ગુજરાત

gujarat

Singer Geeta Rabari : સિંગર ગીતા રબારીના 'શ્રી રામ ઘર આયે' ભજનની વડાપ્રધાને કરી પ્રસંશા

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 6:44 PM IST

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ગાયકો-લેખકોને રામભજન લખવા તેમજ ગાવા માટે આહ્વાન કર્યું હતું. તેવામાં કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ ગાયેલું ભજન યુ-ટયુબ પર છવાયું છે અને પીએમ મોદીએ પણ તેની પ્રશંસા કરી ટ્વીટ કર્યું હતું.

Kutch News : ગીતાબેન રબારીએ શ્રી રામ ઘર આયે ભજન લોન્ચ કર્યું, વડાપ્રધાને ટ્વીટ કરી પ્રસંશા કરી
Kutch News : ગીતાબેન રબારીએ શ્રી રામ ઘર આયે ભજન લોન્ચ કર્યું, વડાપ્રધાને ટ્વીટ કરી પ્રસંશા કરી

પીએમના ટ્વીટ પર પ્રતિક્રિયા

કચ્છ :દેશભરમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે, તો અયોધ્યામાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ગાયકો-લેખકોને રામભજન લખવા તેમજ ગાવા માટે આહ્વાન કર્યું હતું. તેવામાં કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ ગાયેલું ભજન યુ-ટયુબ પર છવાયું છે અને મોદીએ પણ તેની પ્રશંસા કરી તેને ભાવુક ગણાવ્યું છે અને ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગીતાબેનના ભજનને પોસ્ટ કરી લખ્યું છે કે, અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રામલલ્લાના સ્વાગત માટે ગીતાબેન રબારીએ જે ભજન ગાયું છે તે ભાવુક કરનારું છે. નોંધનીય છે કે ગીતાબેન રબારીના `શ્રી રામ ઘર આયે..' ભજનને યુ-ટયુબ પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

કોણ છે ગીતાબેન રબારી? :ગીતાબેન રબારી ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અને ડાયરામાં પરફોર્મ કરનાર કચ્છના રહેવાસી છે. ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામે થયો હતો.એક સામાન્ય પરિવારમાંથી તે આવે છે.તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ વેંજુબેન રબારી છે.ગીતાબેન રબારીને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તેને લોકગીતના કાર્યક્રમોમાંથી જ ગાવામાં વધુ રસ પડ્યો હતો. ગીતાબેન રબારીએ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ ટપ્પર ગામમાં જ પૂર્ણ હતું અને પછી ધોરણ 9થી 10 નો અભ્યાસ ભીમાસર ગામમાં પૂર્ણ કર્યો હતો.

પાંચમા ધોરણથી જ ગાવાનો શોખ : ઉલ્લેખનીય છે કે ગીતા રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ગાવાનું શરુ કર્યું હતું. ગીતાબેને સૌ પ્રથમ તેમની શાળાના એક કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું હતું અને પછી પડોશના ગામમાં એક મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપ્યો અને તે પછી તે પાડોશમાં નાના-નાના કાર્યક્રમોમાં ગાવા લાગ્યા અને પછી ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી અને આજે ગીતાબેન રબારી ગુજરાતના જાણીતાં ગાયિકા છે અને તેમનું ખૂબ નામ થયું છે. તેઓ વિદેશમાં પણ અવારનવાર કાર્યક્રમો કરે છે. ગત વર્ષે ગીતાબેને યુકે સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. વિદેશમાં તેમના કાર્યક્રમો પણ યોજાયા હતા. આજે ગીતાબેનની લોકચાહના પણ ખૂબ છે ત્યારે હવે તેના કાર્યક્રમોમાં લાખો લોકો ભેગા થતા હોય છે. તો હવે તો નવરાત્રી તેમજ લગ્ન પ્રસંગમાં પણ ગીતાબેન રબારીની માંગ વધી રહી છે.

નાનપણથી જ નરેન્દ્ર મોદીના આશીર્વાદ : નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરેલા તેમના ભજન અંગે વાતચીત કરતા ગીતાબેને જણાવ્યું હતું કે,નાનપણથી જ નરેન્દ્ર મોદીના આશીર્વાદ તેમની સાથે રહ્યા છે.તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેઓ તેમને મળ્યા હતા અને 2019માં પણ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે ગીતાબેનનો પૂરો પરિવાર દિલ્હી પણ ગયો હતો તેમને મળવા. હાલમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે બનાવવામાં આવેલ ગીતથી ભારતના દરેક કલાકારને પ્રોત્સાહન મળે છે.

ભજનના શબ્દો દેશના દરેકના દિલના : 22 જાન્યુઆરીના જે ઉત્સવ યોજવાનો છે તેના માટે જેટલા પણ લોકો સનાતની છે તેમના માટે એક ગૌરવની ક્ષણ છે. ગીતાબેન રબારીના `શ્રી રામ ઘર આયે..' ભજનના શબ્દો છે તે સૌ કોઇના દિલના શબ્દો છે માત્ર અવાજ ગીતાબેનનો છે તેવું તેમણે જણાવ્યું હતું. તમામ હિન્દુઓ માટે 22મી જાન્યુઆરીએ સૌથી મોટો ઉત્સવ છે. આ ગીતને નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે જેના કારણે દેશના અનેક લોકો સુધી આ ગીત પહોંચ્યું છે. દેશની અનેક દીકરીઓના જીવનમાં નરેન્દ્ર મોદીનો ફાળો વિશિષ્ટ રહ્યો છે.

ભગવાન રામ સમક્ષ નરેન્દ્ર મોદી માટે પ્રાર્થના : બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન થકી અનેક દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. તો દેશની અનેક દીકરીના નરેન્દ્ર મોદી પાલક પિતા છે તેવું ગીતાબેન રબારીએ જણાવ્યું હતું. દેશની દીકરીઓ આગળ વધે તેના માટે નરેન્દ્ર મોદી સતત ચિંતિત રહે છે. ગીતાબેન રબારીએ નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન રામ સમક્ષ પ્રાર્થના પણ કરી હતી. તેમજ વર્ષ 2024માં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બને તેવી પ્રાર્થના પણ કરી હતી.

  1. Ram Mandir: રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કરતાં PM મોદી અને UPના CM કેનવાસ પર ઉતર્યા
  2. ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત પર સ્મૃતિ ઈરાનીનું ફની ટ્વીટ, 'એક અકેલા કિતનો પર ભારી'

ABOUT THE AUTHOR

...view details