મુખ્ય મથક ગોધરા ખાતે કબ્રસ્તાનમાં દફનાવેલા મૃત વ્યક્તિની હત્યા થઇ હોવાની પરિવારને શંકા છે. જેથી પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢી PM કરાવવા મોકલ્યો હતો. ગોધરાનાં સિંગ્નલ ફળીયા વિસ્તારમાં રહેતા સોયેબ સૌકત દુર્વેશ નામના યુવકનું તેના જ ઘરમાં ગત 12 નવેમ્બરના રોજ આકસ્મિક મોત થયું હતું. યુવકના મોત બાદ પરિવારજનોમાં માતમ છવાયો હતો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલા સોયેબનું અચાનક મોત થયા બાદ સામાજિક રીતરિવાજ અનુસાર ગોધરાના જ શેખ કબ્રસ્તાન ખાતે વિધિસર દફન વિધિ કરવામાં આવી હતી.
પંચમહાલમાં હત્યાની શંકા બાદ યુવકનો મૃતદેહ કબ્રસ્તાનમાંથી બહાર કઢાયો
પંચમહાલઃ ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા યુવકની હત્યા થઈ હોવાનો પરિવારજનોને સંદેહ જતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે કબરમાં દટાયેલો મૃતદેહ બાહર કાઢી PM માટે મોકલ્યો હતો. 12 નવેમ્બરનાં રોજ યુવકનું મોત નિપજ્યું હતું. જેના 3 દિવસ બાદ મૃતદેહને PM માટે કબરમાંથી બહાર કઢાયો હતો.
યુવકના મોત થયાના ત્રણ દિવસ બાદ પરિવારજનોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશને લેખીત રજુઆત કરી હતી કે, પરિવારના યુવકનું મોત થયું છે, તે કુદરતી નથી, પરંતુ યુવકની હત્યા કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે રજૂઆત બાદ આક્ષેપોના તથ્યની તપાસ કરવા માટે શેખ કબ્રસ્તાનમાં દફનાવેલા યુવકના મૃતદેહને પ્રાંત અધિકારી અને મામલતદાર સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા FSL ટીમની હાજરીમાં કબર બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ PM અર્થે યુવકના મૃતદેહને વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
જો કે, પરિજનોએ યુવકના મોતને લઇ આશંકા વ્યકત કરતા બી ડિવિઝન પોલીસે અરજીના આધારે યુવકનું કુદરતી મોત છે કે હત્યા કરવામાં આવી છે, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી.