સુરત: કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા ભારતની જનતા શરૂઆતના તબક્કામાં તૈયાર નહોતી. જેને લઇને સરકાર દ્વારા વિવિધ રીતે કોરોના સામે રક્ષણ મેળવવા જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત જ્યારે પણ કોઈ વ્યક્તિને ફોન કરવામાં આવે, ત્યારે તેને 15થી 20 સેકન્ડ લાંબી કોરોનાની જનજાગૃતિ ફેલાવતી કોલર ટ્યુન સંભળાવવા સરકારે તમામ સેલ્યુલર કંપનીઓને આદેશ આપ્યા હતા. જો કે, આ કોલર ટ્યુન શરૂઆતમાં લોકો માટે ફાયદાકારક હતી, પરંતુ ઈમરજન્સી સમયે કોલર ટ્યુન વાગવાને કારણે લોકોની 15થી 20 સેકન્ડ વેડફાઈ રહી છે. જેના કારણે તેમને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવે છે. જેથી સુરત ડિસ્ટ્રિક્ટ ટેલીફોન એડવાઇઝરી કમિટીના સભ્ય યસ દેસાઈએ દેશના ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ કોલર ટ્યુન બંધ કરાવવાની માંગણી કરી છે.