બિહાર : બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના કાફલાને અકસ્માત નડ્યો છે. તેમની જન વિશ્વાસ યાત્રા દરમિયાન એક માર્ગ અકસ્માતમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું છે. આ ઘટના પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલૌરી ચોક પાસે બની હતી. તેજસ્વી યાદવના કાફલાને એસ્કોર્ટ કરી રહેલા પોલીસ વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એસ્કોર્ટ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેજસ્વી યાદવના કાફલાને અકસ્માત નડ્યો : તેજસ્વી યાદવનો કાફલો પૂર્ણિયાથી કટિહાર જઈ રહ્યો હતો. આ ઘટના બાદ કેન્દ્રીય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે પૂર્ણિયા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા નાયબ પોલીસ અધિક્ષક પુષ્કર કુમારે જણાવ્યું હતું કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના કાફલાને કટિહાર બોર્ડર સુધી મુકવા જઈ રહેલ પોલીસ વાહન બેલૌરી ચોક પાસે કટિહારથી પૂર્ણિયા તરફ આવી રહેલી કાર સાથે અથડાયું હતું.
એસ્કોર્ટ વાહનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે લગભગ અડધો ડઝન પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓ પૂર્ણિયાની મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. -- પુષ્કર કુમાર (નાયબ પોલીસ અધિક્ષક)
એક પોલીસકર્મીનું મોત : પોલીસ વાહન તેજસ્વી યાદવના કાફલાને એસ્કોર્ટ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો હતો. જોકે ઘટના બાદ તેજસ્વી યાદવ અકસ્માત સ્થળે પોલીસ કર્મીઓના ખબર-અંતર પૂછવાને બદલે કટિહાર જવા રવાના થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પૂર્ણિયાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. જે કાર સાથે પોલીસ વાહન અથડાયું તેમાં 5 લોકો સવાર હતા અને કટિહારથી પૂર્ણિયા થઈને ફારબિસગંજ જઈ રહ્યા હતા.