એશિયાઈ સ્ટોક માર્કેટના સુધારા પાછળ સવારે ભારતીય શેરબજાર પણ મજબૂત ખુલ્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી નહી મળે તેવા એંધાણ વચ્ચે તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓ નેટ સેલર બન્યા છે. બીજી તરફ એફઆઈઆઈની પણ ઑલરાઉન્ડ વેચવાલી ચાલુ રહી છે. આમ શેરબજારમાં ભારે વેચવાલીથી શેરબજારનો જનરલ ટોન નરમાઈ તરફી થઈ ગયો છે અને દરેક ઉછાળા ધોવાઈ જાય છે. સતત નવ દિવસની એકતરફી મંદી પછી સામાન્ય પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો, તે પણ ધોવાઈ ગયો હતો.
શેરબજારમાં નરમાઈનો દોરઃ સેન્સેક્સ 203 પોઈન્ટ માઈનસ બંધ
મુંબઈઃ શેરબજારનો સેન્સેક્સ 220 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હોવા છતાં શેરોની જાતેજાતમાં જોરદાર વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે શેરબજારમાં શરૂની મજબૂતી ધોવાઈ ગઈ હતી, અને માર્કેટ બંધ થયું ત્યારે માઈનસમાં બંધ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 203.65(0.55 ટકા) ઘટી 37,114.88 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 65.05(0.58 ટકા) તૂટી 11,157 બંધ થયો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વકર્યુ છે ત્યારે જેની લાંબાગાળે વિશ્વના તમામ બજારો પર વિપરીત અસર પડશે. આથી પણ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. આજે બેંક અને ઓટો સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 74.20 અને બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 113.15 ઘટ્યા હતા.
આજે યસ બેંક(8.01 ટકા), તાતા મોટર્સ(8 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(3.66 ટકા), કૉલ ઈન્ડિયા(2.75 ટકા) અને સન ફાર્મા(2.67 ટકા) સૌથી ટકા વધુ ગગડ્યા હતા. જ્યારે આજે બજાજ ફાઈનાન્સ(4.11 ટકા), આઈટીસી(1.05 ટકા), કોટક મહિન્દ્રા(0.68 ટકા), ઈન્ફોસીસ(0.37 ટકા) અને ટીસીએસ(0.01 ટકા) સૌથી વધુ ઊંચકાયેલા હતા.