અમદાવાદ:સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા નવેમ્બર 2022 માં દિલ્હીમાં અને માર્ચ 2023માં રાજસ્થાનમાં નશીલી દવાઓને બજારમાં જતી અટકાવવા માટે દરોડા પાડીને 5 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે બંને કેસની તપાસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ કે મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓનો જથ્થો ચાંગોદરમાં આવવાની છે. જે બાબતે તપાસ કરતા ચાંગોદરના પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કમાં પહોંચી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગના દરોડા:સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ હતી કે એક કરોડ જેટલી ટેલબેટનો જથ્થો ચાંગોદરમાં પહોંચી ચુક્યો છે અને દવાઓ WE CARE HEALTHCARE કંપનીના માલિકે મંગાવી છે. જોકે આ મામલે ચાંગોદરમાં દરોડા પાડીને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે દવાઓ મંગાવનાર આ કંપનીનો માલિક છત્તીસગઢ પોલીસ દ્વારા એક કેસમાં પકડાયો હોવાથી રાયપુર જેલમાં કેદ છે. તેમજ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર જે મહેસાણાનો છે તે પણ ફરાર છે.
'અગાઉ કરવામાં આવેલા બે કેસની તપાસમાં આ જગ્યાએ દવાઓનો જથ્થો આવવાનો હોવાની માહિતી મળતા તેના આધારે દરોડા પાડીને એક કરોડથી વધુ ટેબલેટ કબજે કરવામાં આવી છે. જેની બજાર કિંમત 20 કરોડથી વધુ છે. આ મામલે મુખ્ય આરોપી હાલ અન્ય કેસમાં જેલમાં હોય અન્ય આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.'-એસ.પી સિંઘ, સુપ્રિટેન્ડેન્ટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ