જૂનાગઢઃ ગત 31મી જાન્યુઆરીના રોજ જૂનાગઢ શહેરની નરસિંહ વિદ્યામંદિર ખાતે નશાબંધીના પ્રચાર અને ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના અઝહરીએ કરેલ ભાષણ તેના ગળાનું હાડકું બની ગયું છે. આ ભાષણ સંદર્ભે અઝહરી વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન કચ્છના સામખીયાળીમાં અને અરવલ્લીના મોડાસામાં આ જ પ્રકારની હેટ સ્પીચ મામલે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.
Hate Speech Case Updates: મૌલાના અઝહરીને પાસા એક્ટ અંતર્ગત વડોદરા જેલ ભેગો કરાયો
Published : Feb 22, 2024, 10:31 PM IST
જૂનાગઢમાં ગત 31મી જાન્યુઆરીના રોજ આપેલ હેટ સ્પીચ કેસમાં મૌલાના અઝહરીની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ પોલીસે અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી અટકાયત કરીને પાસા એક્ટ અંતર્ગત વડોદરા જેલ ભેગો કર્યો છે. Hate Speech Case Maulana Azahari
આજે મોડાસા કેસમાં મળ્યા જામીનઃ આપત્તિ જનક અને ભડકાઉ ભાષણ આપવાના કિસ્સામાં સુરક્ષા કારણોસર અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવેલા મૌલાના મુક્તિ સલમાન અઝહરીને મોડાસા કોર્ટે જામીન આપ્યા હતા. આજે સાંજે જામીન પર મુક્ત થવા જઈ રહ્યો હતો તે દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૌલાના મુફ્તીનું ભાષણ કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું હોવાનું કારણે તેના વિરુદ્ધ પાસા કાયદા તળે અટકાયતી પગલાની દરખાસ્ત કરાઈ હતી.
પાસા વોરંટ ઈશ્યૂ કરાયોઃ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને જૂનાગઢ જિલ્લા કલેકટરે મંજૂરી આપી હતી. મૌલાના વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. તેથી આજે સાંજે 07 કલાક અને 25 મિનિટે સાબરમતી જેલ ખાતે જૂનાગઢ એલસીબીની ટીમ આવી પહોંચી હતી. જૂનાગઢ પોલીસે બજવણી કરીને જામીન પર મુક્ત થયેલા મૌલાના અઝહરીની અટકાયત કરી હતી. મૌલાનાને પાસા કાયદા અંતર્ગત વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો.