ગુજરાત

gujarat

Patan News : 1300 અગરિયા પરીવારે અર્ધનગ્ન થઈ રાધનપુર પ્રાંત કચેરી ખાતે રોષ ઠાલવ્યો, જાણો શું છે માંગ...

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 10:33 AM IST

કચ્છના નાના રણમાં પ્રવેશ મેળવવા માટે આજે રાધનપુર અને સાંતલપુર તાલુકાના અગરિયાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમામ અગરિયાઓએ અર્ધનગ્ન થઈ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત અગરિયાઓને રણમાં પ્રવેશ આપવાનો નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં રાધનપુર પ્રાંત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Patan News
Patan News

1300 અગરિયા પરીવારે અર્ધનગ્ન થઈ રોષ ઠાલવ્યો

પાટણ :રાધનપુર અને સાંતલપુર તાલુકાના અગરિયા પરિવારોએ આજે રાધનપુરમાં અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી હતી. તેઓએ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા અગરિયાઓએ જણાવ્યું હતું કે, રાધનપુર અને સાંતલપુર તાલુકાના 18 ગામના આશરે 1300 પરીવારના 10 હજાર લોકો કચ્છના નાના રણમાં મીઠું પકવી જીવનનિર્વાહ કરે છે. પરંતુ હાલ ઘુડખર અભ્યારણ્યના નામે પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

અર્ધનગ્ન અવસ્થામાં રોષ ઠાલવ્યો : રાધનપુર અને સાંતલપુર તાલુકાના 18 ગામના અગરિયા પરિવારોને કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ્યના નામે મીઠુ પકવવાની મંજુરી આપવામાં નહીં આવતા અંદાજે 10 હજારથી વધુ અગરિયા પરિવાર માટે રોજી-રોટી સાથે જીવનનિર્વાહનો પ્રશ્ન ઉભો થયો છે. હાલ આ અગરિયા પરીવાર બેરોજગાર બન્યા છે. ત્યારે પોતાના ધંધા-રોજગાર બંધ થવાના ભયે અગરિયા પરિવારોએ અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી રાધનપુર ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આમરણાંત ઉપવાસની ચીમકી :અગરિયા પરિવારોને રણમાં પ્રવેશ આપવાનો નિર્ણય નહીં લેવાય તો 1 નવેમ્બર બુધવારના રોજ અગરિયા પરિવારો સામૂહિક રીતે રાધનપુર ખાતે પ્રાંત અધિકારીની કચેરીએ અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

શું છે સમસ્યા ?આ અગરિયા પરિવારોની રોજીરોટી છીનવાઈ જાય તો ભૂખમરાની સ્થિતિ ઉભી થાય તેમ છે. આ ગરીબ પરીવારો માટે મીઠુ પકવવાની મજૂરી એ જ એકમાત્ર વિકલ્પ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પેઢી દર પેઢી મીઠુ પકવવાના વ્યવસાય અને મજૂરી સાથે સંકળાયેલા અગરિયા પરિવારોને ન્યાય આપવામાં આવે તેવી માંગણી આગેવાનોએ બુલંદ કરી હતી. ઉપરાંત જો રણમાં પ્રવેશ આપવામાં નહિ આવે તો આગામી સમયમાં અગરિયા પરિવાર પ્રાંત કચેરી ખાતે સામુહિક રીતે આમરણાંત ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

શા કારણે રણમાં પ્રવેશબંધી ?ઘુડખર અભ્યારણ ધાંગધ્રાના નાયબ વન સંરક્ષક ડો. ડી.એફ. ગઢવીએ અગરિયાઓના આંદોલન મામલે જણાવ્યું છે કે, ઘુડખર અભ્યારણ વિસ્તારમાં હાલ સર્વે સેટલમેન્ટ મુજબ પરમીટ ધરાવતા લોકોને જ અગર કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ પરંપરાગત રીતે રણમાં મીઠું પકવતા 10 એકર અગર ધરાવતા અગરિયાઓને જ અભ્યારણમાં પ્રવેશ આપવાની સૂચના મળેલ છે. જેથી પાત્રતા ધરાવતા અગરિયાઓને સાંતલપુર ખાતે વન વિભાગની કચેરીએ આધાર પુરાવા રજૂ કરવાથી અગર કાર્ડ આપવામાં આવશે. ત્યારબાદ તેઓ અભ્યારણમાં જઈ મીઠું પકવવાની કામગીરી કરી શકશે.

તંત્રનો ખુલાસો : ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણના ઉચ્ચ અધિકારી દ્વારા પાત્રતા ધરાવતા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવશે તેવી હાલ તો જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અગરિયાઓને રણમાં પ્રવેશ ક્યારે મળશે, હાલ તો અગરિયા અને મજૂરી કામ અર્થે સંકળાયેલા શ્રમજીવીઓને અગર કામ નહીં મળતા બેરોજગાર બન્યા છે.

  1. School on Wheels: પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો આધુનિક બસોમાં મેળવી રહ્યા છે શિક્ષણ
  2. પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી

ABOUT THE AUTHOR

...view details