ગુજરાત

gujarat

World Cancer Day: વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ

By

Published : Feb 3, 2022, 7:05 PM IST

Updated : Feb 3, 2022, 7:42 PM IST

World Cancer Day: વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ ક્લોઝ ધ કેર ગેપ કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ

દર વર્ષે 4 ફેબ્રુઆરીએ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી 'વર્લ્ડ કેન્સર ડે'(World Cancer Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો એક હેતુ એ છે કે કેન્સર જેવા રોગો સામે લડવા માટે વિશ્વભરના લોકોને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપવી.

અમદાવાદઃ: 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર દિવસ. આજની તારીખમાં સૌથી વધુ મૃત્યુ કેન્સરના કારણે થાય છે. જેથી આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022 ની થીમ “ક્લોઝ ધ કેર ગેપ”(Close the care gap)કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ.

કેન્સર પ્રત્યે જાગૃતિ

કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?

કેન્સરના વિવિધ તબક્કા(Different stages of cancer) કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.

પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.

બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.

ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.

ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.

અમદાવાદમાં પુરુષોમાં તથા સ્ત્રીઓમાં કેન્સરનો દર

ICMR ના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ 2021 ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ2020 માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યું ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યું સ્તનના કેન્સર ના કારણે થાય છે. ગુજરાતમાં વર્ષ 2020માં 69,660 નવા કેસ નોંધાયા હતા જે વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવાકેન્સર કેસ જોવા મળે છે.

સૌથી વધું મોઢાના કેન્સરના દર્દી

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં(GCRI Cancer Hospital ) દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાં થી 28.84 ટકા દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12 ટકા , મધ્ય પ્રદેશ- 11.4 ટકા, મહારાસ્ટ્ર-1 ટકા). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50 ટકા દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.

સારવાર માટે આધુનિક તકનીકી સુવિધાઓ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે (World Health Organization )રાજ્યનાંકેન્સરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે. રાજ્યના બજેટમાં છેલ્લા બે વર્ષમાં દર વર્ષે અંદાજીત 104 કરોડના અનુદાનની કેન્સરક્ષેત્રમાં વિવિધ સારવાર અને આધુનિક તકનીકી સુવિધાઓ માટે જોગવાઇ કરીને કેન્સર સામેની લડતમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે.

જિલ્લાઓમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા

રાજ્યના દૂર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગર માં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનનું કેન્સર જોવા મળે છે.

આ પણ વાંચોઃસાબરકાંઠાનું વિલાસપુર ગામ કેન્સરગ્રસ્ત, એક વર્ષ પછી પણ સ્થિતિ જેવી હતી તેવી જ

એક સર્વે અનુસાર 15 થી 49 વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો

રાજ્યના 15 થી 49 વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વઘુ જોવા મળ્યુ છે.

કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે

● શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.

● વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.

● દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.

● રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચોઃકેન્સર ડે વિશેષ: કેન્સર સર્વાઇવર અને ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખિકા અર્ચના ચૌહાણ સાથે ખાસ મુલાકાત

Last Updated :Feb 3, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details