ગુજરાત

gujarat

Maha Shivratri 2023 : મહાશિવરાત્રીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં થયું ધાર્મિક આયોજન

By

Published : Feb 17, 2023, 6:34 PM IST

આવતીકાલે મહાશિવરાત્રીનું મહાપર્વ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. વહેલી સવારથી રાત્રે બે કલાકની મહા આરતી સુધી મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરાશે. સોમનાથ તીર્થમાં ભક્તિ ભજન ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે.

Maha Shivratri 2023 : મહાશિવરાત્રીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં થયું ધાર્મિક આયોજન
Maha Shivratri 2023 : મહાશિવરાત્રીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં થયું ધાર્મિક આયોજન

સોમનાથ : આવતીકાલે મહાશિવરાત્રીનું મહાપર્વ છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4:00 વાગે મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને રાત્રિના બે કલાકે ત્રીજા પહોરની મહા આરતી સુધી મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરાશે.

મહાશિવરાત્રીને લઈને સોમનાથમાં થયું ધાર્મિક આયોજન : આવતીકાલે મહા શિવરાત્રીનું મહાપર્વ છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી બે દિવસ સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહીને મહાદેવના ખૂબ જ શાંતિ અને દિવ્યતા સાથે દર્શન કરી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે વહેલી સવારે ચાર કલાકે મંદિરના દ્વાર પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને વહેલી સવારે છ કલાકે સોમેશ્વર મહાદેવની મહાપુજા સાથે મહા શિવરાત્રીના તહેવારની ઉજવણીની શરૂઆત થશે.

આ પણ વાંચો MahaShivratri 2023: તમામ મનોકામના પૂર્ણ કરશે પાર્થેશ્વર શિવલીંગ, જાણો પૂજા-અભિષેક વિશે

આવતીકાલના વિવિધ ધાર્મિક આયોજનો :મહાશિવરાત્રીના દિવસે આવતી કાલે સવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમની વણજાર સાથે શિવરાત્રીની ઉજવણી શરૂ કરાશે. જેમાં સવારે ચાર કલાકે મંદિરના કપાટ ખુલ્યા બાદ સૌપ્રથમ સવારના 6:00 કલાકે સોમેશ્વર મહાપૂજા કરવામાં આવશે. ત્યાર બાદ એક કલાકના અંતરે મહાદેવની પરંપરાગત પ્રાતઃ આરતી કરવામાં આવશે. જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વધુમાં મહાશિવરાત્રીના પાવન દિવસે વહેલી સવારના આઠ વાગ્યાથી લઈને રાત્રિના બે કલાક સુધી સોમેશ્વર મહાપૂજાનું આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે. જેમાં શિવભક્તો પોતાની અનુકૂળતા અને ઈચ્છા અનુસાર નામની નોંધણી કરાવીને સોમેશ્વર મહાપૂજામાં પણ ભાગ લઈ શકે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે.

આ પણ વાંચો Shree Somnath Jyotirling Temple: શિવભક્તો સોમનાથ મહાદેવ પર કરી શકશે બિલ્વનો અભિષેક

આવતીકાલે શિવ ભક્તો પાર્થેશ્વર પૂજા પણ કરી શકશે : મહાશિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાનો સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પુણ્યશાળી માનવામાં આવ્યું છે. તેને લઈને પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજાનું પણ આયોજન કરાયું છે. જેમાં પણ શિવ ભક્તો પોતાની અનુકૂળતા અને ઈચ્છા મુજબ પોતાનું નામ નોંધાવીને પાર્થેશ્વર મહાપૂજામાં પણ ભાગ લઈ શકશે. વધુમાં સોમનાથ મંદિર પરિસરમાં સવારે 9:00 કલાકે સોમેશ્વર મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ પણ શિવભક્તો લઈ શકશે. પાલખી યાત્રા શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે અને શિવરાત્રીના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ સ્વયં પાલખીમાં બિરાજમાન થઈને મંદિર પરિસરમાં ઉપસ્થિત શિવ ભક્તોને દર્શન આપશે.

આવતીકાલે પાઘ અને બિલ્વ પૂજાનું પણ આયોજન : આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવની પાધ પૂજાની સાથે વિશિષ્ટ બિલ્વ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સવારે 8:30 કલાકે નૂતન ધ્વજારોહણ પણ કરાશે. જેમાં પંડિતો અને પુજારીઓની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે ધ્વજાનું પુજન કરીને સોમનાથ મહાદેવ પર તેને ફરકાવવામાં આવશે. આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન શાંતિ પાઠ મહામૃત્યુંજય દેવાધિદેવ મહાદેવની ભસ્મ રુદ્રાક્ષ અને બિલ્વપત્રથી શૃંગાર સંધ્યા વંદના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ત્રણ પ્રહરની પૂજા અને આરતી સાથે મહાશિવરાત્રીના મહાપર્વને ઉજવવા માટેની વિશેષ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details