ગુજરાત

gujarat

આબેની ભારત-જાપાન સંબંધો પર અસર: મુખ્ય મંચ પર લાવી દીધા

By

Published : Aug 31, 2020, 8:05 PM IST

જાપાનના વડા પ્રધાન તરીકે શિન્ઝો આબેએ પોતાનો ત્યાગપત્ર જાહેર કર્યો તે સાથે જ દેશમાં ફરી એક વાર રાજકીય અસ્થિરતાનો સમયગાળો આવી પડ્યો છે. ભારતને પણ વૈશ્વિક ક્ષેત્રમાં તેના સૌથી મોટા એક બોલકા દોસ્તની ખોટ સાલવાની છે તે પાકું છે. અબેએ વ્યક્તિગત ધ્યાન આપીને જાપાનની નીતિમાં ભારત સંબંધો મુખ્ય મંચ પર લાવી દીધા.

the-abe-effect-on-india-japan-ties
આબેની ભારત-જાપાન સંબંધો પર અસર: મુખ્ય મંચ પર લાવી દીધા

ન્યૂઝ ડેસ્કઃજાપાનના વડા પ્રધાન તરીકે શિન્ઝો આબેએ પોતાનો ત્યાગપત્ર જાહેર કર્યો તે સાથે જ દેશમાં ફરી એક વાર રાજકીય અસ્થિરતાનો સમયગાળો આવી પડ્યો છે. ભારતને પણ વૈશ્વિક ક્ષેત્રમાં તેના સૌથી મોટા એક બોલકા દોસ્તની ખોટ સાલવાની છે તે પાકું છે. અબેએ વ્યક્તિગત ધ્યાન આપીને જાપાનની નીતિમાં ભારત સંબંધો મુખ્ય મંચ પર લાવી દીધા.

'જાપાન અને ભારત વચ્ચે વૈશ્વિક ભાગીદારી' સુધારવાના પાયા ૨૦૦૧માં નખાયા હતા અને વાર્ષિક દ્વિપક્ષીય શિખર માટે ૨૦૦૫થી સમજૂતી થઈ હતી, પણ આબેએ ગતિ વધારી દીધી. તેમની પ્રથમ અવધિમાં તેમણે ભારતની મુલાકાત લીધી અને ઑગસ્ટ ૨૦૦૭માં ભારતીય સંસદને સંબોધીને તેમના 'બે સમુદ્રનો સંગમ' પ્રવચનમાં સંબંધો માટે તેમના દૃષ્ટિકોણને રેખાંકિત કરતા ભારત-પ્રશાંતના તેમના વિચારને વ્યક્ત કર્યો હતો જે હવે ભારત-જાપાન સંબંધોનો મહત્ત્વનો સ્તંભ બની ગયો છે. વર્ષ ૨૦૧૨માં તેઓ બીજી વાર વડા પ્રધાન બન્યા પછી તેમણે ત્રણ વાર ભારતની મુલાકાત લીધી છે જેમાં એક વાર તેઓ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ પણ બન્યા હતા અને ભારતના વડા પ્રધાન સાથે તેમણે ગાઢ અંગત સંબંધ સ્થાપિત કર્યો હતો.

આબે અને નરેન્દ્ર મોદી બંને માટે મિત્રતા અસાધારણ લાગી શકે છે. તેનું કારણ છે કે અબે જાપાનમાં રાજકીય રાજ્યાધિકારના નજીકના ઉત્તરાધિકારી છે (જે જાપાનના ક્રિસન્થેમમ થ્રૉન એટલે કે સિંહાસનની પ્રાચીન વંશાવલીથી જુદું છે)- અબેના દાદા/નાના નોબુસુકે કિશી વડા પ્રધાન હતા (ઍ૯૫૭-૬૦), તેમના પિતા શિન્તારાવ આબે વિદેશ પ્રધાન હતા અને જાપાનના સૌથી લાંબો સમય શાસન કરનાર વડા પ્રધાન તરીકે તેઓ તેમના પિતાના કાકા/મામા/ફૂઆ/માસા ઐસાકુ સાતોથી આગળ નીકળી ગયા છે જ્યારે મોદી ખૂબ જ નિમ્ન પાયેથી શરૂઆત કરીને આગળ આવ્યા છે. બંનેના મજબૂત રાષ્ટ્રવાદી દેખાવ, મજબૂત રાષ્ટ્રનો સમાન દૃષ્ટિકોણ અને જાપાનની મૂડીને ચીનમાંથી બહાર લાવવાના અબેના ક્રમશ: પગલાંથી રાષ્ટ્રીય હિતોનું રૂપાંતરણ જ આગળ નથી વધ્યું પરંતુ બંનેનો અંગત સંબંધ પણ મજબૂત થયો છે. અબેએ યામાંશીમાં આવેલા તેમના પૂર્વજોના ઘરે નરેન્દ્ર મોદીનો આતિથ્ય સત્કાર કર્યો તે વાત પરથી આ દેખાઈ આવે છે. નરેન્દ્ર મોદી આવું સમ્માન મેળવનારા પ્રથમ વિદેશી નેતા બન્યા હતા.

વિદેશ નીતિના મોરચે, અબે જાપાનના મુખ્ય સાથી અમેરિકા, જેનું નેતૃત્વ અસ્થિર ડૉનાલ્ડ ટ્રમ્પની સાચી બાજુએ રહેવામાં સફળ રહ્યા હતા અને તેમણે સતત વધી રહેલા શક્તિશાળી અને આક્રમક ચીન સામે મજબૂત ઊભા રહેવામાં અન્યોની સાથે ભારતનો પણ સંપર્ક કર્યો હતો અને તેની સાથે ચીનની બેલ્ડ અને રૉડ પહેલ (બીઆરઆઈ)ની સામે એશિયા આફ્રિકા ગ્રૉથ કૉરિડોરને વૈકલ્પિક નમૂના તરીકે શરૂ કર્યો હતો. જાપાન અને ભારત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એ રીતે લોકશાહીના ચતુર્ભુજ જે 'ક્વાડ' તરીકે જાણીતો છે તેને લાવવામાં તેઓ મુખ્ય પહેલ કરનારા પણ હતા. આનાથી આ ક્ષેત્રમાં ચીનને એક શબ્દ કહ્યા વગર સ્પષ્ટ સંદેશ ગયો હતો કે તેની આક્રમક નીતિઓ અશાંતિ સર્જનારી છે.

તેમની વૈશ્વિક સ્વીકૃતિ છતાં, અબે જાપાનમાં લોકપ્રિય સમર્થન વધુ મેળવવામાં સફળ રહ્યા નહોતા. તેનું કારણ કદાચ તેમની વધુ રાષ્ટ્રવાદી નીતિઓ હતી અને દેશના બંધારણને પુનઃ મઠારવાના પ્રયાસો અને ઇતિહાસને, ખાસ કરીને જાપાનના સંસ્થાનવાદી (કૉલૉનિયલ) ઇતિહાસ અને યુદ્ધ સમયમાં કોરિયામાં શોષણ, હિંસા અને ગુલામીમાં જાપાનના સશસ્ત્ર દળોની ભૂમિકાને ફરીથી લખવાનું હતું. સંરક્ષણ પર તેમની સરકારના તાજેતરના શ્વેતપત્રમાં દેખાડાયું છે તેમ તેમણે જાપાનના સ્વરક્ષણ દળોને મહત્તમ સ્તર સુધી મજબૂત કર્યાં છે.

ભારત સાથે સંબંધો સુધર્યા છે તેની સાથે જાપાન સાથે બે વત્તા બે વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની બેઠકની પહેલ પણ નવેમ્બર ૨૦૧૯થી શરૂ થઈ છે. જે બતાવે છે કે દ્વિપક્ષીય રણનીતિક સંબંધ કેટલા ગાઢ બન્યા છે. બંને દેશોએ ૨૦૧૫માં સંરક્ષણ સાધનો અને ટૅક્નૉલૉજી હસ્તાંતરિત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા જે યુદ્ધ પછીના નરમ જાપાન માટે અસાધારણ હતું. બંને દેશો સૈન્ય હેરફેર સહાય સમજૂતી: પ્રાપ્તિ અને એકબીજાની સેવા સમજૂતી પર પણ વાટાઘાટ કરી રહ્યા છે.

મોદી અને અબે દ્વિપક્ષીય સંબંધોને 'વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારી' સુધી લઈ ગયા છે. જાપાન એક માત્ર દેશ છે જેણે પરમાણુ હુમલાના કારણે થયેલો વિનાશ અને પીડા ભોગવી છે. તેણે એનપીટી પર સહી ન કરનાર દેશ ભારત સાથે પ્રાથમિક નાગરિક પરમાણુ ઊર્જા પર હસ્તાક્ષર કર્યા છે અને સંબંધોમાં હવે નાગરિક પરમાણુ ઊર્જા, ત્રાસવાદ પ્રતિકાર, સંરક્ષણથી લઈ દરિયાઈ સુરક્ષા, બુલેટ ટ્રેનથી લઈ ગુણવત્તાવાળું આંતરમાળખું, જેમાં ત્રીજા દેશોનો પણ સમાવેશ થાય છે,થી માંડીને ભારત-પ્રશાંત રણનીતિ વગેરે મુદ્દાઓ આવરી લેવાયા છે. 'પૂર્વ પર કામ કરો' (ઍક્ટ ઇસ્ટ) ફૉરમ હેઠળ ભારતના ઈશાન રાજ્યો પણ એક મહત્ત્વનો ધ્યાન અપાઈ રહેલો વિસ્તાર છે જેમાં જાપાને મોટા પાયે રોકાણનું વચન આપ્યું છે.

આબેએ ક્વાડને વિદેશી પ્રધાનના સ્તરે રજૂઆત માટે લઈ જવા ધક્કો માર્યો છે કારણકે ભારત-પ્રશાંત દરિયાઈ જગ્યામાં ચીનની દાદાગીરી વધતી જઈ રહી છે અને ભારત-ચીન વચ્ચે વર્ષ ૨૦૧૭માં ડૉકલામના કારણે સીમા મડાગાંઠ થઈ તે વખતે અને આ વર્ષની શરૂઆતમાં લદ્દાખમાં સીમા મડાગાંઠ થઈ ત્યારે જાપાને ભારતને ટેકો આપ્યો અને સાર્વજનિક રીતે પરિસ્થિતિ એકતરફી રીતે બદલવાના ચીનના વર્તન અને પ્રયાસોની ટીકા કરી હતી. જોકે જાપાને ભારતના આંતરિક મુદ્દાઓ પર ક્યારેય ટીપ્પણી કરી નથી; ચાહે તે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો હોય કે નાગરિકત્વ સુધારા અધિનિયમ હોય, જેની સામેના આંદોલનના કારણે તેમની ડિસેમ્બર ૨૦૧૯માં ગુવાહાટીની નિર્ધારિત મુલાકાત રદ્દ કરવી પડી હતી.

66 વર્ષનાઆબે જેઓ જાપાનના સૌથી લાંબો સમય શાસન કરનારા વડા પ્રધાન છે, તેમણે આરોગ્યનાં કારણોસર પદત્યાગની જાહેરાત કરતી વખતે, જાપાનના લોકોની એ કામો માટે ક્ષમા માગી છે જે તેમના કહેવા મુજબ અધૂરાં રહી ગયાં છે. તેમની અવધિ તો સપ્ટેમ્બર ૨૦૨૧માં પૂરી થવાની હતી એટલે તેમની આ નિવૃત્તિ એક વર્ષ પહેલાં છે. તેઓ પોતાના પ્રવચનમાં પોતાની સિદ્ધિઓ કહી શક્યા હોત, જેમાં જેને સામાન્ય રીતે 'અબેનૉમિક્સ' કહે છે, તેમની પોતાની શૈલીની અર્થનીતિ, આવી જાય છે. આ અર્થનીતિ જાપાનના આર્થિક પુનરોદ્ધાર પર કેન્દ્રિત હતી અને તેનાથી જાપાનનું અર્થતંત્ર સ્થિર થયું. દેશની અંતર માગમાં વધારો થયો અને આર્થિક મંદીના વાતાવરણમાંથી તેને બહાર કાઢ્યું.

આબેના અચાનક ત્યાગપત્રથી તેમના લિબરલ ડેમોક્રેટિક પક્ષની અંદર થોડો ખળભળાટ થશે તે સ્વાભાવિક છે. તેમના ચૂંટાયેલા અનુગામી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી બાકીની અવધિ પૂરી કરશે અને તે પછી નવી રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. તેમના પુરોગામી ભારત સાથે અબે જેવી જ ઉષ્ણતા અને સંબંધો પર ધ્યાનની ઊંડાઈ જાળવી રાખશે કે કેમ તે જોવું રહેશે, પરંતુ અત્યારે તો ભારત જાપાનની અંદર થઈ રહેલા રાજકીય ઘટનાક્રમો પર ભારે રસ સાથે નજર રાખી રહ્યું હશે.

- નીલોવા રોય ચૌધરી

ABOUT THE AUTHOR

...view details