ગુજરાત

gujarat

ગુજરાતમાં અવિરત વરસાદથી ખેડૂતોના પાક બળી ગયા, રોડ તૂટી ગયા… હવે શું?

By

Published : Aug 29, 2020, 9:31 PM IST

ગુજરાતમાં વરસાદ થોડો મોડો આવ્યો, પણ ઓગસ્ટમાં આવ્યો ત્યારે ધોધમાર વરસ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સીઝનનો 142 ટકા અને કચ્છમાં 221 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને વાવેતર પણ ધોવાઈ ગયા છે. ચોમાસુ પાક ધોવાઈ ગયો છે. રોડ રસ્તા પણ ધોવાઈ ગયા અને કેટલાય રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે ETV Bharatનો વિશેષ રિપોર્ટ…

damage to crops in gujarat
ગુજરાતમાં અવિરત વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી બન્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે, જેને પગલે ગુજરાતની પ્રજાએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો, ત્યાર પછી સરકાર સફાળી જાગી અને રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જે મુજબ રાજ્યમાં 10,300 કિમીના રોડ ધોવાઈ ગયા છે, આ સાથે રાજ્ય સરકારને રૂપિયા 400 કરોડનું નુકસાન થયું છે. સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બે દિવસથી રોડનું પેચઅપ કરવાનું કામ શરૂ કરી દીધું છે. રોડ પર પડેલા ખાડા પુરાઈ રહ્યા છે.

ગુજરાતમાં અવિરત વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી બન્યો

વરસાદના પરિણામે 314 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 286 માર્ગોનો સમાવેશ થાય છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે આ તમામ રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી કુલ 1564 અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે, જ્યારે સૌથી વધુ રાજકોટ શહેરમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થળાંતર કરેલા તમામ લોકોને જિલ્લાની પ્રાથમિક શાળા, કોમ્યુનિટી હોલ, આશ્રયસ્થાન તથા સરકારી મકાનોમાં અથવા તો કચેરીમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં સારા વરસાદને પગલે ખરીફ સીઝનનું અંદાજે 95 ટકા વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષનું સરેરાશ વાવેતર 84,90,017 હેકટર વિસ્તારમાં થયું હતું, જેની સામે આ વખતે ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં જ 80,64,364 હેકટર વિસ્તારમાં વાવેતર થઈ ચુક્યું છે.

ગુજરાત રાજ્ય ખેતી નિયામકની કચેરી અનુસાર, સમગ્ર રાજ્યમાં 17 ઓગસ્ટ, 2020 સુધીમાં સામન્ય વાવેતરની (છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ) સરખામણીએ ધાન્ય પાકનું 94 ટકા, કઠોળ પાકનું 88 ટકા અને તેલીબીયા પાકનું 113 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં ડાંગરનું 94 ટકા, બાજરીનું 113 ટકા, જુવારનું 62 ટકા અને મકાઈનું 92 ટકા વાવેતર થયું છે. કઠોળ પાકમાં તુવેરનું 89 ટકા, મગનું 94 ટકા, મઠનું 78 ટકા અને અડદનું 84 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં તેલિબીયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સામાન્ય વાવેતર વિસ્તારની સામે મગફળીનું 133 ટકા, તલનું 136 ટકા, એરંડાનું 61 ટકા અને સોયાબીનનું 121 ટકા વાવેતર થયું છે.

રાજ્યમાં અન્ય પાકમાં પણ સારા પ્રમાણમાં વાવેતર થયું છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ કપાસનું 85 ટકા, શાકભાજીનું 93 ટકા અને ઘાસચારાનું 91 ટકા વાવેતર થઈ ચૂક્યુ છે. રાજ્યમાં ગુવાર સીડનું વાવેતર પણ અંદાજે 68 ટકાની આસપાસ પહોંચ્યું છે. વાવેતર વિસ્તાર વધ્યો પણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદથી કપાસ, એરંડા, તલ, મગ, કઠોળ જેવા પાકના વાવેતરમાં ખેતરમાં પુષ્કળ પાણી ભરાઈ જવાથી પાક બળી ગયો હોવાના રીપોર્ટ છે. સર્વે કરીને નુકસાનીનું વળતર ચુકવવા માટે ખેડૂતોઓએ માગ કરી છે.

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત વરસાદને કારણે ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. જેમાં મોટાભાગના પાક ખતમ થઈ ગયા છે. આ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી આપી તેની સામે રાજ્ય સરકારે પાક વીમા યોજના જાહેર કરી છે, જેનાથી ખેડૂતોને કોઈ લાભ થતો નથી. તેમજ હાલ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કુલ વાવેતર વિસ્તારના 59 ટકા વિસ્તારના પાકને નુકસાન થયું છે. ગુજરાત સરકારે તાત્કાલિકપણ સર્વે કરવો જોઈએ અને ઝડપથી ખેડૂતોને વળતર આપવું જોઈએ, અને ખેડૂતોના હાથમાં પૈસા આવવા જોઈએ.

સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત વરસાદ આવ્યો અને ત્યાર પછી ખેડૂતોને પાકનું નુકસાન થયાના સમાચાર મળ્યા પછી અમે ગુજરાત સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં કિસાન સહાય યોજનામાં સુધારો કરવો જોઈએ. સતત વરસાદને કારણે જે નુકસાન થયું છે, તેનું વળતર ખેડૂતોને આપવું જોઈએ. ગુજરાત સરકારની પોતાની વીમા કંપની બનવી જોઈએ, કેમ કે કલાયમેન્ટ ચેન્જ દર વર્ષે રહેશે. અને ખેડૂતને હવે પછીના વર્ષોમાં આવી નુકસાની ન આવે, તેના માટે તેમને રક્ષણ આપવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details