- નવસારીમાં અંદાજે 22 ટન ઓક્સિજનની રોજની જરૂરિયાત, મળે છે અંદાજે 18 ટન
- રોજના અંદાજે 1,200થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનની માગ, જે પણ પૂરી નથી થતી
- જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી 1,500થી વધુ કોવિડ બેડની વ્યવસ્થા
નવસારી: જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા Etv Bharatએ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ ચકાસતા જિલ્લા તંત્રની પૂરતી વ્યવસ્થાની વાતોથી વેગડી જમીની હકિકત જણાઇ હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે, કોરોનાને જીતવા દર્દીઓને પૂરતો ઓક્સિજન મળવો જોઈએ, પરંતુ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોએ આજે પણ ઓક્સિજન મેળવવા માટે ઘણી મથામણ કરવી પડે છે. એ જ રીતે રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત પણ તંત્ર જેમ તેમ પૂરી કરી રહ્યુ છે.
જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 1,585 સામે એક્ટિવ કોરોના સંક્રમિતોની સંખ્યા 963, છતાં બેડ નહીં
નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એક્ટિવ કેસોની સંખ્યા 1,000 નજીક પહોંચી ગઈ છે. જેને જોતા સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલો મળીને જિલ્લામાં કોરોનાની સારવાર માટે કુલ 1,585 બેડની વ્યવસ્થા જિલ્લા તંત્રે કરી છે. જેમાં 679 ઓક્સિજન બેડ છે. જેથી નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગના આંકડા અનુસાર એક્ટિવ કોરોના દર્દીઓ કરતા 50% વધુ કોરોના બેડની વ્યવસ્થા છે. પરંતુ હકીકતમાં જિલ્લામાં કોરોના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી. નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ 108 એમ્બ્યુલન્સ કે અન્ય એમ્બ્યુલન્સ દ્વારા આવતા દર્દીઓને અડધોથી એક કલાક વેઇટિંગમાં એમ્બ્યુલન્સમાં જ બેસી રહેવું પડે છે, જ્યારે જિલ્લામાં અંદાજે 4000 કોરોનાના દર્દીઓ ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાની માહિતી છે.
ઓક્સિજન માટે પાડોશી જિલ્લાઓ પર આધાર, જેમ તેમ મળે છે ઓક્સિજન
નવસારી જિલ્લાની હોસ્પિટલો હાઉસફૂલ અને ઘરોમાં કોરોનાની સારવાર લોકો લઈ રહ્યા છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં દર્દીને ઓક્સિજનની તાતી જરૂર પડે છે. પરંતુ જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી, નવસારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોએ પણ પાડોશના વલસાડ, સુરત, ભરૂચ જેવા જિલ્લાઓ ઉપર આધાર રાખવો પડે છે. નવસારી જિલ્લામાં વધતા કોરોના દર્દીઓને જોતા રોજના અંદાજે 22 ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જેની સામે જિલ્લાને હાલમાં અંદાજે 18 ટન કે તેનાથી ઓછો ઓક્સિજન મળી રહ્યો હોવાની વાત તંત્ર કરી રહ્યું છે. પરંતુ તેની સામે ખાનગી હોસ્પિટલોએ આજે પણ ઓક્સિજન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે.
રેમડેસીવીર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત વર્તાઈ રહી છે
સરકાર દ્વારા ઓક્સિજનના બાટલા રિફિલિંગ કરવા મુદ્દે પણ નવી ગાઇડલાઇન જાહેર કરી હોવાથી ઘણીવાર પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના બાટલા ભરાતા નથી અને ખાનગી હોસ્પિટલઓએ જેમતેમ કરી પોતાના દર્દીઓને જીવાડવા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે છે. બીજી તરફ કોરોનાની સારવારમાં કારગર સાબિત થયેલા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત વર્તાઈ રહી છે.