ગાંધીનગર :ગુજરાતમાં વકરી રહેલી બેરોજગારી અંગે વિપક્ષે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારીને કારણે યુવાનો યુદ્ધગ્રસ્ત દેશોમાં જવામાં મજબૂર છે. રોજગારી મેળવવા ગયેલા સુરતના યુવાને રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે. કેટલાક યુવાનો રશિયામાંથી ભાગીને પરત આવ્યા છે. ગુજરાતના યુવાનો યુદ્ધગ્રસ્ત ઇઝરાઇલમાં પણ કામ કરવા માટે મજબૂર છે.
વિધાનસભામાં વિપક્ષનો આક્ષેપ : ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકાર પર બેરોજગારીના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતના યુવાનોને પૂરતી રોજગારી મળતી નથી. તેથી તેઓને હૈદરાબાદ, પુણે, બેંગ્લોર અને દિલ્હી જેવા શહેરમાં જવું પડે છે. શિક્ષણના ખાનગીકરણના કારણે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે. રાજ્યમાં કાર્યરત મોટાભાગની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક કક્ષાના પ્રોફેસરોની અછત છે. સાયબર ક્રાઇમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં મોટા પડકારો ઊભા કરશે.