ગુજરાત

gujarat

UNESCO દ્વારા ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

By

Published : Jul 27, 2021, 5:22 PM IST

Updated : Jul 27, 2021, 8:19 PM IST

આજથી 5000 વર્ષ પહેલાંના હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ હતી. હવે આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

  • UNESCO દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી
  • UNESCOની ટીમ દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી
  • UNESCO દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી
  • ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતા સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ

કચ્છ : ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5,000 વર્ષ પૂરાણા હડપ્પન સાઈટને બે દિવસ પહેલાં જ પેરિસ ખાતે UNESCOની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતાં માત્ર ખડીર ધોળાવીરા જ નહીં, પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ છે. હડપ્પન સાઇટને સતાવાર "World Heritage" શ્રેણીમાં સમાવવાની જાહેરાત થઈ ગઈ છે.

ધીમે ધીમે ઉત્ખનન પામીને શોધાયેલી ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે દરજ્જો મળ્યો

UNESCO દ્વારા પેરિસ ખાતે "World Heritage"ની ચર્ચા વિચારણા અંગેની બેઠકમાં કચ્છ જિલ્લામાં જમીનમાંથી ધીમે ધીમે ઉત્ખનન કરીને શોધાયેલા ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે તજજ્ઞોને, પર્યટકોને તથા દુનિયાભરના પુરાતત્વ પ્રેમીઓને સરળતાથી મળી રહે તેવો સરનામું આપવા સહમતિ દર્શાવી હતી.

ધોળાવીરાની હડપ્પન સાઇટ

ધોળાવીરા સાઇટની શોધ કરનારા ડૉ. બિસ્ટને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો

ધોળાવીરા હડપ્પન સાઈટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી. ધોળાવીરાની આ હડપ્પન સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડૉ. આર. એ. બિસ્ટે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમયે આ સાઈટની શોધમાં આપી દીધો હતો. આ અમૂલ્ય સાઇટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ધોળાવીરાની હડપ્પન સાઇટ

સ્ટેડિયમ, લિપિ, પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું

ધોળાવીરા એ એક અદ્ભુત હડપ્પન સંસ્કૃતિનું સ્થળ છે, અહીં ઉત્ખનન કરતા બાહરી કિલ્લો, જળાશય, સ્ટેડિયમ, સિરોડલ વગેરે અમૂલ્ય સ્થળો મળી આવતા હતા. ધોળાવીરા અનેક આયોજનબદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પૂરથી બચવાનાં કાર્યો, સ્ટેડિયમ સહિતનાં સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતું સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે, જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું, જેથી એ સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને એના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે. પુરાતત્ત્વવિદોએ જે હેતુથી અહીં ખોદકામ કર્યું હતું એનાથી અનેક ગણી વિશેષ શોધ અહીં થઈ છે. અહીં હજુ પણ અનેક રહસ્યો છે, જેથી ભવિષ્યમાં સંશોધનની વિપુલ તકો છે.

ધોળાવીરાની હડપ્પન સાઇટ

14 વર્ષ સુધી સંશોધન અને ઉત્ખનન કરીને સાઇટ શોધાય

કચ્છમાં આ ધોળાવીરા હડપ્પન સાઇટને સમગ્ર વિશ્વ સામે લઈ આવવાનું શ્રેય ડૉ. આર. એ. બિસ્ટને જાય છે, કારણ કે લગાતાર 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરીને આ સાઈટની શોધ કરવામાં આવી હતી. અહીંથી શોધવામાં આવેલા વિવિધ અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા ઘણા અવશેષો ધોળાવીરા ખાતેનાં સંગ્રહાલય ખાતે પણ મૂકવામાં આવ્યા છે.

ધોળાવીરાની હડપ્પન સાઇટ

આ સાઈટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

ધોળાવીરા હડપ્પન સાઇટને UNESCOની માન્યતા મળી છે, એટલે અહીં પ્રવાસન ક્ષેત્રમાં પણ આ સાઇટને વિકસાવવામાં આવશે. આ ઉપરાંત ધોળાવીરાની આસપાસના ભૂસ્તરીય મહત્વના સ્થળોને પણ વિકસાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ધોળાવીરાને UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે સામેલ કરવા ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ UNESCOની ટીમ દ્વારા સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 27/07/2021 મંગળવારે હવે UNESCO દ્વારા સત્તાવાર રીતે ધોળાવીરાની સાઈટને વર્લ્ડ હેરિટેજ તરીકેની જાહેર કરવામાં આવી છે.

ધોળાવીરાની હડપ્પન સાઇટ

વિવિધ વિકાસના કામો કરીને પર્યટનના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

ભુજથી ધોળાવીરા જવા માટે 230 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે, પરંતુ રસ્તાની હાલત સારી નથી, હવે જ્યારે વર્લ્ડ હેરિટેજ તરીકે જોડાયેલા સાઇટનું સમાવેશ થયું છે, ત્યારે અહીં હોટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેસ્ટોરેન્ટ રોડ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવા આવશે અને પર્યટન સ્થળ બનાવવામાં આવશે.

કચ્છ માટે ગૌરવની વાત

કચ્છના લોકો માટે ખુશીની વાત છે કે, ધોળાવીરાની હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. જોડાયેલા સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ બહુ હતી હવે અહીં વિકાસના કામો થશે માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ શરૂ કરવામાં આવશે. ધોળાવીરાની સાઈટને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવા એ કચ્છ માટે ગૌરવની વાત છે.

વડાપ્રધાને પણ ટ્વિટ કરીને વાગોળ્યા જુના સંભારણા

ધોળાવીરાને વર્લ્ડ હેરીટેજ સાઇટ જાહેર કરતાં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓએ વિદ્યાર્થી અવસ્થામાં આ સાઇટની મુલાકાત લીધી હતી અને જ્યારે તેઓ મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમને ઐતિહાસિક ધરોહરની સાચવણી કરવાની તક મળી હતી

Last Updated : Jul 27, 2021, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details