રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક
રાજકોટઃ લોધિકા સહકારી ખરીદી વહેંચાણ સંઘની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ આજે મંગળવારે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજવવાની હતી. મુખ્યત્વે આ ચૂંટણીમાં ભાજપના 2 જૂથ સામસામે આવી ગયા હતા. જેને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. જેમાં એક જૂથ અરવિંદ રૈયાણી અને બીજું જૂથ નીતિન ઢાકેચાનું હતું. આ બન્ને જૂથો વચ્ચે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે જોરદાર હરીફાઈ સર્જાઈ હતી, પરંતુ મંગળવારે ચૂંટણી દરમિયાન બન્ને જૂથ વચ્ચે સમાધાન થઈ જતાં ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના જ 2 જૂથ વચ્ચેની હરીફાઈમાં મૂળ કોંગ્રેસના નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન તરીકે અને સંજય અમરેલીયાની વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત સાથે જ સંઘની ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે, એટલે કે નીતિન ઢાંકેચાના એકતરફી શાસનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નીતિન ઢાંકેચા ગત 21 વર્ષથી સંઘના ચેરમેન પદ પર હતા.