ETV Bharat / bharat

PM Modi Varanasi Visit : કાશીમાં સંત રવિદાસ સમક્ષ પીએમ મોદીએ શીશ ટેકવ્યું, જનતા સમક્ષ રજૂ કર્યું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2024, 2:09 PM IST

વડાપ્રધાન મોદી બે દિવસીય વારાણસી યાત્રા પર છે. આજે પીએમ મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી સાથે પૂર્વાંચલ અને ઉત્તર પ્રદેશના લોકોને 13,202 કરોડ રૂપિયાની 36 વિકાસ યોજના ભેટ આપશે. તેમણે BHU માં સંસદીય સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરી અને ભોજપુરીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદી વારાણસી મુલાકાત
પીએમ મોદી વારાણસી મુલાકાત

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે રાત્રે બે દિવસીય પ્રવાસ માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. બાબતપુરના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટથી બનારસ લોકોમોટિવ વર્કશોપના ગેસ્ટ હાઉસ સુધીના 25 કિલોમીટરના રૂટ પર પીએમ મોદીનો અઘોષિત રોડ શો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ બનારસ લોકોમોટિવ વર્કશોપના ગેસ્ટ હાઉસમાં રાત્રે આરામ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે નિર્ધારિત સમયે બનારસ લોકોમોટિવ વર્કશોપના ગેસ્ટ હાઉસથી BHU પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કાશી સાંસદ સંસ્કૃત પ્રતિયોગિતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓને પીએમ મોદીએ પુરસ્કાર આપી સન્માન કર્યું અને વેદ વાંચનાર વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, કાશી સર્વવિદ્યાની રાજધાની છે. આજે કાશીની તે શક્તિ અને સ્વરૂપ ફરી સુધરી રહ્યું છે. આ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે.

કાશી વિશે સંપૂર્ણ માહિતી આપતા બે પુસ્તકો પણ અહીં લોન્ચ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કાશીની વિકાસગાથાના દરેક તબક્કા અને અહીંની સંસ્કૃતિનું પણ આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે બધા માત્ર નિમિત છીએ, કાશીમાં જે કરે છે તે મહાદેવ છે. જ્યાં મહાદેવની કૃપા થાય છે તે ધરતી સમૃદ્ધ બને છે.

13,202 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ
13,202 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતની સમૃદ્ધિની ગાથા આખી દુનિયામાં કહેવામાં આવતી હતી. આની પાછળ માત્ર ભારતની આર્થિક તાકાત જ નહીં પણ આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ પણ હતી. કાશી જેવા આપણા તીર્થસ્થાનો અને વિશ્વનાથ ધામ જેવા આપણા મંદિરો રાષ્ટ્રની પ્રગતિ માટે યજ્ઞ સ્થાનો હતા. અહીં સાધના પણ થતી હતી અને શાસ્ત્રાર્થ પણ થતા હતા. અહીં સંવાદ પણ થતા અને શોધ પણ અહીં થતી હતી. અહીં સંસ્કૃતિના સ્ત્રોત પણ હતા અને સાહિત્ય સંગીતના પ્રવાહ પણ હતા.

કાશી શિવની નગરી પણ છે અને બુદ્ધના ઉપદેશોની પણ ભૂમિ છે. કાશી જૈન તીર્થંકરોનું જન્મસ્થળ છે અને આદિ શંકરાચાર્યે પણ અહીંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર દેશમાંથી અને દુનિયાના ખૂણે ખૂણેથી લોકો જ્ઞાન, સંશોધન અને શાંતિની શોધમાં કાશી આવે છે. દરેક પ્રાંત, દરેક ભાષા, દરેક બોલી, દરેક રિવાજના લોકો કાશીમાં આવીને વસ્યા છે. જ્યાં આવી વિવિધતા હોય ત્યાં નવા વિચારો જન્મે છે.

કાશી તમિલ સંગમમ અને ગંગા પુષ્કરાલુ મહોત્સવ જેવા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો પણ ભાગ વિશ્વનાથ ધામ બની ગયું છે. નવી કાશી નવા ભારતની પ્રેરણા તરીકે ઉભરી આવી છે. હું આશા રાખું છું કે અહીંથી આવનારા યુવાનો સમગ્ર વિશ્વમાં ભારતીય જ્ઞાન, પરંપરા અને સંસ્કૃતિના ધ્વજવાહક બનશે. આપણા જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના વિકાસમાં જે ભાષાઓએ સૌથી મોટું યોગદાન આપ્યું છે તેમાં સંસ્કૃત સૌથી પ્રમુખ છે. ભારત એક વિચાર છે, સંસ્કૃત તેની મુખ્ય અભિવ્યક્તિ છે. ભારત એક પ્રવાસ છે, સંસ્કૃત તેના ઈતિહાસનો મુખ્ય અધ્યાય છે. ભારત વિવિધતામાં એકતાની ભૂમિ છે, સંસ્કૃત તેનું મૂળ છે.

આગામી પાંચ વર્ષમાં દેશ આ આત્મવિશ્વાસ સાથે વિકાસને નવી ગતિ આપશે, દેશ સફળતાના નવા દાખલા રચશે અને આ મોદીની ગેરંટી છે. કાશીની શોભા વધવા જઇ રહી છે... રસ્તા બનશે, પુલ બનશે, ઈમારતો પણ બનશે પણ અહીં મારે દરેક નાગરિકને સુંદર બનાવવા છે, દરેક મનને સુંદર બનાવવા છે અને સેવક બનીને તેને સુંદર બનાવવા છે, સાથી બનીને તેને સુંદર બનાવવા છે.

આ કાર્યક્રમ બાદ પીએમ મોદી સંત રવિદાસના મંદિરે પહોંચ્યા અને શીશ નમાવ્યું. અહીં તેમણે આધ્યાત્મિક પ્રવાસન વિકાસ કાર્યનો શુભારંભ કર્યો તેમજ ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાનું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ લોકો સમક્ષ રજૂ કર્યું તેમજ આગામી વર્ષોની યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું.

પીએમનું બનારસમાં સ્વાગત
પીએમનું બનારસમાં સ્વાગત

જનસભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, રવિદાસજીએ સમાજને આઝાદીનું મહત્વ પણ જણાવ્યું હતું અને સામાજિક વિભાજનને દૂર કરવાનું કામ પણ કર્યું હતું. તેમણે ઉંચનીચ, અસ્પૃશ્યતા અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારતનો ઈતિહાસ છે કે જ્યારે પણ દેશને જરૂર પડે છે ત્યારે કોઈને કોઈ સંત, ઋષિ કે મહાન વ્યક્તિત્વ ભારતમાં જન્મે છે. સંત રવિદાસજી ભક્તિ ચળવળના એક મહાન સંત હતા, જેમણે નબળા અને વિભાજીત ભારતને નવી ઉર્જા આપી હતી.

આજે મને સંત રવિદાસજીની નવી પ્રતિમાનું ઉદઘાટન કરવાનો લહાવો પણ મળ્યો છે. સંત રવિદાસ મ્યુઝિયમનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યો માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંના સાંસદ હોવાથી બનારસમાં આપ સૌનું સ્વાગત કરવાની અને આપની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવાની મારી વિશેષ જવાબદારી છે. મને ખુશી છે કે મને સંત રવિદાસજીની જન્મજયંતિ પર આ જવાબદારી નિભાવવાની તક મળી છે.

આજે અમારી સરકાર રવિદાસજીના વિચારોને આગળ વધારી રહી છે. ભાજપ સરકાર સૌની છે, ભાજપ સરકારની યોજનાઓ દરેક માટે છે. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' આ મંત્ર 140 કરોડ દેશવાસીઓને જોડવાનો મંત્ર બની ગયો છે. વંચિત સમાજને પ્રાધાન્ય આપવાથી જ સમાનતા આવે છે. જે વર્ગ વિકાસના પ્રવાહથી દૂર રહી ગયો છે તેમને ધ્યાનમાં રાખીને જ છેલ્લા 10 વર્ષમાં કામ કરવામાં આવ્યું છે. પહેલા જે ગરીબોને છેલ્લા ગણવામાં આવતા હતા, આજે સૌથી મોટી યોજના તેમના માટે જ બનાવવામાં આવી છે.

આજે દેશના દરેક દલિત અને દરેક પછાત વ્યક્તિએ વધુ એક વાત ધ્યાનમાં રાખવાની છે. આપણા દેશમાં જાતિના નામે ઉશ્કેરવામાં અને લડાવવામાં માનતા ઈંડી ગઠબંધનના લોકો દલિતો અને વંચિતોના લાભ માટેની યોજનાઓનો વિરોધ કરે છે. જાતિ કલ્યાણના નામે આ લોકો પોતાના પરિવારના સ્વાર્થની રાજનીતિ કરે છે.

  1. PM Modi In Mahesana: તરભ વાળીનાથ ધામમાં PM મોદીએ કરી પૂજા, કહ્યું - 'દેવ સેવા અને દેશ સેવા એકસાથે થઇ રહી છે'
  2. PM Modi Jammu Visit: PM મોદીએ જમ્મુમાં એઈમ્સનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું - દેશમાં જમ્મુ-કાશ્મીરનો થશે જય-જયકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.