ગુજરાત

gujarat

MLA Chaitar Vasava Bail : ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર, પરંતુ હજુ જેલમાંથી બહાર નહીં આવે

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 3:02 PM IST

ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન મળ્યા છે. પરંતુ હજુ તેઓ જેલમાંથી બહાર નહીં આવે. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. હાલ જાણવા મળી રહ્યું છે કે, દંપતી જેલમાંથી સાથે બહાર નીકળશે. જાણો ચૈતર વસાવાની જામીન મંજૂર કરવાની સાથે કોર્ટે શું શરતો મૂકી...

ચૈતર વસાવાના જામીન અંગે યુવરાજસિંહની પ્રતિક્રિયા

નર્મદા :વનકર્મી પર હુમલા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 39 દિવસના જેલવાસ બાદ શરતી જામીન મળ્યા છે. પોલીસ સમક્ષ સરેન્ડર કર્યા બાદ ચૈતર વસાવાને નર્મદા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ ડેડીયાપાડા સ્થાનિક કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાલ સુધી તેમના જામીન અરજી નામંજૂર થતી હતી.

ચૈતર વસાવાના જામીન મંજૂર : જેલમાં 39 દિવસ રહ્યા બાદ ગત 22 જાન્યુઆરીના રોજ નર્મદા ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટેની સુનાવણી ચાલી હતી. સરકાર તરફેણમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરી હતી. જ્યારે ચૈતર વસાવા તરફેણમાં એડવોકેટ સુરેશ જોશીએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલને સાંભળ્યા બાદ કોર્ટે ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા છે.

કેમ જેલમાંથી બહાર નથી આવ્યા વસાવા ? ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે. પરંતુ તેઓ હજુ જેલમાંથી બહાર આવશે નહીં. કારણ કે તેમની પત્ની શકુંતલાબેનની જામીન અરજી પર સુપ્રીમમાં 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. ત્યારે પત્ની સાથે બહાર નીકળવાનું ધારાસભ્ય ચૈતર વસાવાએ નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. કોઈનું મોરલ ન તૂટે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની અને અન્ય સભ્યો સાથે જેલમાંથી બહાર નીકળશે. હાલ કોર્ટમાંથી બીડું જેલમાં પહોંચી ગયું છે.

ચૈતર વસાવાના વકીલ

કોર્ટની શરતો : ચૈતર વસાવાની જામીન મંજૂર કરવાની સાથે કોર્ટે કેટલીક શરતો મૂકી છે. જે અનુસાર કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેર હદમાં પ્રવેશ કરી શકશે નહીં. ઉપરાંત તેઓ નાસી કે ભાગી શકે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે, ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં, ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ નહીં છોડી શકે. તથા આવા કે અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં, જો ચૈતર વસાવા ચાહે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટે અરજી કરી શકશે. જો કોર્ટની કોઈપણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે સહિતની 13 જેટલી શરતો મૂકવામાં આવી છે.

શું હતો મામલો ? ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની પત્ની અને ખેડૂતો સહિત 10 જેટલા લોકો વિરુદ્ધ વનકર્મી પર હુમલાને લઈને પોલીસ કેસ નોંધાયો હતો. પોલીસે ચૈતર વસાવા સિવાય તમામની ધરપકડ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. બાદમાં આગોતરા જામીન ન મળતા ચૈતર વસાવાએ 40 દિવસ બાદ શક્તિ પ્રદર્શન સાથે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

  1. AAP MLA ચૈતર વસાવાને 40 દિવસ બાદ મળ્યા જામીન, ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી
  2. Ayodhya Ram Mandir: પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો, 10 જેટલી મહિલાઓને ઈજા

ABOUT THE AUTHOR

...view details