નવી દિલ્હી: આજે ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બેઠકમાં પીએમએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આવો દિશાવિહીન વિરોધ આજ સુધી જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓના હોબાળાને પહોંચી વળવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ સત્રમાં રજૂ થનાર બિલો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાં મણિપુર મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
પીએમના વિપક્ષ પર વાર:ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વેરવિખેર અને હેબતાઈ ગયો છે. તેમણે કહ્યું કે વિપક્ષને લાંબા સમય સુધી સત્તામાં રહેવાની કોઈ ઈચ્છા નથી. સાથે જ તેમણે કહ્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ તેના નામની આગળ ભારત લગાવ્યું હતું. ઈન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ભારત સામેલ છે. આ બેઠકમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
AAP સાંસદ સંજય સિંહ ગૃહમાંથી સસ્પેન્ડ: સોમવારે પણ વિપક્ષી દળોના નેતાઓ દ્વારા સંસદના બંને ગૃહોમાં માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં વિપક્ષો મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે પીએમ મોદીએ સંસદમાં પણ મણિપુરની ઘટનાની જાણકારી જનપ્રતિનિધિઓને આપવી જોઈએ. જોકે અમિત શાહે વિપક્ષને આ મુદ્દે ચર્ચા કરવાની અપીલ કરી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ પણ વિપક્ષી દળોને આ મુદ્દે ચર્ચા કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસે પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સંસદમાં ચર્ચાથી ડરે છે. આ મુદ્દે AAP સાંસદ સંજય સિંહને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહના નેતા પિયુષ ગોયલ સસ્પેન્શનનો પ્રસ્તાવ લાવ્યા હતા.