- વર્ષ 2013 માં બની હતી દુષ્કર્મની ઘટના
- દુષ્કર્મ બાદ સગીરાને મારી નાખવાનો કર્યો હતો પ્રયત્ન
- સગીરાની માતાએ કરી હતી તારાપુર પોલીસ મથકે ફરિયાદ
- પોલીસે આરોપીમાં એક યુવાન અને મહિલાની કરી હતી અટકાયત
- 7 વર્ષ બાદ પરિવારને મળ્યો ન્યાય
- કોર્ટે આરોપીને કરી 10 વર્ષની સખત કેદની સજા
આણંદઃ તારાપુર ખાતે રહેતી એક સગીરાને 7 વર્ષ પહેલા ગળા ઉપર છરી મૂકીને અવાવરું ડેલાવાળા મકાનમાં લઈ જઈને તેણી ઉપર જાતિય અત્યાચાર ગુજાર્યા બાદ ગડદાપાટુનો માર મારીને ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ગુનેગાર ઠેરવીને આણંદના સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની સખ્ત સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનારી મહિલાને શંકાનો લાભ આપીને છોડી મુકી હતી.
સગીરા પર દુષ્કર્મ કરીને તેને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો
આ અંગેની મળતી વિગતો અનુસાર તારાપુર શહેરના ખોડિયાર નગર ખાતે રહેતો વનરાજસિંહ ઉર્ફે ભગો હરિસિંહ ચાવડાએ વર્ષ 2013 માં 16 વર્ષની એક સગીરાને ગળા ઉપર છરી મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાવરું બંધ ડેલાવાળા મકાનમાં બળજબરીપૂર્વક લઈ ગયો હતો. ત્યાં તેણી ઉપર દુષ્કર્મ ગુજારીને શરીર ઉપર બચકા પણ ભરી લીધા હતા. સગીરાએ વિરોધ કરતાં તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો. થોડીવાર બાદ વનરાજસિંહે ખોડિયાર નગરમાં જ રહેતી ગીતા બારોટને ફોન કરીને બોલાવી લીધી હતી અને બન્ને જણાંએ સગીરાને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો. ગીતાબેને તેના પગ પકડી લીધા હતા અને વનરાજસિંહે ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સગીરાની માતાની ફરિયાદને આધારે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.