ગુજરાત

gujarat

Surat Crime: સાજન બેઠો માંડવે ને પોલીસ ત્રાટકી, કંકોત્રીમાંથી ખુલ્યો રાઝ

By

Published : May 15, 2023, 11:27 AM IST

Updated : May 15, 2023, 3:12 PM IST

સુરત જિલ્લાના મહુવામાંથી પરણિત યુવાન ફરી લગ્ન કરવા જતા પોલીસે રંગમાં ભંગ પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે યુવાનને પકડીને કાયદેસરના પગલાં લીધા છે. જોકે, પોલીસે યુવતીનો સંસાર તૂટતો અટકાવી લીધો હતો.

Surat Crime: સાજન બેઠો માંડવે ને પોલીસ ત્રાટકી, કંકોત્રીમાંથી ખુલ્યો રાઝ
Surat Crime: સાજન બેઠો માંડવે ને પોલીસ ત્રાટકી, કંકોત્રીમાંથી ખુલ્યો રાઝ

સુરતઃ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકા વેલણપુર ગામમાં બે સગી બહેનોના લગ્ન પ્રસંગમાં પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પછી રંગમાં ભંગ પાડ્યો હતો. પછી પોલીસ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહુવા તાલુકાના વેલણપુર ગામે બે સગી બહેનોના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બંને વરરાજાઓ પણ માંડવે આવી પહોંચ્યા હતા. તે જ સમયે પોલીસ ત્રાટકી અને એક વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ વરરાજા પરિણીત હોવા છતાં તેના પરિવારની જાણ બહાર બીજા લગ્ન કરી રહ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે યુવાનને પકડીને કાયદેસરના પગલાં લીધા

પોલીસે જીવન બચાવી લીધુઃપોલીસે દુલ્હન અને વરરાજાની પહેલી પત્નીની જિંદગી બરબાદ થતી બચાવી લીધી હતી. વેલણપુરના પીપડા ફળીયામાં રહેતા પરિવારની બે સગી પુત્રીના લગ્ન નક્કી થયા બાદ તારીખ 12મી મેના રોજ તેમના લગ્ન થયા હતા. બે પૈકી એક બહેનનું લગ્ન મહીસાગર જિલ્લાના મોતીપુરા ગામના અને હાલ નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રહેતા સંજય નામના શખ્સ સાથે નક્કી થયા હતા. પણ ફેરા શરૂ થાય એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી. આ અંગે મહુવા પોલીસ મથકના પી.આઈ. જે.એ. બારોટે વિગતવાર માહિતી આપીઃ

અમને મળેલી સૂચનાને પગલે અમારી ટીમ વેલણપુર પહોંચી હતી અને પ્રસંગમાં કોઈ ખલેલ ન પડે તેવી રીતે વરરાજા બનીને બેઠેલા સંજયને પકડી બે મહિલાઓને ન્યાય મળે તે રીતે કાર્ય કર્યું હતું.એના પિતા તરફથી જ્યારે મેસેજ મળ્યા કે, એને સંતાન છે તો ટીમ એલર્ટ થઈ ગઈ હતી. --જે.એ.બારોટ (મહુવા પોલીસ સ્ટેશન પીઆઈ)

પોલીસ ત્રાટકીઃતારીખ 12મી મેના રોજ લગ્નની તમામ તૈયારીઓ પુરી થઈ ચૂકી હતી અને બંને બહેનોના ભાવિ ભરથાર માંડવે આવીને ઉભા હતા. તે જ સમયે મહુવા પોલીસ લગ્ન મંડપમાં પહોંચી હતી. સંજય નામના વરરાજાને પકડી લીધો હતો. તેના લગ્ન રોકી પોલીસ સંજયને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સંજય રસોઈ બનાવવાનું કામ કરતો હતો. તેના લગ્ન વેલણપુર ગામની યુવતી સાથે કરવા માટે તેણે નકલી માતાપિતા બનાવી કન્યાના પરિવાર સાથે લગ્નની વાતચીત કરી હતી.

આ રીતે ખબર પડીઃ લગ્ન કરવા બંને પક્ષ રાજી થઇ ગયા બાદ લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. લગ્નના દિવસે સંજય જાન લઈને કન્યાના ઘરે પહોંચ્યો તો તેની સાથે માતા પિતા ન હોય કન્યાના પરિવારે પૂછપરછ કરી હતી. માતાપિતા બીમાર હોવાનું બહાનું કાઢી મિત્ર વર્તુળ સાથે લગ્ન મંડપમાં પહોંચી ગયા હતા. દરમિયાન આ સમગ્ર હકીકતની જાણ કંકોત્રીના માધ્યમથી સંજયના પિતાને થતા તેમણે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી. લગ્ન અટકાવવાની વાત કરી હતી.

પિતાએ જાણ કરીઃવરરાજાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, સંજય મારો પુત્ર છે અને તેની પત્ની અને એક સંતાન પણ છે. જે અમારી સાથે રહે છે. આ લગ્ન અમારી જાણ બહાર થઈ રહ્યા છે. એવું જણાવતા જ મહુવા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લગ્ન અટકાવી વરરાજા બનેલા સંજયને પકડી પોલીસ મથકે લઈ આવ્યા હતા. જો કે બીજી પુત્રીના લગ્નમાં વિક્ષેપ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

Last Updated :May 15, 2023, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details