ગુજરાત

gujarat

ગજેન્દ્રસિંહ પરમારની જનયાત્રાનું બનાસકાંઠામાં ઠેરઠેર સ્વાગત, ડીસામાં યોજાઈ જાહેરસભા - થરામાં વિશાળ બાઇક રેલી

By

Published : Oct 1, 2021, 8:46 PM IST

ગજેન્દ્રસિંહ પરમારની જનયાત્રાનું બનાસકાંઠામાં ઠેરઠેર સ્વાગત

આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat legislative assembly election 2022) અને દરેક જિલ્લામાં 2 દિવસ જનતા વચ્ચે નવા પ્રધાનો રહે તે માટે ગુજરાત સરકારના નવા પ્રધાનો (New Ministers Of Gujarat Government)ની જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે. આના ભાગરૂપે ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર (Gajendra Singh Parmar)ની જન આશીર્વાદ યાત્રાનું ડીસા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

  • બનાસકાંઠા જિલ્લામાં ભાજપની જનયાત્રાનું આગમન
  • ડીસા, થરા અને ભીલડીમાં જનયાત્રાનું સ્વાગત કરાયું
  • ગજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત
  • વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની 9 સીટો ઉપર ભગવો લહેરાવવા મંત્રીનું આહ્વાન

ડીસા: ગુજરાત સરકાર (Gujarat Government)માં બદલાવ થયા બાદ સરકારના નવા પ્રધાનો એક્શન મોડમાં આવી ગયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં પક્ષને પ્રચંડ જીત મળે તે માટે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાના માધ્યમથી ભાજપના પ્રધાનો સરકારની કામગીરી પ્રજા સુધી પહોંચાડીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આના ભાગરૂપે આજે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ટોટાણાથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) ડીસા પહોંચી ત્યારે યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે અત્યારથી પ્રચાર શરૂ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આક્રમક પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભાને અનુલક્ષીને સરકારના કામો પ્રજા સુધી પહોંચાડવા માટે જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી છે. આજે ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે બનાસકાંઠા જિલ્લાના ટોટાણાથી જન આશીર્વાદ યાત્રાના શ્રી ગણેશ કર્યા હતા.

જિલ્લામાં ઠેરઠેર જનયાત્રાનું સ્વાગત કરાયું

ટોટાણાથી શરૂ થયેલી યાત્રા બપોર બાદ ડીસા પહોંચી હતી અને ડીસાના જલારામ મંદિર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જલારામ મંદિર ખાતે આવેલા સભાખંડમાં વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના કામોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા માટે કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

ગજેન્દ્રસિંહ પરમારની જનયાત્રાનું બનાસકાંઠામાં ઠેરઠેર સ્વાગત

પરબત પટેલ અને શશિકાંત પંડ્યા રહ્યા હાજર

ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ડીસા પહોંચેલી આ જન આશીર્વાદ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, સુરેશભાઇ શાહ સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં આ યાત્રાના હેતુ વિષે વધુ પ્રકાશ પાડ્યો હતો.

ભીલડી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરાયું

ડીસા તાલુકાના ભીલડી ગામે રાજ્યના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર પોતાની જનયાત્રા લઈ પહોંચતા ભીલડી ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત નવું પ્રધાનમંડળ બનાવવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં 2 દિવસ જનતા વચ્ચે નવા પ્રધાનો રહે તે માટે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે બનાસકાંઠાના ટોટાણાથી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ભાજપના આગેવાનોએ પરમ પૂજ્ય શ્રી સદારામ બાપુના દર્શન કરી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જન આશીર્વાદ યાત્રાનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

થરા, શિહોરી, ખીમાણ થઈ ભીલડી ખાતે યાત્રાનું આગમન થયું હતું, જેમાં ભીલડી માર્કેટ યાર્ડમાં ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિર ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના પ્રભારી અને રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશાજી ચૌહાણ, બંને પ્રદેશ પ્રભારી નંદાજી ઠાકોર અને સુરેશભાઇ શાહ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, બંને મહામંત્રીઓ કનુભાઈ વ્યાસ અને ડાયાભાઈ પિલિયાતર, તેમજ યાત્રાના ઈન્ચાર્જ લાલજીભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

થરા ખાતે વિશાળ બાઈક રેલી યોજાઈ

જનયાત્રા કાંકરેંજના ટોટાણાથી થરા આવી પહોંચી હતી અને થરામાં બાઇક રેલી યોજી હતી. થરા સદારામ કોમ્પલેક્ષથી લઈ વાળીનાથ મંદિરે દર્શન કરી સભા સંબોધી હતી. વાળીનાથ મંદિરમાં તેમનું ફૂલહાર અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું. કાંકરેજથી લઈ અંબાજી મંદિર સુધી વચ્ચે આવતા દરેક ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જનયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને મોડી સાંજે અંબાજી પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details