કલોલના સાતેજ ગિરનારી આશ્રમના સેવકની હત્યા
કલોલ તાલુકાના સાંતેજ ગિરનારી આશ્રમ સામે મંદિરના સેવકની હત્યાની ઘટના બની છે. આશ્રમ સામે આવેલી ઝાડીમાં બપોરે દોઢ કલાકે કુદરતી હાજતે ગયેલો સેવક મોડે સુધી પરત આવ્યો ન હતો. સાંજે સાડા છ કલાકની આસપાસ તેનો મૃતદેહ આશ્રમના ગેટ પાસે પડેલો હતો , જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
ગાંધીનગર :સાતંજે-વડસર રોડ પર સાંતેજ ગામની સીમમાં ગિરનારી આશ્રમ પાછળ 38 વર્ષ જૂનુ રામાપીર મંદિર આવેલું છે. જેનો વહીવટ સાંતેજ ગામના પૂર્વ સરપંચ અંબારામ મેરાજી ઠાકોર કરે છે. મંદિર ખાતે વડસર ગામનો 33 વર્ષીય સંજયસિંહ ઉર્ફે કાળુ લક્ષ્મણસિંહ છેલ્લાં 6 મહિનાથી સેવા-પુજા અને સાફ-સફાઈનું કામ કરતો હતો. સોમવારે બપોરે દોઢ વાગ્યાનાકલાકેે મંદિરના પુજારી પોપટગીરી જમવા બેઠા હતા. તે સમયે કાળુ પાણીની બોટલ લઈને આશ્રમ સામેની ઝાડીમાં ગયો હતો. સાંજે પાંચ કલાક સુધી કાળુ પરત આવ્યો ન હતો.
અંબારામ પોતાના પુત્ર સાથે બાઈક લઈને વડસર કામ અર્થે ગયા હતા. સાંજે સાડા છ કલાકેે તેઓ પરત આવ્યા ત્યારે ગિરનારી આશ્રમના ગેટ સામે રોડની સાઈડમાં કાળુનો મૃતદેહ ઊંધો પડેલો મળ્યો હતો. કપડાં પરથી ઓળખી જતા અંબારામે તેઓને સીધો કરતાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હોવાનું મળી આવ્યું હતું. જેને પગલે તેઓ 108 મારફતે તાત્કાલિક તેને સોલા સિવિલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં રાત્રે તેનું મોત થયું હતું.
સાંતેજ પોલીસે અંબારામ ઠાકોરની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક યુવકને કોઈ સાથે કોઈ માથાકૂટ કે જૂની અદાવત હોવાનું હાલ સામે આવ્યું નથી. બીજી તરફ સેવાનું કામ કરતાં યુવક પાસેથી અન્ય કોઈ કિંમતી વસ્તુઓ પણ ન હતી. જેને પગલે તેની હત્યા પાછળનું કારણ શું તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતક કાળુ એક વર્ષ પહેલાં ગોપાલ કંપનીમાં નોકરી કરતો હતો. જે બંધ થઈ જતા તે છત્રાલ GIDCમાં નોકરી કરવા ગયો હતો. પરંતુ લોકડાઉન દરમિયાન તે નોકરી પણ બંધ રહેતાં રામાપીર મંદિરે સેવા-પુજા કરતો હતો.તેમજ સફાઈ, રસોઈ સહિતનું કામ કરીને તે રાત દિવસ મંદિરમાં રહેતો હતો.