સિરોહીઃ કેન્દ્રીય પ્રધાન જલશક્તિ ગજેન્દ્ર સિંહ વિરૂદ્ધ સિરોહી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભરતકુમારે એક ભાષણ મુદ્દે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં શેખાવત વિરૂદ્ધ 295 એ, 153 એ, 505 અને 120 બીની કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ભરતકુમારનો આરોપ છે કે શેખાવતે ખોટું ભાષણ આપ્યું છે અને શહેરનું વાતાવરણ ખરાબ કર્યુ છે. રાજસ્થાનમાં આવનારા દિવસોમાં વિધાનસભા ચૂંટણી છે. તેથી સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર સંદર્ભે આક્ષેપબાજી શરૂ થઈ ગયા છે. આ શ્રેણીમાં જ આ ઘટના ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Rajasthan News: સિરોહીમાં કેન્દ્રીય જલશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ કેસ દાખલ થયો, વાંચો કયા આરોપો લાગ્યા
Published : Sep 14, 2023, 6:08 PM IST
કેન્દ્રીય જલશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત વિરૂદ્ધ સિરોહી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. શેખાવત વિરૂદ્ધ ખોટું ભાષણ અને શહેરનું વાતાવરણ ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સમગ્ર કેસની વિગતો
રામનવમી મુદ્દે કર્યુ વિવાદિત ભાષણઃ 11મી સપ્ટેમ્બરે રામજરોખા મેદાનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સભાને સંબોધનમાં ગજેન્દ્ર સિંહ શેખાવતે ખોટી માહિતી રજૂ કરી હતી. જેમાં તેમણે સિરોહીની રામનવમીની યાત્રા પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંકાયા હોવાની વાત કરી હતી. દુકાનો સળગાવાયાની માહિતી પણ શેખાવતે આપી હતી. ભરતકુમારનો આરોપ છે કે સિરોહીની રામનવમી યાત્રા દરમિયાન આવી કોઈ ઘટના ઘટી જ નહતી.
હેટ સ્પીચનો મુદ્દોઃ વિધાનસભા ચૂંટણીમાં ગેરફાયદો ઉઠાવવા માટે અને શહેરમાં શાંતિમય વાતાવરણ ડહોળવા માટે કેન્દ્રીય પ્રધાન શેખાવતે ખોટા નિવેદનો કર્યા હતા. આ ભાષણની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવી છે. ફરિયાદી જણાવે છે કે સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચની જે વ્યાખ્યા કરી છે તેમાં આ ભાષણનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.