છત્તીસગઢ : બીજાપુર જિલ્લામાં ચાલી રહેલા નક્સલ નાબુદી અભિયાનની સકારાત્મક અસર જોવા મળી રહી છે. આજે 14 મે, મંગળવારના રોજ 30 નક્સલવાદીઓએ બીજાપુર પોલીસ અને અન્ય સુરક્ષા દળોના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ નક્સલવાદીઓએ છત્તીસગઢ સરકારની પુનર્વસન અને આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કર્યું છે.
નક્સલ સંગઠન છોડવાનું કારણ શું ? આત્મસમર્પણ કરેલા તમામ નક્સલવાદીઓ સંગઠનમાં કામની અવગણના, ભેદભાવપૂર્ણ વર્તન, ઉત્પીડન, માઓવાદીઓની પોકળ વિચારધારા અને આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારોથી પરેશાન હતા. તેથી આ નક્સલવાદીઓ રાજ્ય સરકારની શરણાગતિ નીતિઓથી પ્રભાવિત થયા અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિ હેઠળ આત્મસમર્પણ કરેલ દરેક વ્યક્તિને 25,000 રૂપિયાનું રોકડ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
30 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું : આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓમાંથી 9 નક્સલવાદીઓ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમના પર કુલ 35 લાખ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાંથી બે નક્સલી પર રુ. 8 લાખ, 4 નક્સલી પર રુ. 5 લાખ અને અન્ય ત્રણ નક્સલી પર રુ. 1-1 લાખનું ઇનામ હતું. આ 9 ઈનામી નક્સલી સહિત કુલ 30 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
સુરક્ષા દળના પ્રયાસોની અસર : રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓ સતત નક્સલ નાબૂદી માટે કામગીરી કરી રહ્યા છે. જેમાં DRG, બસ્તર ફાઇટર, STF, કોબ્રા અને CRPF ટીમો સતત નક્સલ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા છે. જેની અસર જમીન પર પણ જોવા મળી રહી છે.