જૂનાગઢમાં:શહેરમાં આવેલા અતિ ભારે વરસાદને કારણે લોકોને ઘરમાં ખૂબ પારાવાર નુકસાન થયું છે. જેને મદદરૂપ બનવા માટે બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થા જૂનાગઢ અને ગોંડલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ દ્વારા સંયુક્ત પણે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેની તૈયારીમાં હરિભક્તો લાગ્યા છે. મંદિરમાંથી જ તૈયાર ફૂડ પેકેટો ને સ્વયંસેવકો અને હરિભક્તો દ્વારા પ્રત્યેક વ્યક્તિના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિદિન ત્રણથી ચાર હજાર જેટલા ફૂડ પેકેટ બપોર અને સાંજ એમ બે વખતે વિતરણ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ સંકટ ભર્યા સમયમાં સ્વામિનારાયણ મંદિરે સેવાની સરવાણી શરૂ કરી છે. જોકે, આ કોઈ પહેલી આફત નથી કે, આ પ્રકારનો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના સેવાયજ્ઞ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાના આગેવાનો તેમજ ભાવિકો પણ ખરા દિલથી જોડાઈ રહ્યા છે. સેવાની સુગંધ ચોમેર પ્રસરે એ રીતે ઉમદા કામ થઈ રહ્યું છે. વહેલી સવારથી જ ભક્તિ સંગીતના સાનિધ્યમાં ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે. આ ફૂડ પેકેટનું જુદા જુદા વિસ્તારમાં વિતરણ પણ કરવામાં આવશે. જે માટે પ્રાથમિક તૈયારીઓ પણ થઈ ચૂકી છે.