ગુજરાત

gujarat

Bhagvad Geeta in Curriculum : ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોના સમાવેશનો માર્ગ મોકળો થયો

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 7:48 PM IST

Updated : Feb 7, 2024, 9:26 PM IST

ગુજરાતની શાળાઓમાં ભણતા બાળકો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે. ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરતા સરકારી સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર થયું છે.

Bhagvad Geeta in Curriculum : ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોનો સમાવેશનો માર્ગ મોકળો થયો
Bhagvad Geeta in Curriculum : ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોનો સમાવેશનો માર્ગ મોકળો થયો

ગાંધીનગર : શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરતાં બિલને લઇને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને 'વિકસિત ભારત @૨૦૪૭' ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે...પ્રફુલ પાનસેરીયા (શિક્ષણ મંત્રી )

પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી :આજે વિધાનસભા ખાતે ધોરણ 6થી 12માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા પાનશેરીયાએ કહ્યું કે,દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પધ્ધતિથી વાકેફ થાય એ માટે અમે સામાજિક ઉત્થાન માટે સામાજિક જવાબદારીથી લાવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનો એ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવતગીતાના મૂલ્યોને સમજીને યુનો દ્વારા " ગીતા ડે " ઉજવવાનો નિર્ણય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે. જે પૈકીનો એક સિદ્ધાંત વિદ્યાર્થીઓ માં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકાયો છે.

ધોરણ-9થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય :આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવે તે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.

બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય : જે બાબત ધ્યાનમાં રાખીને શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-6 થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ-9થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.

ભગવદ્ ગીતાની લોકપ્રિયતા :ભારતીય વિચાર પરંપરામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની લોકપ્રિયતા અપૂર્વ છે. આ અપૂર્વ અને અદ્વિતીય સ્થિતિ પ્રાપ્ત થવાના અનેક કારણ છે. આ ગ્રંથનો આનંદ અબાલવૃધ્ધોએ અનેક પેઢીઓથી મેળવ્યો છે. આમાં શ્રીકૃષ્ણ અને અર્જુન એ બે પાત્રો અતિ મોહક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ એવા સુકોમલ અવસર પર કરવામાં આવ્યો છે, જ્યારે દેશ નહીં પણ, ધર્મનું અસ્તિત્વ પણ સંકટમાં હતું. આ ગ્રંથ સંવાદાત્મક શૈલીમાં છે. આ ગ્રંથની મહાન આકર્ષકતા માટે માત્ર તેના બાહ્યગુણ પૂરતા નથી, એમાં એક સર્વકાલીન અને સાર્વજનિક વિશિષ્ટ સંદેશો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આદેશ અનુસાર સ્વધર્મનિષ્ઠાથી પરમેશ્વરની આરાધનાથી પ્રત્યેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરી શકે છે તેમજ પોતે પ્રગતિ કરીને કૃતાર્થ(ધન્ય) બની શકે છે. આ ગ્રંથ આરંભથી અંત સુધી સહિષ્ણુતાની ભાવનાથી ઓતપ્રોત છે. જે ભારતીય જ્ઞાનધારા-વિચારધારાનું મુખ્ય લક્ષણ છે. આથી જ ગીતાનો યુગધર્મપ્રવર્તક, અપરિવર્તનીય અને સનાતનશાસ્ત્ર તરીકે સ્વીકાર થયો છે.

ગીતાની અસર પશ્ચિમી વિચારકો ઉપર : શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો ઉપર પણ ઘણી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે જેને કોઈ સીમાડા નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ-6થી 12ના અભ્યાસક્રમમાં “ગીતા સાર” નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની અમલવારી સંપૂર્ણ અને અસરકારક રીતે થાય તે જરૂરી છે અને તે માટે તમામ પગલાં ભરવા આ સંકલ્પ લાવવામાં આવ્યો છે.

સરકારી શાળાઓમાં આ વર્ષે બીજા સત્રથી જ ગીતા શિક્ષણનો આરંભ થશે, ગીતા જયંતી પર ગીતા પરના પુસ્તકનું લોકાર્પણ

વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવવા અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા તમતમતી પ્રતિક્રિયા, પહેલાં શિક્ષકોની ભરતી તો કરો

Last Updated :Feb 7, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details