ગુજરાત

gujarat

જામનગર જિલ્લામાં નિષ્ણાતો દ્વારા પક્ષી ગણતરી હાથ ધરાઈ, જુદી-જુદી 61 સાઇટ પર કરાયો સર્વે

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 4:22 PM IST

જામનગર જિલ્લામાં નિષ્ણાતો દ્વારા પક્ષી ગણતરી હાથ ધરાઈ

જામનગર: શિયાળાની શરૂઆત થતાની સાથે હજારો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આશ્રય માટે આવતા હોય છે અને આખો શિયાળો તેઓ ગુજરાતના દરિયાઈ અને જળપલ્વિત વિસ્તારોમાં વિતાવે છે. ત્યારે આવા પક્ષીઓની નોંધ માટે પક્ષી ગણતરી શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત જામનગરના જિલ્લામાં પણ શનિવાર થી બે દિવસ માટેની યાયાવર પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે. ગઈકાલે રવિવારે બીજા દિવસે પણ સવારથી પક્ષી ગણતરી કરવામાં આવી હતી અને સાંજે પૂર્ણ થઈ હતી. વન વિભાગ દ્વારા સમયાંતરે પક્ષી પ્રેમીઓના સહકાર સાથે પક્ષી ગણતરી કરવામાં આવતી રહે છે. જેમાં પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી ૧૬ અને ૧૭ ડિસેમ્બરના કરવાનું નક્કી કરાયુ હતું. જે મુજબ જામનગર જિલ્લામાં પણ અનેક જળપ્લવીત વિસ્તારોમાં બે દિવસથી પક્ષી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના જોડીયા, સિક્કા,જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં હાલ આ વિદેશી પક્ષીઓએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે. આવી કુલ ૬૧ સાઈટ શોધી કાઢવામાં આવી છે. આ બે દિવસની પક્ષી ગણતરીમાં આશરે ૯૫ લોકો જોડાયા હતાં, જેમાં પક્ષીવિદો અને વન વિભાગના સ્ટાફનો સમાવેશ થાય છે. આ પક્ષી ગણતરી કામગીરીમાં ઇબર્ડ એપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે જામનગરના ખીજડીયા બર્ડ સેન્ચ્યૂરીમાં આગામી જાન્યુઆરી માસમાં પક્ષી ગણતરી કરવામાં આવશે, જ્યાં દેશ-વિદેશથી શિયાળામાં હજારો પક્ષીઓનું આગમન થતું હોય છે.

ABOUT THE AUTHOR

...view details