ગુજરાત

gujarat

Morbi Bridge Collapse: દુર્ઘટનામાં કેટલાક પરિવારે તો એકનો એક દિકરો ગુમાવ્યો છે એટલે 10 લાખથી કંઈ ના થાયઃ પીડિત

By

Published : Feb 22, 2023, 4:25 PM IST

Morbi Bridge Collapse: દુર્ઘટનામાં કેટલાક પરિવારે તો એકનો એક દિકરો ગુમાવ્યો છે એટલે 10 લાખથી કંઈ ના થાયઃ પીડિત

અમદાવાદ:મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના મામલે વચગાળાના વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ અને ઈજાગ્રસ્તને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા આરોપી જયસુખ પટેલને હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ હુકમ અંગે પીડિતે જણાવ્યું હતું કે, 10 લાખ આજીવન ચાલે એવી રકમ નથી. આમાંથી કેટલાક યુવાનો તો એવા હતા, જે ઘરના એકના એક યુવાન હતા. ત્યારે હવે જે યુવાન પર ઘર ચાલતું હતું. તેનું જ આમાં મૃત્યુ થતાં આવા પરિવારોનું ઘર કઈ રીતે ચાલશે તે સવાલ છે. હાઈકોર્ટે 10 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે, પરંતુ આ 10 લાખથી આખી જીંદગી કામ ન ચાલે. એટલે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ.

દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા : ઑક્ટોબર 2022માં મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે દુર્ઘટનાના પીડિત પરિવારો આજે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમણે યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે, હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, દરેક મૃતકના પરિવારજનોને આરોપી જયસુખ પટેલને 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવું પડશે. પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખનું વચગાળાનું વળતર ચૂકવવા હાઈકોર્ટે હુકમ આપ્યો  છે. જેમના જીવ ગયા છે એમના જીવતો પાછા નહીં આવે અહીં તો માત્ર વળતર ચૂકવવાનો પ્રયાસ થઈ શકે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું. 

દુર્ઘટનામાં કોઈએ સંતાન તો કોઈએ માતાપિતા ગુમાવ્યા છે : આ પહેલા આરોપી જયસુખ પટેલે 5 લાખ રૂપિયાનું વળતર ચૂકાવવાની તૈયારી બતાવી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે, આ વળતર પણ હજી ઓછું છે. ત્યારે જયસુખ પટેલના વકીલે જણાવ્યું છે કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આ રીતે આપી શકીએ એમ છીએ. રાજ્ય સરકારને HCની ટકોર છે કે, દુર્ઘટનામાં કોઈએ સંતાન તો કોઈએ માતાપિતા ગુમાવ્યા છે. આ વળતર તમે કેવી રીતે ચૂકવશો. તેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે બેન્ક દ્વારા જ વળતર મળે તેવી વ્યવસ્થા કરી છે. ઉલ્લેખનીય છે કે, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પૂલના રિપેરીંગ અને મેઈન્ટેનન્સની 15 વર્ષ માટેની જવાબદારી ઓરેવા ગૃપને આપવામાં આવી હતી. ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા હતા. મોરબી પોલીસે ઝૂલતા દૂર્ઘટનામાં ત્રણ મહિના બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. અત્યારે તે જેલહવાલે છે.

ABOUT THE AUTHOR

...view details