અમદાવાદ: મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે સૌથી મોટો કાર્યક્રમ શતાબ્દી મહોત્સવનું 15થી 17 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સમાજે અમદાવાદમાં 100 વર્ષ પૂર્ણ કર્યા છે જેના અનુસંધાને તારીખ 15 થી 17 ડીસેમ્બરના રોજ ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ તેમજ સત્કાર સમારોહ યોજાશે. 100 વર્ષ ગૌરવ અંતર્ગત મહારાષ્ટ્ર સમાજના લોકો પણ આ પ્રસંગને લઈને ખૂબ જ ઉત્સાહી છે.
શતાબ્દી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન: આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે 15 ડીસેમ્બરે ટાગોર હોલમાં વર વધૂ પરિચય મેળો (જીવન સથી પસંદગી મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર સમાજની સાથે અન્ય 65 જ્ઞાતિના યુવાનો મળી ને 300થી વધુ લોકો જોડાશે. આ ઉપરાંત હોલના મેદાનમાં મરાઠી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન થશે, જેનું ઉદઘાટન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે કરવામાં આવનાર છે. શહેરમાં પહેલીવાર આ રીતે મરાઠી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મરાઠી વ્યંજન ખાવાનો લ્હાવો લોકોને મળશે. મરાઠી સંસ્કૃતિની ઝલક આ ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળશે. ફૂ઼ડ ફેસ્ટિવલમાં 30 સ્ટોલ લગાવવામાં આવશે. જેમાં તમામ સ્ટોલમાં મહારાષ્ટ્રની વાનગીઓ જ બનાવીને મુકવામાં આવશે.