ETV Bharat / politics

જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ચેહરાની કરી પસંદગી..જાણો કેવી છે રણનીતિ ? - lok sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 11:01 PM IST

જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવીયા આપી ટિકિટ
જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવીયા આપી ટિકિટ

કોંગ્રેસ દ્વારા આજે લોકસભાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 11 ઉમેદવારો નામ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાજપનો ગઢ ગણાતી જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. અને તે છે જે.પી.મારવીયા. ત્યારે વિસ્તારથી જાણીએ તેમના વિશે આ વિસ્તૃત અહેવાલમાં...

જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ ઈટીવી ભારત સાથે કરી વાત

જામનગર: જામનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવીયા એટલે કે, જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયાને ઉમેદવાર બનાવ્યાં છે. કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, ૪૩ વર્ષની ઉંમરના પાટીદાર ચહેરાને કોંગ્રેસે આ વખતે દાવ રમ્યો છે. ૧૪ વર્ષ બાદ જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવાર સામે પાટીદાર સમાજના ઉમેદવારનો મુકાબલો થશે. ગત બન્ને ચૂંટણીમાં એટલે કે ર૦૦૯ અને ર૦૧૪માં ભાજપના આહિરની સામે કોંગ્રેસના આહિર ચૂંટણી લડ્યા હતાં.

જે.પી.મારવીયાને ઉતાર્યા મેદાનમાં: ભાજપ દ્વારા જામનગરની બેઠક પર પૂનમબેન માડમનું નામ જાહેર કરવામાં આવ્યા પછીથી કોંગીના ચહેરાને લઈને સસ્પેન્શ હતું, કોંગ્રેસ તરફથી આ આ બેઠક પર જે.પી. મારવીયા ઉપરાંત બીજા બે-ત્રણ નામ પણ ચર્ચામાં હતાં, પરંતુ આખરે કેન્દ્ર અને ગુજરાતના કોંગી હાઈકમાન્ડ તરફથી જેવી મારવીયાની પસંદગી કરવામાં આવી છે.

કોણ છે જે.પી.મારવીયા: જિલ્લા પંચાયતની નિકાવા સીટ પરથી વિજેતા થઈને વિપક્ષી નેતા બનેલા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, રાજકોટ ખાતે એમની ઑફિસ છે, રર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે, કાલાવડ તાલુકા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હોવાથી સંગઠ્ઠનની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કાલાવડ એપીએમસીમાં ડાયરેક્ટર અને નિકાવા સેવા સહકારી મંડળીના સદસ્ય છે, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન ગણાય છે.

આહિર V/s પાટીદાર: જામનગરની બેઠક પર ર૦૦૯ અને ર૦૧૪માં ભાજપના પૂનમબેન માડમની સામે બન્ને વખત કોંગ્રેસના આહિર ઉમેદવાર પરાજિત થઈ ચૂક્યા હોવાથી આ વખતે કોંગ્રેસ જ્ઞાતિના ગણિતના આધારે દાવ રમી રહ્યાં છે. પ્રબળ શક્યતાઓ હતી તે સાચી ઠરતી દેખાય છે અને પાટીદાર સમર્પિત ૧ર-જામનગર લોકસભાની બેઠક પર પાટીદાર ચહેરાને કોંગ્રેસે નક્કી કર્યા છે.

જામનગર લોકસભા બેઠક પર હેટ્રીક નોંધાવનારા ભાજપના પૂનમબેન માડમ હાલાર માટે મોટું નામ ધરાવે છે, અનુભવ પણ એમની પાસે બહોળો છે, એવા સંજોગોમાં નવા ચહેરા એવા જે.પી. મારવીયા એમની સામે કેવો દેખાવ કરે છે? એ આવનારા સમયમાં સ્પષ્ટ થશે.

કેવી રીતે થઈ મારવીયાની પસંદગી: અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસની હાઈકમાન્ડ બે નામ વચ્ચે અટવાયેલી હતી. જો કે, જામનગર કોંગ્રેસના એક માત્ર આધારસ્તંભ એવા પૂર્વ સાંસદ વિક્રમ માડમ દ્વારા જે.પી. મારવીયાને ઉમેદવાર બનાવવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું અને આ નામ સિવાયના બીજા નામ માટે એમણે સહમતી દર્શાવી નહોતી, કદાચ આ બાબત પણ જે.પી. મારવીયાની પસંદગી માટે ક્યાંકને કયાંક કારણભૂત માનવામાં આવે છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે, પાછલી વિધાનસભાની ચૂંટણીમાં હાલારની સાત બેઠકમાંથી કોંગ્રેસને એક પણ મળી નથી, પરંતુ ‘આપ’ પાસે જામજોધપુરની બેઠક છે. ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવ્યા હતાં તે પણ ચોંકાવનારા હતા. ખંભાળિયાની બેઠક પર તો ઈશુદાન ગઢવી મત મેળવવામાં બીજા નંબરે રહ્યાં હતાં. આ ગઠબંધનના કારણે જો ખરેખર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીનો મુકાબલો કરશે તો ચૂંટણી જંગમાં થોડોઘણો ઉત્તેજનાનો રંગ પૂરાઈ શકે છે, અન્યથા વર્તમાન સંજોગો પ્રમાણે ભાજપને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.

  1. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
  2. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા, પાટીદાર યુવા નેતા નિલેશ કુંભાણી પર કળશ ઢોળ્યો - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.