ગુજરાત

gujarat

Surat Accident: VNSGU, સુરત ખાતે સેવક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ પટેલનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 7:58 AM IST

સાયણ ટાઉનમાં રહેતા અને વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી, સુરત ખાતે સેવક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ પટેલનું ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતુ.

Surat Accident
Surat Accident

Surat Accident

સુરત: સાયણ ટાઉનના પૂર્વ વિભાગની ધીરજ નગર સોસાયટીની બાજુના માલિકીના ખેતરના ઘર બાંધીને સંજયભાઈ જયંતિભાઈ પટેલ (ઉ.વ. ૪૦) રહેતા હતા. તેમની બે બહેનોના લગ્ન થયા હતા, જ્યારે તે અપરિણીત હોવાથી તેના માતા-પિતાના અવસાન બાદ ઘરમાં એકલા જ રહેતા હતા. સંજય પટેલ સુરત ખાતેની વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં સેવક હતા.

કેવી રીતે બની ઘટના:સંજય પટેલ રાત્રે જમી પરવારી સાયણ રેલવે પ્લેટફોર્મ ઉપર હરવા-ફરવા માટે ગયા હતા. દરમિયાન તેઓ રાત્રે ૧૦:૩૦ કલાકના સુમારે લઘુશંકા કરવા ઓવરબ્રિજની નીચેના થાંભલા પાસે ગયા હતા. આ સમયે સંજય પટેલ અચાનક રેલવે ટ્રેક ઉપર પડી ગયા હતા. અને રેલવે ટ્રેક ઉપર દોડતી એક ટ્રેનની અડફેટે આવી જતા તેમને માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજા થઈ હતી. તેને કારણે તેમનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ બાબતની જાણ મૃતકના કાકા ઠાકોરભાઈ જયરામભાઈ પટેલને થતા તેમણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

ભાણેજના લગ્નની ખુશીનો પ્રસંગ માતમમાં પલટાયો:આગામી બુધવારે સંજયભાઈ પટેલના કાકા સ્વ.બાલુભાઇ જયરામભાઈ પટેલની કુવાદ ગામે રહેતી દિકરીના પુત્રના લગ્ન થનાર હતા. જેથી પ્રસંગને અનુરૂપ સોમવારે ભાણેજની હલ્દી પીઠીનો પ્રસંગ પણ હતો. જયારે બુધવારે કાકાને ત્યાંથી કુવાદ ગામે મોસળું જનાર હોવાથી સંજયભાઈ પટેલ ભાણેજનું મામેરૂં ભરનાર હતા. પરંતુ અચાનક તેમનું મોત થતા ભાણેજના લગ્નની ખુશીનો પ્રસંગ માતમમાં પલટાયો છે. ઘટનાના પગલે સંજયભાઇ પટેલના કુંટુંબી પરિવાજનો અને સબંધીઓ આઘાતમાં સરી પડયા છે.

ઓલપાડ પોલીસ મથકના પીએસઆઈ રાકેશ મારુએ જણાવ્યું હતું કે બનેલ બનાવમાં એક યુવકનું મોત નિપજયું છે. મૃતક યુવકનું નામ સંજય પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

  1. Bardoli Accident: પુરઝડપે આવતી ટ્રક બસ સ્ટેન્ડ સાથે અથડાતાં વાહનચાલકનું સ્થળ પર જ મોત
  2. Rajkot: ગોંડલ ઉમવાડા રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાતાં પોલીસકર્મીનું મોત, સાત વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

ABOUT THE AUTHOR

...view details