ગુજરાત

gujarat

Mobile hacking : ફોન અને ઈમેલ હેકિંગનો વિવાદ વધુ ગહેરાયો, રાહુલ ગાંધી મહુવા મોઇત્રા સહિત વિપક્ષોની કાગારોળ વચ્ચે એપલની સ્પષ્ટતા

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 4:02 PM IST

ફોન અને ઈમેલ હેકિંગનો વિવાદ વધુ ગહેરાયો છે. રાહુલ ગાંધી, મહુવા મોઇત્રા, રાઘવ ચઢ્ઢા, અસદુદ્દીન ઓવૈસી જેવા વિપક્ષી નેતાઓએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ નેતાઓનું કહેવું છે કે એપલ તરફથી મોબાઇલ હેકિંગ એલર્ટ મળ્યું છે. ત્યારે આ દાવાઓ વચ્ચે એપલની સ્પષ્ટતા અને ભાજપનો રદિયો પણ હેડલાઇન્સમાં સ્થાન મેળવી રહ્યાં છે.

Mobile hacking : ફોન અને ઈમેલ હેકિંગનો વિવાદ વધુ ગહેરાયો, રાહુલ ગાંધી મહુવા મોઇત્રા સહિત વિપક્ષોની કાગારોળ વચ્ચે એપલની સ્પષ્ટતા
Mobile hacking : ફોન અને ઈમેલ હેકિંગનો વિવાદ વધુ ગહેરાયો, રાહુલ ગાંધી મહુવા મોઇત્રા સહિત વિપક્ષોની કાગારોળ વચ્ચે એપલની સ્પષ્ટતા

નવી દિલ્હી : વિપક્ષના અગ્રણી નેતાઓએ સરકાર પર ફોન અને ઈમેલ હેકિંગને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે વિરોધ પક્ષોના નેતાઓના ફોન હેક કરવામાં આવી રહ્યા છે. આ નેતાઓએ કહ્યું છે કે તેમને એપલ તરફથી એક એલર્ટ મળ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે કે અલ્ગોરિધમમાં ખામીને કારણે આવી ચેતવણીઓ આવે છે. ત્યારે હવે એપલ કંપનીએ પણ નિવેદન જાહેર કર્યું છે. એપલ કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આવી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

સરકાર પર જાસૂસીના ગંભીર આરોપો : બિનભાજપ નેતાઓએ એપલ ઉપકરણો પર મળેલી ચેતવણીઓના સ્ક્રીનશોટ શેર કર્યા પછી મંગળવારે એક નવો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો. ભાજપે જોકે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે, તો બીજી તરફ મહુઆ મોઇત્રા, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી સહિતના નેતાઓ સહિત બિનભાજપ નેતાઓએ સરકાર પર જાસૂસીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે સરકાર વતી નિવેદન આપતાં ભાજપના નેતા નલીન કોહલીએ સરકારનો બચાવ કર્યો હતો.

એપલની સ્પષ્ટતા સામે આવી : આ વિવાદ વચ્ચે એપલે મંગળવારે વિપક્ષી નેતાઓના આક્ષેપો વચ્ચે દાવાઓનો જવાબ આપ્યો હતો. એપલ કંપનીએ કહ્યું કે શક્ય છે કે Apple ની કેટલીક ચેતવણીઓ ખોટા એલાર્મ હોઈ શકે. તેના ટેક્નિકલ સપોર્ટ પેજ પરથી લેવામાં આવેલા સંક્ષિપ્ત નિવેદનમાં એપલે કહ્યું કે રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાખોરો ખૂબ મોટું ભંડોળ ધરાવતા અને અત્યાધુનિક હોય છે. આવા હુમલાઓને શોધી કાઢવા એ ધમકીના ગુપ્ત સંકેતો પર આધાર રાખે છે જે ઘણીવાર અધૂરા હોય છે. કંપનીએ કહ્યું કે શક્ય છે કે કેટલીક ચેતવણીઓ ખોટા એલાર્મ હોઈ શકે અથવા કેટલાક હુમલાઓ શોધી ન શકાય. એપલે એ પણ કહ્યું કે તે આવી સૂચનાઓ જારી કરવાના કારણો વિશે માહિતી પ્રદાન કરવામાં અસમર્થ છે, કારણ કે આમ કરવાથી રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરોને ભવિષ્યમાં તપાસ અટકાવવાના માટે પોતાના વર્તનને સુધારવામાં મદદ મળી જાય છે.

એપલ પાસેથી સ્પષ્ટતા માંગવી જોઈએ :વિપક્ષી નેતાઓ દ્વારા સરકાર પર તેમના ફોન ટેપ થવાના આરોપો પર પ્રતિક્રિયા આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે સરકાર પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે, આ નેતાઓએ એપલ પાસેથી સ્પષ્ટતા માંગવી જોઈએ. તે આવું કેવી રીતે કરી રહ્યું છે.આ એક પ્રકારનો મેસેજ છે અને જો તમે કંપનીના જવાબથી અસંતુષ્ટ હોવ તો એફઆઈઆર નોંધાવવી જોઈએ.વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા આરોપો અંગે ભાજપ મુખ્યાલયમાં મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આ નેતાઓને એફઆઈઆર દાખલ કરતા કોણ રોકે છે. આ મેસેજ શું છે અને શા માટે મોકલવામાં આવ્યો છે, તેના વિશે માત્ર એપલ કંપની જ સ્પષ્ટતા આપી શકે.

એફઆઈઆર નોંધાવો : તેમણે કહ્યું કે શશી થરૂર પોતે આઈટી સંબંધિત સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેઓ આ મામલે એપલ કંપની પાસેથી સ્પષ્ટતા કેમ નથી માગતા? પ્રસાદે પડકાર ફેંક્યો અને કહ્યું કે જો આ નેતાઓ એપલની સફાઈથી સંતુષ્ટ ન હોય તો તેઓએ જઈને એફઆઈઆર નોંધાવવી જોઈએ. પ્રસાદે કહ્યું કે આ નેતાઓના આરોપો રાહુલ ગાંધીએ કરેલા આરોપો જેવા જ છે અને કહ્યું કે આવો મામલો લાગે છે. રાહુલ ગાંધીએ દેશભરમાં હલચલ મચાવી દીધી હતી કે પેગાસસ દ્વારા તેમના ફોનની જાસૂસી કરવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને તપાસ માટે તપાસ સમિતિને તેમનો ફોન આપવાનું કહ્યું ત્યારે તેમણે તે આપ્યો ન હતો. સરકાર પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવતા રવિશંકર પ્રસાદે કહ્યું કે એપલ કંપની પાસેથી સ્પષ્ટતા માંગવા અને એફઆઈઆર નોંધવાને બદલે આ બધા લોકો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે જે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે.

રાહુલ ગાંધીની તેજ તર્રાર પ્રતિક્રિયા : વિપક્ષી નેતાઓના તેમના એપલ ડિવાઇસ હેક કરવાના આરોપ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે બહુ ઓછા લોકો તેની સામે લડી રહ્યા છે પરંતુ અમે ડરતા નથી. તમે ઇચ્છો તેટલું ફોન ટેપિંગ કરી શકો છો. મને વાંધો નથી. જો તમારે મારો ફોન લેવો હોય, તો હું તમને આપીશ.

ભાજપ નેતા નલીન કોહલીએ આરોપો ફગાવ્યાં :સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા ભાજપ નેતા નલીન કોહલીએ કહ્યું કે મહુઆ મોઇત્રા પર ઘણા ગંભીર આરોપો છે. આ માટે તેમણે સંસદની એથિક્સ કમિટી સમક્ષ પણ જવું પડશે. જવાબ આપવો પડશે. હવે તે ફોન હેકિંગની વાત કરી રહ્યાં છે. જો કોઈ હેક કરવાનો પ્રયાસ કરે છે તો તરત જ ફોન પર નોટિફિકેશન આવે છે. આપણે કેવી રીતે માની શકીએ કે ભારત સરકારે આ કર્યું છે? તે કયા આધારે આવું બોલી રહ્યાં છે? આ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. ઉપરાંત, શું તે શક્ય છે કે તેણે પોતે જ તેનો ફોન હેક કરવાનો પ્રયાસ કર્યો હોય? આ પણ શક્ય બની શકે છે.

રાઘવ રાઘવ ચઢ્ઢાને મેસેજ મળ્યો : દરમિયાન આપ સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ તેમના ફોન પર કથિત હેકિંગની માહિતી મળી હતી અને દાવો કર્યો હતો કે તે ભારતના લોકો પર હુમલો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આજે વહેલી સવારે મને એપલ તરફથી એક માહિતી મળી. જેમાં મને મારા ફોન પર સંભવિત રાજ્ય પ્રાયોજિત સ્પાયવેર હુમલા વિશે ચેતવણી આપવામાં આવી હતી. આ હુમલાઓ એક વ્યક્તિ કે વિરોધ પક્ષ તરીકે મારા પર નથી પરંતુ ભારતના સામાન્ય લોકો પર છે. કારણ કે તે ફક્ત મારા ફોન અથવા મારા ડેટા વિશે નથી. દરેક ભારતીયે ચિંતા કરવાની જરૂર છે. કારણ કે આજે હું છું, આવતીકાલે તમે હોઈ શકો છો.

નિશિકાંત દુબેની પ્રતિક્રિયા : ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રાના ફોન હેક થવાના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સાંસદે તરત જ તેનો મોબાઈલ ફોન દિલ્હી પોલીસને તપાસ માટે આપવો જોઈએ. શું ભારત સરકાર માટે હવે કોઈ કામ બાકી નથી? થોડાક રૂપિયા માટે રાષ્ટ્રીય સુરક્ષાને ગીરવે મુકવાના આરોપી સાંસદના આ મગરના આંસુ ખરેખર હસી કાઢવા જેવા છે. દિલ્હી પોલીસે તરત જ માનનીય સાંસદનો મોબાઈલ ફોન લઈને તપાસ કરવી જોઈએ, સાંસદ વિરુદ્ધ ગોપનીયતાના ઉલ્લંઘનનો કેસ તાત્કાલિક નોંધવો જોઈએ. નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીજીની જેમ આરોપ લગાવીને ભાગી ન જવું જોઈએ. તેમણે મોબાઈલ ટેપ અંગે પણ વાત કરી હતી પરંતુ ફોન આપ્યો ન હતો.

કથિત હેકિંગનો દાવો : શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તેમના ફોનના કથિત હેકિંગનો દાવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હતો. સોમવારે રાત્રે મને જે રીતે ચેતવણી મળી તે દર્શાવે છે કે આ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. મારે સાવચેત રહેવાની જરૂર છે. ચેતવણી સ્પષ્ટપણે જણાવે છે કે આ હુમલાઓ 'રાજ્ય પ્રાયોજિત' છે. શિવસેના સાંસદે પૂછ્યું કે શું કારણ છે કે માત્ર વિપક્ષી નેતાઓને જ આવા મેસેજ મળી રહ્યા છે. આ દર્શાવે છે કે મોટા પાયે દેખરેખ ચાલી રહી છે. આ અંગે તપાસ થવી જોઈએ અને કેન્દ્રએ આ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ.

ઓવૈસીએ સ્ક્રીનશોટ શેર કર્યો :એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ કથિત હેકિંગનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેણે કહ્યું કે ગઈકાલે રાત્રે તેને એપલ તરફથી એલર્ટ મેસેજ મળ્યો કે હેકર્સ તેના ફોનને નિશાન બનાવી રહ્યા છે. તેની વેબસાઈટ પર એપલ સપોર્ટ પેજ મુજબ રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાઓ અત્યંત જટિલ હોય છે જેને વિકસાવવા માટે લાખો ડોલરનો ખર્ચ થાય છે. ઘણીવાર તેમની શેલ્ફ લાઇફ ટૂંકી હોય છે. એપલ કહે છે કે જો તે રાજ્ય-પ્રાયોજિત હુમલા સાથે સુસંગત પ્રવૃત્તિ શોધે છે, તો તે લક્ષિત વપરાશકર્તાઓને બે રીતે સૂચિત કરશે. વપરાશકર્તા appleid.apple.com પર સાઇન ઇન કરે તે પછી પૃષ્ઠની ટોચ પર એક ધમકી સૂચના પ્રદર્શિત થશે. વધુમાં, Apple વપરાશકર્તાના Apple ID સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસ અને ફોન નંબર પર ઈમેલ અને iMessage મોકલશે.

  1. Mahua Moitra Received text from Apple : મહુઆએ સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- મારો ફોન હેક થઈ રહ્યો છે, એપલ તરફથી મળ્યું એલર્ટ
  2. Delhi Liquor Scam: CM અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે બોલાવ્યા
  3. Supreme Court : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને ડિસક્વોલિફિકેશન અરજી પર નિર્ણય લેવા સૂચના આપી

ABOUT THE AUTHOR

...view details