● સિદ્ધપુર સબજેલમાંથી બે આરોપીઓ નાસી ગયા
● જેલના પોલીસ કર્મીનું બાઇક લઇને આરોપીઓ થયા રફુચક્કર
● એસપી સહિતનો પોલીસ કાફલો સિધ્ધપુર પહોંચ્યો
સિધ્ધપુર: દેથળી ચાર રસ્તા પાસે થોડા દિવસો પહેલા કારમાં આવેલા ચાર બુકાનીધારી લુટારુઓએ આંગડિયા પેઢીના મેનેજરને આંતરી છરી બતાવી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ સાથે કુલ 6.84 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવી લૂંટમાં સંડોવાયેલા ૧૬ જેટલા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને તેઓને સિદ્ધપુર સબજેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
પોલીસનુ બાઈક લઈને ફરાર
બુધવારે મોડી રાત્રે સિધ્ધપુર સબ જેલમાંથી દેવુસિંહ ચૌહાણ અને ભુપેન્દ્રસિંહ ચૌહાણ નામના બે આરોપીઓ ફરજ પરના પોલીસ કર્મીનું જ બાઇક લઇને ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. જેલમાંથી આરોપીઓના ફરાર થવા પાછળ પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉભા થયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા તાત્કાલિક સિધ્ધપુર સબજેલની આવી પહોંચ્યા હતા અને સમગ્ર જેલનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના હાઈવે માર્ગો તેમજ તમામ જગ્યાએ નાકાબંધી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.