ગુજરાત

gujarat

ધરમપુરના વરરાજાની અનોખી જાન, લોકો સેલ્ફી લેવા ઉમટ્યા - Tribal tradition

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 6:24 PM IST

વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ ખર્ચાળ બની ગયો છે. મોંઘવારીના સમયમાં લગ્ન કરવા આર્થિક રીતે મોંઘુ પડી શકે છે. તેમ છતાં લોકો દેખાદેખીમાં ખૂબ ઊંચો ખર્ચ કરી નાખતા હોય છે. મોંઘીદાટ ગાડીઓમાં ફૂલોનો શણગાર કરીને વરરાજા નીકળતા હોય છે. પરંતુ ધરમપુરમાં વરરાજાએ કંઈક અલગ જ રીતે પોતાની જાન અને વરઘોડો કાઢ્યો હતો.

ધરમપુરના વરરાજાની અનોખી જાન
ધરમપુરના વરરાજાની અનોખી જાન

ધરમપુરના વરરાજાની અનોખી જાન, લોકો સેલ્ફી લેવા ઉમટ્યા

વલસાડ : વર્તમાન સમયની પેઢીના યુવાનો લગ્નમાં મસ મોટો ખર્ચો કરી નાખે છે. વર્ષો પહેલાં વરરાજા અને જાનૈયાઓ સહિત જાન બળદ ગાડામાં જતી હતી. પરંતુ સમય બદલાતા તેનું પણ સ્વરૂપ બદલાયું છે. હાલમાં મોંઘીદાટ કારમાં વરરાજા દુલ્હનને લેવા જતા હોય છે. પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા લાકડમાળ ગામે ગતરોજ બળદગાડા બેસીને નીકળેલા વરરાજાને જોવા લોકો રસ્તા પર થંભી ગયા હતા.

વલસાડના વરરાજાની અનોખી જાન :લાકડમાળ ગામે રહેતા હિરેનભાઈના લગ્ન ફલધરા ગામે નક્કી થયા હતા. મંગળવારના રોજ તેમના લગ્ન લેવાયા હતા. જેના પૂર્વે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતાના ગામ લાકડમારથી પરંપરાગત બળદગાડા વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો બળદગાડામાં બેસીને જોડાયા હતા.

પિતાની ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી :આદિવાસી પરંપરામાં વર્ષો પહેલા જ્યારે વાહન નહોતા, ત્યારે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ બળદગાડામાં જાન લઈને નીકળતા હતા. વરરાજાના પિતાએ જણાવ્યું કે, વર્ષો પહેલા તેમનું સ્વપ્ન હતું કે તેમના પુત્રની જાન બળદગાડામાં નીકળે અને તેમના પુત્ર એ આ વાત માનીને પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે. સાથે જ આજના સમયના યુવાનોને એક મેસેજ પણ આપ્યો છે કે લગ્નમાં વધુ ખર્ચ ન કરવો.

આકર્ષણનું કેન્દ્ર બની જાન :ધરમપુર તાલુકાના લાકડમાળ ગામેથી ફલોદરા જવા માટે નીકળેલી જાનમાં પાંચ જેટલા બળદગાડા જોડાયા હતા. માર્ગમાંથી પસાર થતી આ જાનને જોવા અનેક લોકો રસ્તામાં થંભી ગયા હતા. તો કેટલાક લોકોએ આ સમગ્ર દ્રશ્યને કંડારી તેની યાદો મોબાઇલમાં કેદ કરી લીધી હતી. કેટલાક લોકોએ તેની સાથે સેલ્ફી પડાવી હતી.

5 બળદગાડામાં નીકળી જાન :ચંપકભાઈ પટેલના પુત્ર હિરેનની જાન બળદગાડામાં કાઢવામાં આવી હતી. એકનો એક દીકરો હોય અને આદિવાસી પરંપરાને માનતા તેમણે સંસ્કૃતિને જાળવી રાખવા લગ્નની જાન બળદગાડામાં કાઢી હતી. 5 જેટલા બળદગાડામાં અંદાજે 8 કિલોમીટર જેટલી મઝલ કાપીને જાન લગ્ન સ્થળે પહોંચી હતી. જેમાં અંદાજે દોઢ કલાક જેટલો સમય વીત્યો હતો.

આદિવાસી સમાજની પરંપરા :આદિવાસી સમાજમાં આજે પણ તેમની પરંપરા અને વિધિ અનોખી છે. પોતાના વારસાને જાળવી રાખતા અનેક લોકો આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરે છે. લાકડમાળ ગામે યોજાયેલ લગ્ન વિધિમાં પણ કેટલીક વિધિ પરંપરાગત કરવામાં આવી હતી.

  1. જામનગરમાં ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટર મારફતે આવતાં લોકો નિહાળવા માટે થયા એકઠા
  2. છોટા ઉદેપુર જીલ્લાનુ એક એવું ગામ જ્યાં, નણંદ ભાભી સાથે ફરે છે મંગલ ફેરા - Unique Tradition

ABOUT THE AUTHOR

...view details