ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારી બાદ હૃદય રોગના કિસ્સામાં વધારો થયો છે. નાના બાળકોથી માંડીને શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ગુજરાતમાં લગભગ 35 જેટલા નાની ઉંમરના લોકોનું હાર્ટઅટેકના કારણે અવસાન થયું છે. G20માં આયુર્વેદિક પદ્ધતિથી સારવાર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ જીવલેણ રોગોની સારવાર આર્યુવેદિક અને પેથોલોજી મદદ થી કરવામાં આવી રહી છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારી બાદ હાર્ટએટેકના કિસ્સામાં વધારો થયો છે, ઉપરાંત હાલના સમયમાં કૅન્સરના રોગો અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં આયુર્વેદથી કેન્સર અને હાર્ટએટેક રોગોનું નિદાન પણ કરવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે વ્યક્તિની બદલાયેલી જીવન શૈલી. લોકોની જીવન શૈલી પહેલા જેવી નથી. સવારના ઊઠવાથી માંડીને રાત્રીના સુવા સુધીમાં આપણે અનેક વાર પ્લાસ્ટિકના સંપર્કમાં આવેલો ખોરાક લઈએ છીએ. સવારની ચા પેપર કપમાં, જમવાનું હોટેલથી આવે એ પેપર અથવા પ્લાસ્ટીકમાં આવે છે. આ પ્લાસ્ટિકની સીધી અસર શરીર પર થાય છે. આમ બિનરોગી રહેવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ બન્ને બદલવા ખૂબ જરૂરી છે. જ્યારે આયુર્વેદ પાસે કોઈ દર્દી આવે છે તો પહેલા જીવન જીવતા શીખવવામાં આવે છે. ત્યારબાદ તેના રોગોનું નિદાન કરવામાં આવે છે. મહેશ વ્યાસ (ડીન, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, દિલ્હી )
દેશમાં 500 આયુર્વેદ કોલેજ-હોસ્પિટલ કાર્યરતઃ આયુર્વેદ ચિકિત્સામાં મનુષ્યના શરીરમાં રોગોના લક્ષણો દર્શાવાયા છે. જેથી વૈદ્યને ખબર પડે છે કેવી રીતે રોગોની સારવાર કરવી. આયુર્વેદ સારવાર દેશની 500 આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલમાં કરવામાં આવે છે. કોરોના કાળ બાદ સમગ્ર વિશ્વમાં મોટા ભાગના લોકો આયુર્વેદિક સારવાર તરફ વળી રહ્યા છે. ઉપરાંત હવે લોકો યોગ તરફ પણ વળ્યા છે.