ગુજરાત

gujarat

Patan Crime News : નશામુક્તિ કેન્દ્રમાં ઘરે જવાની જીદ કરતા યુવકને સંચાલકે એટલો માર્યો કે તે મરી ગયો, CCTVએ ભાંડો ફોડ્યો

By

Published : Mar 10, 2023, 10:22 PM IST

પાટણમાં નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા યુવકનું 20 દિવસ પહેલા શંકાસ્પદ મોત થયું હતું. ત્યારે તેના મૃત્યુ અંગે પરિવારને ખોટી માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી.

Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં ઘરે જવાની જીદ કરતા યુવકને સંચાલકે એટલો માર્યો કે તે મરી ગયો, CCTVએ ભાંડો ફોડ્યો
Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં ઘરે જવાની જીદ કરતા યુવકને સંચાલકે એટલો માર્યો કે તે મરી ગયો, CCTVએ ભાંડો ફોડ્યો

ધાક બેસાડવા યુવકને ઢોર માર માર્યો

પાટણઃશહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલા સરદાર કોમ્પલેક્સમાં નશામુક્તિ કેન્દ્ર ચાલે છે. અહીં સારવાર લઈ રહેલા યુવકનું 20 દિવસ પહેલા શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે, આ બનાવમાં મૃતક યુવાનને ઢોર માર મારી તેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ યુવકના મૃત્યુ અંગેની ખોટી માહિતી આપી તેમના પરિવાર પાસે મૃતકની અંતિમવિધિ કરાવવામાં આવી હતી. ત્યારે આ મામલે મૃતકના મામાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચોઃSurat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાઃસરદાર કોમ્પલેક્સમાં છેલ્લા 9 મહિનાથી જ્યોના ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જ્યોના નશા મુક્તિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. અહીં અત્યારે 20થી 25 જેટલા દર્દીઓ વ્યસન મુક્તિની સારવાર લઈ રહ્યા છે. આ પૈકી હાર્દિક રમેશભાઈ સુથાર (રહે. મોટીદાઉ જિલ્લો મહેસાણા)નું 17 ફેબ્રુઆરીએ મોત થયું હતું. જોકે, તેનું મોત કુદરતી રીતે નહીં પણ ઢોર માર મારતા થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે નશામુક્તિ કેન્દ્ર દ્વારા આ વાત છુપાવીને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારે તો અંતિમવિધિ પણ કરી નાખી હતી. તો હવે આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસને જાણવા મળતા પીઆઇ એમ.એ.પટેલે સત્યતા તપાસવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

યુવકને ઢોર માર માર્યોઃપોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક હાર્દિક રમેશભાઈ સુથાર છેલ્લા 6 મહિનાથી આ વ્યસન મુક્તિની સારવાર લઈ રહ્યો હતો. તેણે ઘરે જવાની જીદ કરી હતી ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ તેણે નશામુક્તિ કેન્દ્રના બાથરૂમમાં પોતાના જ શરીરને ઈજા પહોંચાડી હતી. આથી નશામુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ છગન પટેલ (રહે. કમલીવાડા) અને અન્ય શખ્સોએ તેને ક્રુરતાપૂર્વક પ્લાસ્ટિકની પાઈપોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્યારબાદ મૃતક અર્ધબેભાન થઈ તતા તેને ઑફિસના ટેબલ પર સુવડાવી મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સીસીટીવીના ફૂટેજથી પર્દાફાશ થયોઃનશામુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલે મહેસાણા ખાતે રહેતા હાર્દિકના મામા ચંદ્રકાન્તભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, બીપી લૉ થવાના કારણે હાર્દિકનું અવસાન થયું છે. ત્યારબાદ તેમને પાટણ બોલાવી પૂરાવાઓ નાશ કરવાના ઈરાદે સાથે રહીને હરિહર મહાદેવના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

નશામુક્તિ કેન્દ્રના સંચાલકે માર્યો ઢોર મારઃ તે દરમિયાન પોલીસે જ્યોના નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા નશામુક્તિ કેન્દ્રના સંચાલક સહિત અન્ય શખ્સોએ હાર્દિક સુથારને ઢોર માર મારતા હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજે સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ કર્યો હતો. એટલે જાણવા મળ્યું હતું કે, હાર્દિકનું મોત ઢોર માર મારવાથી થયું હતું.

પોલીસે 6ને ઝડપ્યાઃઆ બનાવ અંગે મૃતકના મામા રમેશચંદ્ર અંબાલાલ મિસ્ત્રી (રહે. મહેસાણા)એ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યોના ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો સહિત 9 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 302, 201, 147, 48 મુજબ ગુનો નોંધી 6 ઈસમોને ઝડપી લઈ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃVadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ

ધાક બેસાડવા યુવકને ઢોર માર માર્યોઃપાટણ બી ડિવિઝન પી.આઈ એમ. એ. પટેલે જણાવ્યું હતું કે, નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા 20થી 25 દર્દીઓ પૈકી અન્ય કોઈ ઘરે જવાની જીદ ન કરે તે માટે ધાક બેસાડવાની ગણતરીએ તેમની હાજરીમાં હાર્દિકને કૃતાપૂર્વક ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસે હાલ તેને મરતા સમયના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે અને સમગ્ર ઘટનાક્રમ નજરે નિહાળનારા અન્ય દર્દીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તો મોડી સાંજે ઝડપાયેલા 6 આરોપીઓને પાટણ ખાતે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 6 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details