજપને 2,30,354 મતે વિજય પ્રાપ્ત થયો હતો, જે સિમાચિન્હ વિજયી માર્જિન ગણાય. કારણ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબહેન તાવિયાડ 58, 536 મતે ચૂંટણી જીત્યા હતા. 2009 થી 2014ના સમયગાળા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 41.6% તો કોંગ્રેસે 42.2% મત હાંસલ કર્યા હતા. દાહોદ લોકસભા બેઠક હેઠળ આવતી 7 વિધાનસભામાં પ્રાપ્ત મતોમાં કોંગ્રેસને ભાજપ કરતા કુલ 5,872 મત વધુ પ્રાપ્ત થયા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફતેપુરા, લીમખેડા અને દેવગઢબારિયા હાંસલ કરી હતી. તો કોંગ્રેસે ચાર વિધાનસભા બેઠકો હાંસલ કરી હતી, જેમાં સંતરામપુર, ઝાલોદ, દાહોદ અને ગરબડાનો સમાવેશ થાય છે. 2012ના વિધાનસભા પરિણામો કોંગ્રેસ તરફી રહ્યાં હતા છતાં 2014માં કોંગ્રેસે મોટા માર્જિનથી દાહોદ બેઠક નરેન્દ્ર મોદીના ચહેરા અને હર હર મોદી, ધર ઘર-ઘર મોદીના સ્લોગન, અબ કી બાર મોદી સરકારના નારાથી દાહોદ મોટા માર્જિનથી હાંસલ કરેલ હતુ.

2019માં મોદી હૈ, તો મુમકીન હૈ નો નારો બન્યો આદિવાસી વિકાસનો નારો

2014ની જેમ 2019માં દાહોદ લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે આદિવાસી મતદારોએ ભાજપના રિપીટ થયેલા ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 2014ની લીડ કરતાં ઓછી લીડ સાથે જીતાડ્યા. 2019માં કોંગ્રેસને 2014ની સરખામણીએ 9% વધુ મતો પ્રાપ્ત થયા હતા. 2019માં કોંગ્રેસે ભાજપના પુર્વ સાંસદ બાબુભાઈ કટારાને ટિકિટ આપી ચૂંટણી જંગને રસપ્રદ બનાવવાની કોશિષ કરી હતી. પણ ભાજપના જસવંતસિંહ ભાભોરને આદિજાતિના મંત્રી હતા એ કારણે કોંગ્રેસના બાબુભાઈ કટારા કરતાં 12% મત વધુ પ્રાપ્ત થયા હતા.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

2019માં ભાજપના જસવંતસિંહ ભાભોર 5,61,760 મતે જીત્યા હતા. 2014થી 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં દાહોદ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને 45.5% અને ભાજપને 47.2% મત પ્રાપ્ત થયા હતા. 2012ની વિધાનસભા ચૂંટણી કરતાં કોંગ્રેસે 2017માં 3.5% મત ગુમાવ્યા હતા, તો ભાજપે વિધાનસભાની સાત બેઠકો પર 6% મતની વૃદ્ધિ કરી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપને 17,102 મતો 1.2% વધુ પ્રાપ્ત થયા હતા.

દાહોદ લોકસભા મતક્ષેત્ર હેઠળની 7 વિધાનસભા બેઠકો પૈકી 2017ની વિધાનસભા બેઠકો પૈકી ભાજપને 4 (સંતરામપુર, ફતેહપુર, લીમખેડા, દેવગઢબારિયા) તો કોંગ્રેસને 3 (ઝાલોદ, દાહોદ અને ગરબાડા) વિધાનસભા બેઠકો પ્રાપ્ત થઈ હતી.આમ, 2019 લોકસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2012ની સરખામણીએ એક બેઠક વધુ પ્રાપ્ત થઈ હતી.

Dahod Lok Sabha Seat
Dahod Lok Sabha Seat

2024માં શું ભાજપ મારશે હેટ્રીક કે કોંગ્રેસનું થશે કમબેક ?

દાહોદ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યા છે. છતાં છેલ્લા દસકાથી કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળે છે. 2024માં ભાજપ માટે મોદીની ગેરંટી, મોદી સરકારની કલ્યાણ યોજનાઓ અને PM મોદીનો ચહેરો અસરકારક રહેશે. તો કોંગ્રેસ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, હયાત સાંસદની ઓછી સક્રિયતા અને વિવાદોને લઈ ચૂંટણીમાં ઉતરશે. આ સાથે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીની માર્ચ મહિનામાં દાહોદ લોકસભા મતક્ષેત્રના ઝાલોદથી આરંભાતી ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસના પરંપરાગત આદિવાસી, મુસ્લિમ, અનુસૂચિત જાતિના મતદારોને અસર કરી શકે તો ભાજપ - કોંગ્રેસ વચ્ચે રસપ્રદસ ચૂંટણી જંગ થઈ શકે છે.

સવાલ છે કે, ભાજપ શું જસવંત ભાભોરને ત્રીજી વાર મેદાને ઉતારશે કે નવો ચહેરો ઉતારી હયાત સાંસદ પ્રત્યેનો અસંતોષ ખાળશે. તો કોંગ્રેસને હવે નવો આદિવાસી ચહેરો ઉતારવા સિવાય છૂટકો નથી. આમ આદમી પાર્ટી હવે મતોનું વિભાજન નહી કરી શકે. પણ યક્ષપ્રશ્ન દાહોદ લોકસભા બેઠક પર અપક્ષોનો રહેશે. શું અપક્ષ અને અન્ય રાજકીય પક્ષો 2024ના ચૂંટણી જંગના પરિણામને પ્રભાવિત કરશે ? આ પ્રશ્નનો જવાબ તો મે - 2024માં જ મળશે.

  1. Bardoli Lok Sabha Bethak: બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વાર પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા
  2. Banaskantha Lok Sabha Seat: પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વના એવા બનાસકાંઠાના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી
Last Updated : Mar 7, 2024, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.